/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-66.jpg)
શરદ પવાર સાથે સુપ્રિય સુલે, જમણી બાજુ અજિત પવાર. ((photo - facebook)
(આલોક દેશપાંડે) Sharad pawar NCP Supriya sule Maharashtra : એનસીપીના વડા શરદ પવારે પાર્ટીના 25માં સ્થાપના દિવસ પર મોટી જાહેરાત કરતા 2 કાર્યકારી પ્રમુખોની ઘોષણા કરી છે. સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલ બંનેને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પરંતુ અજિત પવારને કોઈ નવી જવાબદારી આપવામાં આવી ન હતી, તેમને મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. હવે શરદ પવારની રાજનીતિ એવી થઈ ગઈ છે કે, તેમનો કોઈ પણ નિર્ણય માત્ર નિર્ણય નથી હોતો, પરંતુ સારી રીતે વિચારેલી વ્યૂહરચના હોય છે.
અજિત પવારે વિશ્વાસ કેવી રીતે ગુમાવ્યો?
હવે આ એક નિર્ણય પાછળ પણ એક કહાની છે. અજિતના ખિસ્સા ખાલી રહેવા એ કોઈ અકસ્માત નથી, બલ્કે 2019ના ટ્રેલરે જ સંકેત આપી દીધા હતા. હકીકતમાં, 2019ની ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભાજપ સૌથી મોટી પાર્ટી બની, પરંતુ બહુમતીથી ઓછી પડી. શિવસેના સાથે જવું નિશ્ચિત લાગતું હતું, પરંતુ મુખ્યમંત્રીની ખુરશીએ સમીકરણો બદલી નાખ્યા અને ઉદ્ધવ એનસીપી-કોંગ્રેસની સાથે ગયા. તે સમયે એક બીજી પણ કહાણી ચાલી રહી હતી કે અજિત પવારે ભાજપ સાથે સંપર્કમાં હોવાની સાથે સાથે એવો દાવો કર્યો કે તેમની સાથે ઘણા એનસીપી ધારાસભ્યો છે અને આના દમ પર જ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા, નાયબ મુખ્યમંત્રીનું પદ અજીત પાવરને મળ્યું, પરંતુ માત્ર 72 કલાકમાં બધુ જ બદલાઇ ગયુ. શરદ પવાર રિયલ બોસ સાબિત થયા, કોંગ્રેસ- શિવસેનાની સાથે મળીને સ્પષ્ટ બહુમતિ સાબિત કરી અને ઉદ્ધવ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા.
આ ઘટના ચોક્કસપણે જૂની છે, પરંતુ તે અજિત વિશે શરદ પવારના મનમાં મૂંઝવણ ઊભી કરનાર હતી. શરદ પવારને ક્યારેય અપેક્ષા નહોતી કરી કે અજીત તેમના નિર્ણયની વિરુદ્ધ જઈને ભાજપ સાથે હાથ મિલાવશે. તે ઘરે પરત ફર્યો, પરંતુ અવિશ્વાસની ખીણ પહેલેથી જ ઊભી થઈ ગઈ હતી. હવે આ ઘટનાના પાંચ વર્ષ બાદ ફરી એવું વાતાવરણ સર્જાયું જ્યારે અજીત ફરીથી ભાજપ સાથે હાથ મિલાવી શકે છે. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે 25થી વધુ ધારાસભ્યોનું સમર્થન અજીત સાથે છે. જો આ દાવાઓ સાચા સાબિત થયા હોત તો ઉદ્ધવ પછી મહારાષ્ટ્રમાં શરદ પવાર સાથે મોટી રાજકીય રમત રમાઇ ગઇ હોત. બસ, આ માત્ર અટકળો હતી અને શરદ પવારે યોગ્ય સમયે મોટો રાજકીય નિર્ણય લીધો હતો.
પવારનું રાજીનામું અને અજિતની પ્રતિક્રિયા
તેમના વતી ધોષણા કરવામાં આવી હતી કે તેઓ NCP અધ્યક્ષ પદ છોડી રહ્યા છે. કાર્યકરો ચોંકી ગયા હતા, પાર્ટીની અંદર ખળભળાટ મચી ગયો હતો. પણ ત્યાં સુધી શરદ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. તેમના નિર્ણયનો સર્વત્ર વિરોધ થઈ રહ્યો હતો, કાર્યકર્તાઓ તેને સ્વીકારવા તૈયાર નહોતા, પરંતુ અજિત પવારનું એક અલગ જ નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે શરદ પવારના નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને નવા નેતૃત્વને તક મળવી જોઈએ. તેમના નિવેદને રાજકીય ગલિયારામાં એક અલગ જ માહોલ ઉભો કર્યો હતો. અજીત એનસીપીના આગામી અધ્યક્ષ બનશે તેવું માનવામાં આવતું હતું. પરંતુ આવા સંદેશાઓ અજિતની છાવણીમાંથી જ જતા હતા, વધુ વિશ્વસનીય અટકળો એ હતી કે સુપ્રિયા સુલે નવા અધ્યક્ષ બની શકે છે, તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મોટું પદ આપવાની તૈયારી કરાઇ રહી છે.
અજિત ગુસ્સે થયો, શરદ પવાર જોતા જ રહ્યા
હવે, તે સમયે કાર્યકરોની નારાજગી જોઈને શરદ પવારે રાજીનામું પાછું લઈ લીધું હતું, પરંતુ એવું માનવામાં આવતું હતું કે જ્યારે તક આવશે ત્યારે માત્ર સુપ્રિયા સુલેને જ તાજ પહેરાવવામાં આવશે અને અજિત મહારાષ્ટ્ર સુધી સીમિત થઈ જશે. હવે આ અટકળો બાદ શનિવારે જ્યારે હવે એનસીપી પ્રમુખે સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યુછે કે આગામી સમયમાં અધ્યક્ષ પદને ળઇને કોઇ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. એવી પણ અટકળો છે કે હવે અજિત પવારને પક્ષની કમાન મળવી મુશ્કેલ છે, તેમને મહારાષ્ટ્રની રાજનીતિમાં રસ છે, એવામાં તેમને રાજ્ય સુધી તેમને સિમિત રાખવાની પણ તૈયારી છે.
હવે અજિત માટે આ એક મોટા રાજકીય આંચકા સમાન માનવામાં આવે છે, તેથી એક રીતે સુપ્રિયા સુલેનું રાષ્ટ્રીય રાજકારણમાં આ મોટું પદાર્પણ છે. આ પદાર્પણ જેનું સપનું શરદ પવાર પણ ઘણા સમયથી જોઈ રહ્યા હતા. રાજકીય નિષ્ણાતો માને છે કે શરદ પવારને અજીતનું બળવાખોર વલણ પસંદ નથી, જેના કારણે તેમણે એનસીપીના વડાનો વિશ્વાસ અમુક હદ સુધી ગુમાવ્યો છે. બીજી તરફ, સુપ્રિયા સુલે સતત પવારની સાથે અડગ રહી છે, તેમના નિર્ણયોનું સમર્થન કર્યું છે અને પક્ષના હિતમાં કામ કર્યું છે.
સુપ્રિયા સુલેનું આટલું મહત્વ કેમ અપાયું?
સુપ્રિયા સુલેએ 2006માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2009માં બારામતીથી લોકસભાના સાંસદ બન્યા અને ત્યાર બાદ સતત ત્રણ વખત ત્યાંથી મોટી જીત મેળવી રહ્યા છે.નિડરતા સાથે નિવેદન આપતા સુપ્રિયા સુલે સંસદમાં પણ ખૂબ જ સક્રિય રહ્યા અને તેના કારણે તેમને ઘણી મહત્વપૂર્ણ સમિતિઓના સભ્ય બનવાની તક મળી છે. આ ઉપરાંત વર્ષ 2011માં સ્ત્રી ભ્રૂણ હત્યા વિરુદ્ધનું તેમનું રાજ્યવ્યાપી આંદોલન ચર્ચામાં આવ્યું હતું.
પાછલા વર્ષે એનસીપીનું આઠમું અધિવેશન દિલ્હીમાં યોજાયું હતું, જેમાં શરદ પવાર, જયંત પાટીલ, સુપ્રિયા સુલે બધા હાજર હતા. પરંતુ કાર્યક્રમની વચ્ચે જ અજિત પવાર ઊભા થઈ ગયા, શરદ જોતા જ રહ્યા, સુપ્રિયા સુલેને પણ તેમને મનાવવા જવું પડ્યું, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અને કાર્યકરોની સામે એક મોટું રાજકીય નાટક થયું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે કાકા-ભત્રીજા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.
મોટી 'ગેમ' રમશે પવાર, સોનિયાને વડાપ્રધાન બનતા અટકાવ્યા હતા
આ નિર્ણય ઉપરાંત શરદ પવાર અગાઉ પણ ઘણા એવા પગલાં લીધા છે તેણે મહારાષ્ટ્ર ઉપરાંત સમગ્ર ભારતની રાજનીતિ પર ઉંડ છાપ છોડી છે. શરદ પવારે પોતાની રાજકીય કારકિર્દીમાં ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ સાથે સીધી ટક્કર કરી હતી. તેમના નિર્ણયોએ જ કોંગ્રેસમાં બે ભાગલા પાડ્યા, સોનિયા ગાંધીને વડાપ્રધાન બનતા અટકાવ્યા અને ફરી 2019માં ફડણવીસ- અજિતની રાજકીય ગેમની હવા કાઢી નાંખી હતી.
અહીં પણ તેઓ જે રીતે સોનિયા ગાંધીના માર્ગમાં અવરોધરૂપ બન્યા, તેમણે કોંગ્રેસનું સમીકરણ જ બદલ્યું એટલું જ નહીં, એક નવી પાર્ટીને જન્મ પણ આપ્યો.
આ વાત 1999ની છે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર માત્ર એક વોટથી પડી ભાંગી હતી. 13મી લોકસભાની ચૂંટણી આવવાની હતી ત્યારે સીતારામ કેસરીએ સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. એવી ચર્ચા હતી કે કોંગ્રેસ સોનિયા ગાંધીને વડાપ્રધાનના ચહેરા તરીકે રજૂ કરશે. પરંતુ ભાજપ આ મુદ્દાને સમજે તે પહેલા શરદ પવાર, તારિક અનવર અને પીએ સંગમાએ બળવો કર્યો. વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવીને સોનિયા ગાંધીને વડાપ્રધાન બનતા અટકાવ્યા અને શરદ પવારે ત્યારબાદ કોંગ્રેસથી અલગ થઇને નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનપીસી)ની રચના કરી. શરદ પવાર પોતાના એક નિર્ણયથી ઘણા સમીકરણોને એક સાથે સાધવામાં કુશળ છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં તિરૂપતિ બાલાજી મંદિર નિર્માણથી ભાજપ માટે દક્ષિણના રાજ્યોના 'દ્વાર' ખુલશે?
જે નેતા એક જ ઝાટકે નવો પક્ષ બનાવી શકે છે, જે નેતા 2019માં વિરોધી વિચારધારા ધરાવતા પક્ષોને એક કરી શકે છે, તેના કોઈપણ નિર્ણયને માત્ર એક જ નિર્ણયના દૃષ્ટિકોણથી જોવો અર્થહીન રહેશે કારણ કે તેના રાજકીય પરિણામો દૂરોગામી હોય છે અને મોટા રાજકીય નેતાઓની ગેમ બગાડશે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us