joshimath sinking : ઇસરોના નેશનલ રિમોટ સેંસિંગ સેન્ટર દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ ઇમેજથી માહિતી સામે આવી છે કે ઉત્તરાખંડનું જોશીમઠ 27 ડિસેમ્બર 2022થી 8 જાન્યુઆરી 2023 વચ્ચે ફક્ત 12 દિવસોમાં 5.4 સેમી ધસી ગયું છે. આ તસવીરોમાં જે જાણકારી આવી રહી છે તે ઘણી ડરાવનારી છે. એપ્રિલ અને નવેમ્બર વચ્ચે રેકોર્ડ કરવામાં આવેલા આંકડાથી ઘણી વધારે છે. સરકારી એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ સાત મહિના દરમિયાન જોશીમઠમાં ફક્ત 9 સેમી ધસી હતી.
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે શહેરનો મધ્યભાગ ઝડપી ધસી રહ્યો છે. ક્રાઉન ઓફ ધ સબસિડેન્સ જોશીમઠ-ઔલી રોડ પાસે 2180 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. આ તસવીરો અને રિપોર્ટ શહેરના ઘણા રસ્તા અને સેંકડો ઘરોમાં તિરાડ જોવા મળ્યા પછી આવ્યો છે. જેને હવે અધિકારીઓ દ્વારા ભૂસ્ખલન અને સબસિડેન્સ હિટ ઝોન જાહેર કર્યું છે. અત્યાર સુધી કુલ 168 પરિવારોને અસ્થાયી રાહત કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા છે.
સબસિડેન્સ શું છે?
નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA)ના મતે સબસિડન્સએ ભૂગર્ભ સામગ્રીની હિલચાલને કારણે જમીનનું ડૂબી જવું છે. તે માનવસર્જિત અથવા કુદરતી, ખાણકામ પ્રવૃત્તિઓ સાથે પાણી, તેલ અથવા કુદરતી સંસાધનોને દૂર કરવા જેવા ઘણા કારણોસર થઈ શકે છે. ધરતીકંપ, જમીનનું ધોવાણ અને જમીનનું સંકોચન પણ ઘટનાના કેટલાક જાણીતા કારણો છે.

યૂએસ સ્થિત એજન્સીની વેબસાઇટે જણાવ્યું કે આ ઘટના આખા રાજ્યો અથવા પ્રાંતો જેવા ઘણા મોટા ક્ષેત્રો કે તમારા યાર્ડના ખૂણા જેવા ખૂબ નાના વિસ્તારોમાં થઈ શકે છે.
આ પણ વાંચો – જોશીમઠની ખતરાની ઘંટી 46 વર્ષ પહેલાથી જુલાઈ 2021 સુધીના રિપોર્ટમાં વાગતી રહી
જોશીમઠ કેમ ડૂબી રહ્યું છે?
જોશીમઠમાં જમીન ધસી પડવા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ નિષ્ણાંતો કહે છે કે તે બિનઆયોજિત બાંધકામ, વધારે પડતી વસ્તી, પાણીના કુદરતી પ્રવાહમાં અવરોધ અને હાઇડલ પાવર પ્રવૃત્તિઓને કારણે થયું હોઈ શકે છે.

આ સિવાય આ વિસ્તાર સિસ્મિક ઝોન છે, જેના કારણે વારંવાર આંચકા આવવાનો ખતરો બન્યો રહે છે. જોશીમઠ માટે ખતરાની ઘંટડી લગભગ 50 વર્ષ પહેલાં એમસી મિશ્રા સમિતિના રિપોર્ટમાં જોવા મળી હતી. જેમાં પહેલાથી જ કુદરતી નબળાઈઓ ધરાવતા વિસ્તારમાં બિનઆયોજિત વિકાસ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
નિષ્ણાંતોના મતે જોશીમઠ શહેર પ્રાચીન ભૂસ્ખલન સામગ્રી પર બાંધવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે તે રેતી અને પથ્થરના જમાવ પર ટકેલું છે. તે ખડક પર નથી જેની ભાર વહન કરવાની ક્ષમતા વધારે નથી. આ સિવાય એક યોગ્ય ડ્રેનેજ સિસ્ટમનો અભાવ પણ વિસ્તારને ધસવામાં ફાળો આપી શકે છે. જમા થયેલું પાણી નીચે ખડકોમાં પ્રવેશ કરીને તેને નરમ પાડે છે.