Rajasthan Elections : 50 વર્ષથી માત્ર છ નેતા જ બન્યા CM, જાણો રાજસ્થાનની રાજનીતિનો રસપ્રદ ઇતિહાસ

Rajasthan Elections 2023 : રસપ્રદ વાત એ છે કે રાજ્યમાં ઘણી વખત ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ બની પરંતુ સૌથી મોટી પાર્ટી હંમેશા સરકાર બનાવવામાં સફળ રહી હતી

Written by Ashish Goyal
November 23, 2023 22:28 IST
Rajasthan Elections : 50 વર્ષથી માત્ર છ નેતા જ બન્યા CM, જાણો રાજસ્થાનની રાજનીતિનો રસપ્રદ ઇતિહાસ
રાજ્યમાં સમયાંતરે નવા રાજકીય પક્ષોનો ઉદય થયો હોવા છતાં રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસનું શાસન રહ્યું છે जे (Express archive photo)

Rajasthan Elections 2023 : ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. પરંતુ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી મોટી નથી. છેલ્લા 33 વર્ષમાં રાજસ્થાનમાં માત્ર ત્રણ નેતાઓ (ભૈરોસિંહ શેખાવત, અશોક ગેહલોત અને વસુંધરા રાજે) મુખ્યમંત્રી રહ્યા છે. 50 વર્ષની યાદી જોઈએ તો આ સંખ્યા વધીને છ થઈ જશે (તેમાં હિરાલાલ દેવપુરાની ગણતરી કરવામાં આવી નથી, જેમનો કાર્યકાળ માત્ર 15 દિવસનો હતો). રસપ્રદ વાત એ છે કે રાજ્યમાં ઘણી વખત ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ બની પરંતુ સૌથી મોટી પાર્ટી હંમેશા સરકાર બનાવવામાં સફળ રહી હતી.

રાજ્યમાં સમયાંતરે નવા રાજકીય પક્ષોનો ઉદય થયો હોવા છતાં રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસનું શાસન હતું. 1993માં ભાજપના ભૈરોસિંહ શેખાવત મુખ્યમંત્રી તરીકે પાછા ફર્યા ત્યારથી જ રાજ્યની સત્તા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હંમેશાં બદલાતી રહી છે.

હાલ રાજસ્થાનમાં 200 વિધાનસભા સીટો છે. જેમાંથી 34 અનુસૂચિત જાતિ અને 25 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. લોકસભાની 25 બેઠકો છે, જેમાંથી ત્રણ એસસી માટે અને ચાર એસટી માટે અનામત છે. રાજ્યમાંથી 10 સાંસદોને રાજ્યસભામાં મોકલવામાં આવે છે.

રાજસ્થાનનો રાજકીય ઇતિહાસ દર્શાવે છે કે રાજ્યની ત્રણ ચૂંટાયેલી સરકારોને કેન્દ્ર સરકારો દ્વારા સમયાંતરે બરતરફ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોરારજી દેસાઈની સરકારે પહેલીવાર આવું કર્યું હતું. કટોકટી પછી રચાયેલી કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરતી વખતે મોરારજી દેસાઈએ 1977માં રાજસ્થાનમાં હરદેવ જોશી સરકાર (કોંગ્રેસ) ને બરતરફ કરી હતી. ભૈરોસિંહ શેખાવત સાથે આવું બે વાર બન્યું હતું. 1980માં ઇન્દિરા ગાંધીએ અને 1992માં બાબરી ધ્વંસ પછી પી.વી. નરસિંહરાવ દ્વારા તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષોનું કેટલું જોર છે?

રાજ્યમાં સમયાંતરે ત્રીજી રાજકીય તાકાતનો ઉદભવ થતો જોવા મળ્યો છે. કેટલાક પ્રભાવશાળી બિન-કોંગ્રેસી, બિન-ભાજપી નેતાઓ ઉભરી આવ્યા. પરંતુ તેઓ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. તેઓ રાજકારણમાંથી અદૃશ્ય થઈ ગયા અથવા તો બે મુખ્ય પક્ષોમાંથી કોઈ એકમાં જોડાઈ ગયા છે.

આ પણ વાંચો – પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું – ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તામાં આવી રહી છે

સી રાજગોપાલાચારીની સ્વતંત્ર પાર્ટીએ 1962માં 176 સભ્યોની વિધાનસભામાં 36 સીટો અને 1967માં 184 બેઠકોમાંથી 48 બેઠકો જીતી હતી. 1990ના દાયકા સુધીમાં જનતા દળમાં કલ્યાણસિંહ કાલવી, દેવીસિંહ ભાટી અને રાજેન્દ્રસિંહ રાઠોડ જેવા અનેક મહત્ત્વના નેતાઓ હતા. રાઠોડ હવે વિધાનસભામાં ભાજપના વિપક્ષી નેતા છે. જનતા દળમાંથી કોંગ્રેસ અને છેલ્લે ભાજપમાં ગયેલા જગદીપ ધનખડ હવે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. 2018માં બહુજન સમાજ પાર્ટીના છ ધારાસભ્યો હતા પછી તે બધા કોંગ્રેસમાં જોડાયા હતા.

રાજસ્થાનના મુખ્યમંત્રી

રાજ્યમાં ચૂંટણી સીધી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રહી છે. વર્ષ 1998થી અશોક ગેહલોત અને વસુંધરા રાજે વારાફરતી મુખ્યમંત્રી રહ્યા છે. ગેહલોત રાજ્યમાં તેમની પાર્ટીનો ચહેરો રહ્યા છે. સચિન પાયલટ સિવાય તેમનો કોઇ હરીફ નથી. બીજી તરફ વસુંધરા રાજે છે, જે 2003માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ શેખાવત અને દિવંગત પ્રમોદ મહાજનના આશીર્વાદથી પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ રાજ્યમાં ભાજપના સૌથી મોટા નેતા તરીકે રહ્યાં છે, તેમ છતાં છેલ્લાં પાંચ વર્ષમાં તેમને રીતસર સાઇડલાઇન કરવામાં આવ્યાં છે.

કોંગ્રેસના મોહન લાલ સુખડિયાનો મુખ્યમંત્રી તરીકેનો સૌથી લાંબો કાર્યકાળ રહ્યો છે. તેઓ 16 વર્ષ અને 6 મહિનાથી વધુ સમય સુધી સેવામાં હતા. આ પછી ગેહલોત નંબર પર આવે છે, જેમણે ત્રણ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમણે સફળતાપૂર્વક બે ટર્મ પૂરી કરી છે. ત્રીજો પણ પૂર્ણતાના આરે છે. શેખાવત અને વસુંધરા બંનેએ 10-10 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે. પહેલા હરિદેવ જોશી અને એચ.એલ.દેવપુરા અનુક્રમે 6 વર્ષથી વધુ અને 5 વર્ષથી વધુ સમય માટે મુખ્યમંત્રી રહ્યા હતા. સુખડિયા, ગેહલોત, શેખાવત અને વસુંધરાએ મળીને રાજ્યમાં 51 વર્ષથી વધુ સમય સુધી શાસન કર્યું છે.

કઈ જાતિના કેટલા મુખ્યમંત્રી બન્યા?

ગેહલોત ઓબીસી માળી છે. વસુંધરાએ જાટોના રાજવી પરિવારમાં લગ્ન કર્યા હતા અને તેમની પુત્રવધૂ ગુર્જર સમુદાયની છે. જોકે વસુંધરા સહિત રાજસ્થાનના દરેક રાજાને “રાજપૂત” માનવામાં આવે છે. આઝાદી પછી રાજ્યના 14 મુખ્યમંત્રીઓમાંથી પાંચ બ્રાહ્મણ, બે વૈશ્ય (સુખડિયા અને દેવપુરા), એક કાયસ્થ (શિવચરણ માથુર), એક મુસ્લિમ (બરકતુલ્લાહ ખાન) અને એક રાજપૂત (શેખાવત) છે. રાજ્યમાં નાથુરામ મિર્ધા, રામનિવાસ મિર્ધા અને પરસરામ મદેરાણા જેવા અગ્રણી જાટ નેતાઓ જોવા મળ્યા છે, પરંતુ કોઈ જાટ ક્યારેય સીએમ રહ્યા નથી.

1980-81માં એક વર્ષથી વધુ સમય માટે મુખ્યમંત્રી રહેલા જગન્નાથ પહાડિયા અનુસૂચિત જાતિના હતા. જગજીવન રામે જ્યારે કોંગ્રેસ છોડી દીધી ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમને સીએમ બનાવ્યા હતા અને એસસી નેતાની શોધમાં હતા, જેને રાષ્ટ્રીય સ્તર પર રજૂ કરી શકાય. પહાડીયાએ મહાદેવી વર્માની કવિતા પર ટિપ્પણી કરી હતી, જેનાથી ઇન્દિરા ગાંધી નારાજ થઇ ગઇ હતા અને તેમને પદ પરથી હટાવી દીધા હતા.

2011ની વસ્તી ગણતરી મુજબ રાજસ્થાનની 17 ટકાથી વધુ વસ્તી અનુસૂચિત જાતિની છે. 13 ટકાથી વધુ એસટી છે, પરંતુ હજુ સુધી કોઇ એસટી રાજસ્થાનના સીએમ બની શક્યા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ