Rajasthan News: રાજસ્થાનમાં સચિન પાયલટ (Sachin Pilot)વર્સિસ અશોક ગેહલોતનો (Ashok Gehlot)મામલો ઠંડો પડતો જોવા મળી રહ્યો નથી. સચિન પાયલટે ફરી એક વખત મુખ્યમંત્રી અશોક ગેહલોતના વફાદારો પર એક્શન ન થવા પર સવાલો ઉઠાવ્યા છે. સચિન પાયલટે ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં કહ્યું કે મામલામાં હદથી વધારે મોડું થઇ રહ્યું છે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષમાં સરકાર બદલવાની પરંપરા છે. આવામાં કોંગ્રેસ પાર્ટીએ જલ્દીથી નિર્ણય કરવો જ પડશે.
સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના મનાતા ત્રણ નેતાઓને ચાર મહિના પહેલા આપવામાં આવેલ કારણ બતાવો નોટિસનો હવાલો આપતા કહ્યું કે કોંગ્રેસની અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિ, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને કોંગ્રેસ નેતૃત્વ જ આનો યોગ્ય જવાબ આપી શકે છે નિર્ણય લેવામાં અપ્રત્યાશિત વિલંબ કેમ થઇ રહ્યો છે.
પાયલટે કહ્યું કે ધારાસભ્ય દળની બેઠક 25 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવી હતી. આ બેઠક ના થઇ શકી. બેઠકમાં જે પણ કાંઇ થયું હોત તે અલગ મુદ્દો હતો પણ બેઠક થવા દીધી ન હતી. જે લોકો બેઠક નહીં થવા દેવા અને સમાંતર બેઠક બોલાવવા માટે જવાબદાર છે તેમને પ્રથમ દ્રષ્ટીએ અનુશાસનહીનતા માટે નોટિસ આપવામાં આવી હતી.
પૂર્વ ડિપ્ટી સીએમે કહ્યું કે મને મીડિયા દ્વારા એ જાણકારી મળી કે આ નેતાઓએ નોટિસનો જવાબ આપી દીધો છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી તરફથી હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. મને લાગે છે કે એકે એન્ટોનીના નેતૃત્વવાળી અનુશાસનાત્મક કાર્યવાહી સમિતિ, કોંગ્રેસ અધ્યક્ષ અને પાર્ટી નેતૃત્વ જ તેનો યોગ્ય જવાબ આપી શકે છે કે નિર્ણય લેવામાં આટલું મોડું કેમ થઇ રહ્યું છે.
આ પણ વાંચો – બંગાળીઓની ચિંતા, આદિવાસીઓની આશાઓ અને ત્રિકોણીય લડાઈ: સમજો ત્રિપુરા ચૂંટણીનું રાજકીય ગણિત
સચિન પાયલટે કહ્યું કે વિધાનસભા અધ્યક્ષ દ્વારા હાઇકોર્ટમાં દાખલ સોગંદનામામાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 81 ધારાસભ્યોના રાજીનામા મળ્યા અને કેટલાકે વ્યક્તિગત રીતે રાજીનામા આપ્યા હતા. તેમના મતે સોગંદનામામાં એ પણ કહેવામાં આવ્યું કે કેટલાક ધારાસભ્યોના રાજીનામા ફોટોકોપી હતા અને બાકીના સ્વીકાર કરવામાં આવ્યા ન હતા કારણ કે તે પોતાની મરજીથી આપ્યા ન હતા.
સચિન પાયલટે એ વાત પર ભાર આપ્યો કે આ રાજીનામા સ્વીકાર કરવામાં આવ્યા ન હતા કારણ કે પોતાની મરજીથી આપવામાં આવ્યા ન હતા. જો તેમણે પોતાની મરજીથી આપ્યા ન હતા તો કોના દબાણમાં આપ્યા હતા? શું કોઇ ધમકી હતી, લાલચ કે દબાણ હતું. આ એક એવો વિષય છે જેના પર પાર્ટી તરફથી તપાસ કરવાની જરૂર છે.
રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આપણે ઘણા જલ્દી ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છીએ. બજેટ પણ રજુ થઇ ગયું છે. પાર્ટી નેતૃત્વએ ઘણી વખત કહ્યું કે તે નિર્ણય કરશે કે કેવી રીતે આગળ વધવાનું છે. રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિશે જે પણ નિર્ણય કરવાનો છે તે થવા જોઈએ કારણ કે આ વર્ષના અંતમાં ચૂંટણી છે.
સચિન પાયલટના મતે જો દર પાંચ વર્ષે સરકાર બદલવાની 25 વર્ષથી ચાલી આવી રહેલી પરંપરા બદલવી છે અને ફરીથી કોંગ્રેસની સરકાર લાવવી છે તો જલ્દી નિર્ણય કરવો પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે રાજસ્થાનમાં આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે અને આવામાં કોંગ્રેસે હવે મેદાનમાં ઉતરીને કાર્યકર્તાઓને એકજુટ કરવા પડશે. જેથી આપણે લડાઇ માટે તૈયાર રહીએ.