INDIA ગઠબંધનના ઘણા નેતાઓના સપના તુટ્યા, કોંગ્રેસની તાકાત વધી, રાહુલ ગાંધીને મળેલી સંજીવનીનું Analysis

Rahul Gandhi Defamation Case : સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ હવે પુનઃસ્થાપિત કરવામાં આવે છે. તે હવે સંસદમાં જઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના કેસમાં સંપૂર્ણ સુનાવણી બાદ નિર્ણય ન આવે ત્યાં સુધી ગુજરાત હાઇકોર્ટના નિર્ણયનો અમલ કરવામાં આવશે નહીં

Written by Ashish Goyal
August 04, 2023 16:42 IST
INDIA ગઠબંધનના ઘણા નેતાઓના સપના તુટ્યા, કોંગ્રેસની તાકાત વધી, રાહુલ ગાંધીને મળેલી સંજીવનીનું Analysis
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી સૌથી મોટી સંજીવની મળી છે (Express Photo)

INDIA Alliance : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી સૌથી મોટી સંજીવની મળી છે. મોદી સરનેમ કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ એક નિર્ણયનો કોંગ્રેસ માટે ઘણા અર્થ છે. એક તરફ રાહુલ ગાંધી ફરી એકવાર સાંસદ બન્યા છે, તો બીજી તરફ 2024ની લડાઈમાં કોંગ્રેસને મોટો રાજકીય બૂસ્ટર મળ્યો છે.

હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને રાજકીય ગણતરીથી સમજવો ખૂબ જ જરૂરી બની જાય છે. આ સમયે લોકસભા ચૂંટણી નજીક છે, એક તરફ એનડીએ પોતાને એકજુટ કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધને પણ અગાઉ પટના અને બેંગલુરુમાં બેઠક કરીને પોતાની તાકાત બતાવી છે. પરંતુ અત્યાર સુધી રાહુલ ગાંધી વડાપ્રધાન પદની રેસમાંથી બહાર થઈ રહ્યા હોવાથી કોંગ્રેસની સોદાબાજીની તાકાત ઓછી થઇ ગઇ હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ફરી જમીન પર અનેક સમીકરણો બદલાવા જઈ રહ્યા છે.

કોંગ્રેસ હાલ ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે પરંતુ મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સજા મળી હોવાથી પાર્ટી પોતાના તરફથી કોઇ ચહેરો ખુલીને સામે રાખી શકી ન હતી. તેમના માટે રાહુલ ગાંધી સૌથી મોટા સ્ટાર પ્રચારક હતા, પરંતુ એક સજાના કારણે પાર્ટી મજબૂર થઇ ગઇ હતી અને અન્ય વિપક્ષી પાર્ટીઓ સામે ઝૂકવું પડ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર કોંગ્રેસ મજબૂત બની છે. રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધનો સીધો ફાયદો દેશની સૌથી જૂની પાર્ટીને થવાનો છે.

ભારત જોડો યાત્રા બાદથી જ એવું કહેવામાં આવતું હતું કે રાહુલ ગાંધીએ પોતાની છબિ સંપૂર્ણપણે બદલી નાખી છે. તેમણે જે રીતે દેશના અનેક રાજ્યોને દક્ષિણથી ઉત્તર, પૂર્વથી પશ્ચિમ સુધી આવરી લીધા હતા તેમની લોકપ્રિયતા વધી હતી. આ જ લોકપ્રિયતાના આધારે પાર્ટીએ કર્ણાટકની ચૂંટણીમાં પણ શાનદાર જીત નોંધાવી હતી. આ યાત્રાનો લાભ લેવાય એ પહેલાં રાહુલને મોદી અટક કેસમાં પોતાની કારકિર્દીનો સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. એક આંચકો જેણે તેમનું સંસદ પદ છીનવી લીધું હતું અને તે સીધા વડા પ્રધાનની રેસમાંથી બહાર થઈ ગયા હતા.

આ પણ વાંચો –  રાહુલ ગાંધી માનહાની કેસમાં સુપ્રીમ કોર્ટે સજા પર લગાવી રોક

રાહુલ તે સમયે સાંસદ ન હોવાથી કોંગ્રેસ પાસે અન્ય વિરોધ પક્ષોની સામે બતાવવા માટે કંઇ ખાસ ન હતું. વિપક્ષી એકતાની બે બેઠકોમાં માત્ર ચર્ચા થઈ હતી કે અમે સાથે મળીને ચૂંટણી લડીશું, એક સમાન એજન્ડા હશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે મોદી વિરુદ્ધ કોણ, કોઈ તેનો જવાબ આપી શક્યું નહીં. હવે અહીં આખી રમત બદલાવાની છે. હવે કોંગ્રેસ ખુલ્લેઆમ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે રજુ કરી શકે છે. સવાલ એ છે કે શું અન્ય વિપક્ષી નેતાઓ આ વાત સ્વીકારશે કે નહીં?

હવે મીડિયા સામે ઇન્ડિયા ગઠબંધનના ઘણા મોટા ચહેરાઓ પણ રાહુલની સજા પર લાગેલા પ્રતિબંધને આવકારશે, જો આમ વધુ થશે તો કોઇ ટ્વિટર પર ટ્વિટ કરીને અભિનંદન પાઠવશે. પરંતુ રાજકારણમાં દરેક નિર્ણયનો અર્થ હોય છે. આ નિર્ણયના એ અર્થ પણ છે જે વિપક્ષી નેતાઓને આ સમયે પસંદ નહીં આવે. રાહુલ ગાંધી સિવાય પીએમની રેસમાં કયા કયા નેતાઓને માનવામાં આવતા હતા?

રાહુલ ગાંધી ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, એનસીપી પ્રમુખ શરદ પવાર જેવા નેતાઓને તે યાદીમાં સૌથી મહત્વના માનવામાં આવતા હતા. આ તે નેતાઓ હતા જેમને ઇન્ડિયા ગઠબંધનના સૌથી મોટા ચહેરા કહેવામાં આવી રહ્યા હતા. રાહુલની ગેરહાજરીમાં આમાંથી કોઇ એક નેતાને મોટી જવાબદારી સોંપી શકાઇ હોત. પરંતુ હવે રાહુલ ગાંધી પરત ફર્યા છે ત્યારે આ તમામ નેતાઓના દિલ્હી જવાના સપના પણ ચકનાચૂર થઇ ગયા છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની મોટી મહત્વાકાંક્ષા છે. જેડીયૂના તમામ નેતાઓ પોતાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે કે નીતિશ દેશના આગામી વડાપ્રધાન બને. બિહારમાં જે રીતે પોસ્ટર લગાવવામાં આવે છે, તેમના દાવાને મજબૂત બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે નીતિશ વિપક્ષનું નેતૃત્વ કરવામાં પાછળ રહેવા માંગતા નથી. આ કારણે જ્યારે સમગ્ર વિપક્ષને એક કરવાની વાત આવી તો નીતિશે પણ પહેલા બધા મોટા નેતાઓને મળવાનું કામ કર્યું. ત્યાર બાદ પટનામાં પહેલી બેઠક પણ તેમના નેતૃત્વમાં જ થઇ હતી. સંદેશ ચોક્કસપણે આપવામાં આવ્યો હતો કે નીતીશ સામેથી નેતૃત્વ કરી રહ્યા છે. એવા અહેવાલો પણ આવ્યા હતા કે નીતિશ બાદમાં તેજસ્વીને સીએમ પદ આપીને દિલ્હી જવા રવાના થશે.

પરંતુ હવે નીતિશના આ નેરેટિવને મોટી ચોટ પહોંચી છે. રાહુલ ગાંધીની વાપસી સાથે જ નીતિશનો દાવો એકદમ નબળો પડી ગયો છે. કોંગ્રેસ કોઈ પણ કિંમતે રાહુલ સિવાય અન્ય કોઈ ચહેરાને સ્વીકારી શકતી નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભલે કહી ચુક્યા હોય કે રાહુલ કે કોંગ્રેસને પીએમ પદના ઉમેદવાર બનવાની ઇચ્છા નથી, પરંતુ રાજકીય સમીકરણો હોવાથી સ્વાભાવિક રીતે જ રાહુલનો દાવો વધુ મજબૂત છે.

આ નીતિશ કુમારને ઝટકો છે ત્યારે મમતા બેનર્જી માટે પણ આ સારા સમાચાર નથી. મમતા બેનર્જીની છબી એવી છે કે તેમને ભાજપ સામે સૌથી આક્રમક માનવામાં આવતા હતા. તેમણે જે રીતે બંગાળમાં ભાજપને હરાવ્યું, તેમનો દાવો ઘણો મજબૂત હતો. આ સિવાય તે એક જમીન સાથે જોડાયેલા નેતા રહ્યા છે, એક આંદોલનકારીની છાપ રહી છે, તેથી વિપક્ષી ગઠબંધનમાં મમતાની સ્વીકૃતિમાં પણ વધારો થયો હતો. એવું માનવામાં આવતું હતું કે મમતા મોદી સામે સોલિડ ચહેરો છે. રાહુલ ગાંધીની ગેરહાજરીમાં મમતાનો દાવો મજબૂત હતો પરંતુ હવે તેના પર હાલ પૂરતું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ