supreme court article 370 verdict : સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર પોતાનો ચુકાદો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે X પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સંસદમાં લેવાયેલા નિર્ણય પર બંધારણીય મહોર લગાવે છે.
તેમણે પોતાની પોસ્ટમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને કહ્યું કે તેમની સરકાર એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે વિકાસનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. તેમણે કહ્યું કે કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે, જે 5 ઓગસ્ટ 2019ના રોજ સંસદમાં લેવાયેલા નિર્ણયને બંધારણીય મહોર આપે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આમા જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના આપણા ભાઈઓ-બહેનો માટે આશા, પ્રગતિ અને એકતાનો એક સશક્ત સંદેશ છે. માનનીય કોર્ટના આ નિર્ણયથી આપણી રાષ્ટ્રીય એકતાના મૂળ ભાવને વધારે મજબૂત કર્યા છે, જે દરેક ભારતવાસી માટે સર્વોચ્ચ છે.
આ પણ વાંચો – ગુલામ નબી આઝાદથી લઇને મહેબૂબા મુફ્તી સુધી, જાણો કાશ્મીરના નેતાઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર શું કહ્યું
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે હું જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના મારા પરિવારજનોને ખાતરી આપવા માંગુ છું કે અમે તમારા સપનાને પૂર્ણ કરવા માટે દરેક રીતે પ્રતિબદ્ધ છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માટે સંકલ્પબદ્ધ છીએ કે વિકાસનો લાભ સમાજનાં દરેક વર્ગ સુધી પહોંચે. કલમ 370નો દંશ ઝેલનાર કોઈ પણ વ્યક્તિ તેનાથી વંચિત ન રહે. આજનો ચુકાદો માત્ર કાનૂની દસ્તાવેજ જ નહીં, પણ આશાનું મોટું કિરણ પણ છે. તેમાં ઉજ્જવળ ભવિષ્યનું વચન આપે છે, સાથે એક મજબૂત અને એકજુટ ભારતના નિર્માણનો આપણો સામૂહિક સંકલ્પ પણ છે.
સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે પોતાના અને જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંત વતી ચુકાદો સંભળાવતા કહ્યું કે બંધારણની કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે અને રાષ્ટ્રપતિ પાસે તેને રદ કરવાની સત્તા છે. ટોચની અદાલતે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવાના ઓગસ્ટ 2019ના નિર્ણયની માન્યતાને પણ સમર્થન આપ્યું હતું. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે પૂર્વ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં દેશના અન્ય રાજ્યોની જેમ આંતરિક સાર્વભૌમત્વ નથી. તેમણે કહ્યું કે ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ-કાશ્મીરમાં પણ લાગુ થઈ શકે છે.





