સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં વોક્કાલિગા અને લિંગાયત સમુદાયો માટે 2-2 ટકા અનામત વધારવા અને ઓબીસી મુસ્લિમો માટે ચાર ટકા ક્વોટા ખતમ કરવાના કર્ણાટક સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પ્રથમ નજરે દોષપૂર્ણ કહ્યો છે. ગુરુવારે ન્યાયમૂર્તિ કેએમ જોસેફ અને ન્યાયમૂર્તિ બીવી નાગરત્નાની બેન્ચે કહ્યું કે કોર્ટ સામે રજુ કરવામાં આવેલા રેકોર્ડથી એવું પ્રતિત થાય છે કે કર્ણાટક સરકારનો નિર્ણય પુરી રીતે ખોટી ધારણા પર આધારિત છે. રાજ્ય સરકારના નિર્ણય પછી ત્યાં અનામનતી સીમા લગભગ 57 ટકા થઇ ગઇ છે.
કર્ણાટરના મુસ્લિમ સમુદાય તરફથી ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ, દુષ્યંત દવે અને ગોપાલ શંકરનારાયણને કહ્યું કે કોઇ અધ્યન કરવામાં આવ્યું નથી અને મુસલમાનોની અનામત ખતમ કરવા માટે સરકાર પાસે કોઇ વાસ્તવિક આંકડો ન હતો. કર્ણાટક સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ આ અરજીઓ પર જવાબ દાખલ કરવા માટે કેટલોક સમય આપવાની વિનંતી કરી અને બેન્ચને આશ્વાસન આપ્યું કે 24 માર્ચના સરકારી આદેશના આધારે કોઇ નિયુક્તિ કરી નથી.
આ પણ વાંચો – કર્ણાટકમાં મુસ્લિમો માટે OBC ક્વોટા રદ: લિંગાયત, વોક્કાલિગા પર ફોકસ, નવા ફેરફારોનો અર્થ શું છે
વોક્કાલિગા અને લિંગાયત સમુદાયોના સદસ્યો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે તેમને અરજીઓ પર પોતાનો જવાબ આપવાની મંજૂરી આપ્યા વિના કોઇ અંતરિમ આદેશ પારિત કરવો જોઈએ નહીં. બેન્ચે આગામી સુનાવણી માટે 18 એપ્રિલની તારીખ નક્કી કરી છે અને મહેતા અને રોહતગીને પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈના નેતૃત્વવાળી કર્ણાટક સરકારે રાજ્યમાં મુસલમાનોને મળતી 4 ટકા અનામતને ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. કર્ણાટક સરકારે ઓબીસી મુસલમાનો માટે ચાર ટકા ક્વોટા સમાપ્ત કરતા સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં અનામતની બે નવી શ્રેણીઓની જાહેરાત કરી હતી. ઓબીસી મુસલમાનના 4 ટકા ક્વોટાને વોક્કાલિગા (2 ટકા) અને લિંગાયત (2 ટકા) સમુદાયો વચ્ચે વહેંચી દીધા હતા. અનામત પાત્ર મુસલમાનોને 10 ટકા આર્થિક રુપથી નબળા વર્ગ (ઇડબલ્યુએસ) શ્રેણીમાં લાવવામાં આવ્યા હતા.