Rajasthan CM Face News : રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે પરંતુ મુખ્યમંત્રીને લઇને પાર્ટી દ્વારા હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. મીડિયાની હેડલાઈન્સમાં સીએમ પદ માટે વસુંધરા રાજે, બાબા બાલકનાથ સહિત ઘણા નામો ચર્ચામાં છે. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજેએ મોટું નિવેદન આપ્યું છે. વસુંધરા રાજેએ કહ્યું કે તે પાર્ટી લાઇનની બહાર નહીં જાય.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વસુંધરાએ ધારાસભ્યોને મળ્યા બાદ ભાજપ હાઈકમાન્ડ સાથે વાત કરી છે. આમાં તેમણે કહ્યું કે તે પાર્ટીની એક અનુશાસિત કાર્યકર્તા છે અને ક્યારેય પાર્ટી લાઇનની બહાર નહીં જઇ શકે. વસુંધરા રાજે આજે રાત્રે દિલ્હી જવા રવાના થયા છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહને મળવા માટે સમય માંગ્યો છે. સંભાવના છે કે સવારે વસુંધરાની મુલાકાત થઈ શકે છે.
આ પહેલા વસુંધરા રાજે શક્તિ પ્રદર્શનના મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે 20થી વધુ ધારાસભ્યો સાથે ડિનર મીટિંગ કરી હતી. આ પછી વસુંધરા કેમ્પે દાવો કર્યો હતો કે તેમની પાસે 68 ધારાસભ્યોનું સમર્થન છે. આ ઉપરાંત કેટલાક અપક્ષો પણ તેમની સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – શું છે ઉત્તર વર્સિસ દક્ષિણની ચર્ચા? આમને-સામને છે ભાજપ-કોંગ્રેસ, લોકસભા ચૂંટણીમાં કેટલી થઇ શકે છે અસર?
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં ભાજપ તરફથી ઘણા ચહેરા છે. વસુંધરા રાજે સિવાય પહેલું નામ બાલકનાથ છે. જેઓ તિજારાથી વિધાનસભા પહોંચ્યા છે. આ યાદીમાં બીજું નામ જયપુર રાજવી પરિવારના રાજકુમારી દીયા કુમારીનું છે. બંને લોકસભાના સભ્ય હતા અને વિધાનસભામાં ટિકિટ આપી હતી.
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. પાંચેય રાજ્યોમાં પાર્ટી સીએમ ચહેરા વગર જ લડી હતી. આવી સ્થિતિમાં સીએમ કોણ બનશે, ભાજપ હાઈકમાન્ડમાં મંથન ચાલી રહ્યું છે. વડાપ્રધાનના નિવાસસ્થાને બુધવારે લગભગ ચાર કલાક સુધી બેઠક ચાલી હતી. બુધવારે ગૃહમંત્રી અમિત શાહ પણ પીએમ આવાસ પહોંચ્યા હતા. આ બેઠકનો બીજો રાઉન્ડ હતો. માનવામાં આવી રહ્યું છે કે ત્રણેય રાજ્યોના સીએમ ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ છે.





