Rajasthan CM Face : વસુંધરા રાજેને સીએમ નહીં બનાવવા ભાજપ માટે કેટલું આસાન? આ સવાલો પર છે નજર

Rajasthan CM Face : મુખ્યમંત્રી પદની રેસમાં વસુંધરા રાજેને સૌથી મહત્વનું પાત્ર માનવામાં આવે છે. તેઓ બે વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને કહેવાય છે કે હાલ રાજ્યમાં એવો કોઈ નેતા નથી કે જેની પાસે આ પદનો અનુભવ અને સમજ હોય

Written by Ashish Goyal
December 08, 2023 20:53 IST
Rajasthan CM Face : વસુંધરા રાજેને સીએમ નહીં બનાવવા ભાજપ માટે કેટલું આસાન? આ સવાલો પર છે નજર
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (ફાઇલ ફોટો)

Rajasthan CM Face : રાજસ્થાનમાં ભાજપે 115 બેઠકો જીતીને દર પાંચ વર્ષે રાજ્યમાં સત્તા બદલવાની પરંપરા જાળવી રાખી છે. પરંતુ હવે પાર્ટીની સામે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવાનો પડકાર છે. જયપુરથી દિલ્હી સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. વસુંધરા રાજેએ ગુરુવારે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ હતી કે મુખ્યમંત્રી પદના દાવામાં વસુંધરા એક મહત્વપૂર્ણ પાત્ર છે. જોકે તેમણે નિવેદન આપ્યું છે કે કોઇ પણ સ્થિતિમાં પાર્ટી લાઇનની બહાર નહીં જાય.

શા માટે વસુંધરા રાજે મહત્ત્વનું પાત્ર છે?

મુખ્યમંત્રી પદની રેસમાં વસુંધરા રાજેને સૌથી મહત્વનું પાત્ર કેમ માનવામાં આવે છે. તેઓ બે વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને કહેવાય છે કે હાલ રાજ્યમાં એવો કોઈ નેતા નથી કે જેની પાસે આ પદનો અનુભવ અને સમજ હોય. ચૂંટણી પરિણામો બાદની તસવીરો પર નજર કરીએ તો રાજે એકમાત્ર એવા નેતા હતા જેમને ખાસ બતાવવામાં આવી રહ્યા હતા. રાજેએ છેલ્લા કેટલાક દિવસોમાં અનેક મંદિરોની મુલાકાત લીધી હતી. તેમણે દૌસાના મેહંદીપુર બાલાજી મંદિરની મુલાકાત લીધી હતી અને જયપુરના મોતી ડુંગરી મંદિરમાં પણ દેખાયા હતા. તે 2013ની કેટલીક હાઇલાઇટ્સ જેવું જ હતું. બીજી તરફ રાજસ્થાન ભાજપમાં વસુંધરા રાજેના વર્ચસ્વને મુશ્કેલ પડકારનો સામનો કરવો પડ્યો છે, પાર્ટીની અંદર તેમના ઘણા હરીફો ઉભરી આવ્યા છે અને તેઓ પ્રમુખતાથી સામે આવ્યા છે.

વિલંબ શા માટે?

ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી એવી ચર્ચા ચાલી રહી હતી કે વસુંધરા રાજેના વફાદાર ઘણા ધારાસભ્યો રાજસ્થાનની ચૂંટણીમાં તેમને ભાજપનો ચહેરો બનાવવાની માંગ કરતા રહ્યા. આનાથી વસુંધરાને પોતાનું કદ વધારવામાં એક હદ સુધી સફળતા મળી છે. ભાજપ હાઈકમાન્ડ જાણે છે કે વસુંધરા રાજેના ઈરાદા વગર કોઈ પણ પ્રકારનું પગલું ભરવાથી પલટવાર થઈ શકે છે. આ જ કારણ છે કે સીએમના નામ પર ખૂબ મંથન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો – વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ પર ધારાસભ્યને રિસોર્ટમાં રાખવાનો આરોપ

વસુંધરા રાજે સામે પડકાર?

વસુંધરા રાજે માટે મુખ્યમંત્રીની ખુરશી મેળવવી આ વખતે એટલી સરળ નથી જેટલી 2013માં હતી. થોડા સમય પહેલા સુધી જ્યાં સતીશ પુનિયા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત પાર્ટીના અન્ય દાવેદારોના નામ સીએમની ખુરશીની રેસમાં ચાલી રહ્યા હતા ત્યાં જ હવે તિજારાના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જઈ રહેલા પૂર્વ સાંસદ મહંત બાલક નાથનું નામ પણ સામે આવી રહ્યું છે. પડકાર માત્ર આ જ નથી, ચર્ચા એ પણ છે કે પાર્ટી હાઈકમાન્ડ કોઇ બહારની વ્યક્તિનો ચહેરો પણ સામે લાવી શકે છે.

રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત

છેલ્લા કેટલાક વર્ષોમાં વસુંધરા રાજેની પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મતભેદને લઇને ચર્ચા થતી રહી છે. કહેવાય છે કે હિન્દુત્વના મુદ્દે વસુંધરા રાજેનું વલણ થોડું અલગ છે અને તેઓ વિકાસના મુદ્દાને સૌથી આગળ માને છે. જોકે રાજેએ ગેહલોત સરકાર પર નિશાન સાધવામાં અનેક વખત હિન્દુત્વ તરફી વલણ અપનાવ્યું હતું. જેના કારણે એવી અટકળો વહેતી થઇ હતી કે તેઓ પોતાનું વલણ બદલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો ટિકિટ વહેંચણીની વાત કરીએ તો ઘણા એવા ઉમેદવારો છે જેમને રાજેની ભલામણ હેઠળ ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા, હવે આ ધારાસભ્યો વસુંધરાને ઘણો ફાયદો કરાવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ