Republic Day 2024 : દેશની રાજધાની નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના અંદાજ મુજબ 26 જાન્યુઆરીએ લગભગ 77,000 લોકો કર્તવ્ય પથ પર આવે તેવી સંભાવના છે. ગણતંત્ર દિવસની પરેડના દિવસે આ વિસ્તારની સુરક્ષા માટે પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કર્તવ્ય પથ અને તેની આસપાસના વિસ્તારોમાં 14000 જેટલા સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવશે.
દિલ્હી પોલીસના વિશેષ પોલીસ કમિશનર (સુરક્ષા) દેવેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસે એ સુનિશ્ચિત કર્યું છે સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ બની રહે. તેમણે કહ્યું હતું કે વિવિધ રાજ્યો વચ્ચે પરસ્પર સહયોગની મદદથી સરહદી વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહી છે.
નવી દિલ્હી જિલ્લાને 28 ઝોનમાં વહેંચવામાં આવ્યો
પરેડ નવી દિલ્હી જિલ્લાથી શરૂ થશે. દિલ્હી પોલીસે ગુમ થયેલા વ્યક્તિના બૂથ, હેલ્પડેસ્ક, ફર્સ્ટ એઇડ કિઓસ્ક અને ફેસિલિટેશન બૂથ બનાવ્યા છે, જ્યાં મુલાકાતીઓ પરેડ સ્થળ પર જતા પહેલા તેમના વાહનોની ચાવી જમા કરાવી શકે છે. વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા, ઝોન-2) મધુપ તિવારીએ જણાવ્યું હતું કે પરેડમાં ઓછામાં ઓછા 77,000 લોકો આવવાની સંભાવના છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે નવી દિલ્હી જિલ્લાને 28 ઝોનમાં વહેંચ્યો છે. આ ઝોનનું નેતૃત્વ વરિષ્ઠ અધિકારીઓ કરશે.
આ પણ વાંચો – ગણતંત્ર દિવસ : આખરે 26 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે? જાણો ઇતિહાસ અને મહત્વ
દિલ્હી મેટ્રો સવારે 4 વાગ્યાથી કામગીરી શરૂ થઇ જશે
ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થવા જઇ રહેલા લોકો, સરકારી કર્મચારીઓ અને પરેડ જોવા જતા લોકોને સુવિધા આપવા માટે દિલ્હી મેટ્રોએ સવારે 4 વાગ્યાથી સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ડીએમઆરસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રો સવારે 6 વાગ્યા સુધી દર 30 મિનિટમાં ટ્રેન સેવાઓ ચલાવશે. આ પછી આખો દિવસ સામાન્ય સેવા રહેશે.
ડીએમઆરસીએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જેમની પાસે અસલી ઇ-આમંત્રણ કાર્ડ અથવા ઇ-ટિકિટ હશે તેમને સ્ટેશનો પર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ઓળખકાર્ડ બતાવવા પર કૂપન્સ આપવામાં આવશે. જે ફક્ત કેન્દ્રીય સચિવાલય અને ઉદ્યોગ ભવન સ્ટેશનથી બહાર નીકળવા માટે જ માન્ય રહેશે જેથી તે કર્તવ્ય પથ પર પહોંચી શકે. આ જ કૂપન્સ આ બંને સ્ટેશનો દ્વારા પરત ફરવાની મુસાફરી માટે પણ માન્ય રહેશે.





