/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Sadhguru-Jaggi-Vasudev.jpg)
સદગુરુ જગ્ગી વાસુદેવ
Sadhguru Express Adda : વિશ્વભરમાં પ્રસિદ્ધ સદગુરુ જગ્ગી વાસુદેવ બુધવારે મુંબઈ એક્સપ્રેસ અડ્ડામાં સામેલ થશે. આ દરમિયાન તેઓ ઘણા વિષયો પર ચર્ચા કરશે. એક્સપ્રેસ અડ્ડામાં તેઓ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા સાથે વાતચીત કરશે. સદગુરુ ભારતના કોઇમ્બતુર સ્થિત ઇશા ફાઉન્ડેશનના સ્થાપક છે. આ ફાઉન્ડેશનની સ્થાપના 1992માં કરવામાં આવી હતી. આ ફાઉન્ડેશન આશ્રમ ચલાવે છે. જ્યાં આધ્યાત્મિક શિક્ષણની સાથે યોગ પણ શીખવવામાં આવે છે. આ ઉપરાંત સદગુરુ યોગી, રહસ્યવાદી, લેખક, કવિ, સ્વપ્નદ્રષ્ટા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વક્તા છે.
મૈસૂરમાં થયો હતો જન્મ
સદગુરુનો જન્મ 3 સપ્ટેમ્બર, 1957ના રોજ મૈસૂરમાં રાત્રે 11.54 વાગ્યે એક સંપન્ન પરિવારમાં થયો હતો. સદગુરુના ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો અનુયાયીઓ છે. તેઓ સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલી સમસ્યાઓને પોતાના શબ્દોથી ઉકેલે છે. તેઓ જીવનશૈલીને લગતી સમસ્યાઓથી પણ રાહત આપે છે. તેઓ લોકોને જીવન જીવવાની કળા વિશે માહિતી આપે છે. તેથી જ લોકો તેમને વધુ સંખ્યામાં ફોલો કરે છે.
જાણકારી અનુસાર સદગુરુને બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે લગાવ હતો. આ કારણે તેઓ થોડા દિવસ માટે જંગલોમાં ફરતા રહેતા હતા. તમને જણાવી દઈએ કે માત્ર 11 વર્ષની ઉંમરમાં જ સદગુરુએ યોગ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે શ્રી રાઘવેન્દ્ર રાવ પાસેથી યોગની શિક્ષા લીધી હતી.
સદગુરુએ 8 ભાષાઓમાં 100થી વધુ પુસ્તકો લખ્યા છે
ઈશા ફાઉન્ડેશન ભારત સહિત અમેરિકા, ઈંગ્લેન્ડ, લેબેનોન, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયામાં પોતાના કાર્યક્રમ દ્વારા યોગ શીખવે છે. આ ઉપરાંત ફાઉન્ડેશન ઘણી સામાજિક અને સામુદાયિક વિકાસ યોજનાઓ ઉપર પણ કામ કરે છે. રિપોર્ટ અનુસાર ઇશા ફાઉન્ડેશનને સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદમાં વિશેષ સલાહકારની પદવી પણ મળેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે સદગુરુએ 8 ભાષાઓમાં 100થી વધુ પુસ્તકો લખ્યા છે.
આ પણ વાંચો - દુ:ખના સમયમાં દરેક વ્યક્તિ પાસે માત્ર બે રસ્તા હોય છે – સદગુરુ પાસેથી જાણો જીવન જીવવાની ટીપ્સ
સદગુરુ પ્રોજેક્ટ ગ્રીનહેન્ડ્સ, રેલી ફોર રિવર્સ, કાવેરી કોલિંગ અને જર્ની ટુ સેવ સોઇલ પહેલમાં સામેલ છે. તેમને ઈન્દિરા ગાંધી પર્યાવરણ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. હાલ તેઓ ક્લાઇમેટ ચેન્જને લઇને 3 ડિસેમ્બરે દુબઇમાં યોજાનારા કાર્યક્રમમાં ઘણા આધ્યાત્મિક અને ધાર્મિક ગુરુઓનું નેતૃત્વ કરવા જઇ રહ્યા છે.
સદગુરુને પદ્મ વિભૂષણ સહિત ત્રણ રાષ્ટ્રપતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત સદગુરુને ઓક્સફોર્ડ, સ્ટેનફોર્ડ અને હાર્વર્ડ જેવી યુનિવર્સિટીઓમાં પણ પ્રખર વક્તના રૂપમાં બોલાવવામાં આવ્યા છે. આજે તેઓ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના પ્લેટફોર્મ એક્સપ્રેસ અડ્ડામાં વાતચીત કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us