Special Session of Parliament : કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીએ વિશેષ સત્ર સંબંધિત મુદ્દા પર પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને સવાલો ઉઠાવ્યા છે. સોનિયા ગાંધીએ પત્ર દ્વારા પ્રશ્ન ઉઠાવ્યો છે કે, વિપક્ષ સાથે ચર્ચા કર્યા વિના વિશેષ સત્રની જાહેરાત કેમ કરવામાં આવી? સોનિયા ગાંધીએ કહ્યું કે, સત્રમાં મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ સરકારના એજન્ડા પર નહીં. સોનિયા ગાંધીના પ્રશ્નોના જવાબમાં સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સંસદનું વિશેષ સત્ર સામાન્ય પ્રક્રિયા મુજબ બોલાવવામાં આવ્યું છે.
સંસદનું સત્ર બોલાવવાનો નિયમ શું છે?
કેન્દ્ર સરકારને સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદનું સત્ર બોલાવવાનો નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવે છે. રાષ્ટ્રપતિ કેબિનેટના પ્રસ્તાવને ઔપચારિક મંજૂરી આપે છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સંસદનું સત્ર બોલાવવામાં આવે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 85(1)માં લખ્યું છે કે રાષ્ટ્રપતિ જ્યારે પણ યોગ્ય લાગે ત્યારે સંસદના કોઈપણ ગૃહને બેઠક માટે બોલાવી શકે છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં કોઈ નિશ્ચિત સંસદીય કેલેન્ડર નથી. સામાન્ય રીતે સંસદ વર્ષમાં ત્રણ સત્રો માટે મળે છે. બંધારણમાં ક્યાંય વિશેષ સત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
વર્ષનું પ્રથમ સત્ર બજેટ સત્ર છે અને આ સત્ર સૌથી લાંબુ ચાલે છે. આ સત્ર જાન્યુઆરીના અંતમાં શરૂ થાય છે અને એપ્રિલના અંત સુધી ચાલે છે. બીજું સત્ર ચોમાસું સત્ર છે, જે સામાન્ય રીતે ત્રણ અઠવાડિયા સુધી ચાલે છે. તે જુલાઈમાં શરૂ થાય છે અને ઓગસ્ટ મહિનામાં સમાપ્ત થાય છે. સંસદીય વર્ષ શિયાળુ સત્ર સાથે સમાપ્ત થાય છે. આ સત્ર પણ ત્રણ અઠવાડિયા સુધી ચાલે છે. શિયાળુ સત્ર નવેમ્બરમાં શરૂ થાય છે અને ડિસેમ્બરમાં સમાપ્ત થાય છે. બંધારણ મુજબ સંસદના બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુનું અંતર ન હોવું જોઈએ. સંસદના આ ત્રણ સત્રો સિવાય બોલાવવામાં આવેલા સત્રને વિશેષ સત્ર કહેવામાં આવે છે. વિશેષ સત્ર બોલાવવાના કિસ્સામાં, સરકાર ગૃહના દરેક સભ્યને તારીખ અને સ્થળ વિશે માહિતગાર કરે છે.
સંસદ સત્રનો એજન્ડા જણાવવાનો નિયમ શું છે?
બંધારણનો નિયમ કહે છે કે, સંસદનું સત્ર બોલાવવા માટેની નોટિસ 15 દિવસ પહેલા આપવી પડે છે. જો કે સંસદ સત્ર પહેલા એજન્ડા જાહેર કરવો ફરજિયાત નથી. સંસદીય પરંપરા મુજબ, સરકાર સંસદની બેઠકના એક દિવસ પહેલા બુલેટિન જાહેર કરીને એજન્ડાની જાણકારી આપે છે. સરકાર પાસે અધિકાર હોય છે કે, તે પહેલેથી જ નક્કી કરેલા એજન્ડામાં ફેરફાર કરી શકે છે.
આ પણ વાંચો –
સરકારે ક્યારે એજન્ડામાં ફેરફાર કર્યો?
ભૂતકાળમાં ઘણી વખત સરકારે સંસદ સત્ર દરમિયાન એજન્ડામાં ફેરફાર કર્યો છે. 2019 માં ચોમાસુ સત્ર દરમિયાન, જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને રાજ્યોના પુનર્ગઠન સંબંધિત બિલ રજૂ કરતી વખતે એજન્ડામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ બિલોની માહિતી ગૃહમાં સ્થળ પર જ આપવામાં આવી હતી.