દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર જેવી વધુ એક ઘટના સામે આવી છે. દિલ્હીના સરાય કાલે ખાનમાં માનવ શરીરના ટુકડા મળી આવ્યા છે. ઘટનાની જાણ થતા દિલ્હી પોલીસે મૃતદેહના અંગો મહિલાના છે કે પુરુષના છે તે જાણવા માટે તપાસ માટે મોકલી આપ્યા છે. દિલ્હીના રિંગ રોડ પર રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) કન્સ્ટ્રક્શન સાઇટ પાસે માનવ શરીરના અંગો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું જણાય છે, તેથી IPC કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
માનવ શરીરના અંગો મળ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, સનલાઈટ કોલોની પોલીસ સ્ટેશનને રેપિડ મેટ્રોના નિર્માણ હેઠળના વિસ્તારમાં ફ્લાયઓવરને અડીને આવેલા સરાઈ કાલે ખાન ISBT રિંગ રોડ પાસે માનવ શરીરના અંગો મળી આવ્યા હોવાની માહિતી મળી હતી. એક સિનિયર પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, “અમને શરીરના અંગો મળવા અંગે એક PCR કોલ આવ્યો હતો. શરીરના અંગોને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.”
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે, ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમને માનવ શરીરના કેટલાક અંગો અને વાળના ટુકડા મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ફોરેન્સિક એક્સપર્ટ્સ દ્વારા ક્રાઈમ સીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મળી આવેલા માનવ અંગોની તપાસ માટે AIIMS ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે ઉમેર્યું કે, હવે મૃતકની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરીરના અંગો એક પ્લાસ્ટિકની થેલીમાં મળી આવ્યા હતા. લોકો એ જ્યારે આ જોયું તો ચોંકી ઉંઠ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે હત્યા બાદ મૃતદેહના ઘણા ટુકડા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેને છુપાવવા માટે પ્લાસ્ટિકની પોલિથીનમાં ફેંકી દેવામાં આવ્યા હતા.આ દરમિયાન જ્યારે દુર્ગંધ આવવા લાગી ત્યારે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી.
નિઠારી કાંડની યાદ તાજા થઇ ગઇ
તમને જણાવી દઈએ કે દિલ્હીમાં તાજેતરમાં બનેલી મર્ડરની ઘણી બધી ઘટનાઓએ નોઈડાની નિષ્ઠુર નિઠારી કાંડની યાદોને ફરી તાજી કરી દીધી છે. નિઠારી કેસની શરૂઆતમાં પણ આવા જ શરીરના અંગો મળી આવ્યા હતા. 29 ડિસેમ્બર 2006ના રોજ, નિથારી કાંડમાં મોનિન્દર સિંહ પંઢેરના ઘરની પાછળના ગટરમાંથી હાડપિંજર મળી આવ્યા હતા. આ કેસમાં પંઢેર અને સુરેન્દ્ર કોલીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.