/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Gyanvapi.jpg)
જ્ઞાનવાપી કેમ્પસ (ફાઇલ ફોટો)
Gyanvapi ASI Survey : જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે અને નિર્ણય કર્યો છે કે જ્ઞાનવાપી કેમ્પસમાં એએસઆઈનો સર્વે ચાલુ રહેશે. સીજેઆઈ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે હાઈકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન એડિશનલ ડિરેક્ટર જનરલ એએસઆઈને સહાય માટે બોલાવવામાં આવ્યા હતા. એએસઆઈના એડીજીએ એક સોગંદનામું દાખલ કર્યું છે જેમાં પ્રસ્તાવિત સર્વેની પ્રકૃતિ જણાવવામાં આવી છે. એડીજીએ કરેલી દલીલો હાઇકોર્ટના ચુકાદામાં નોંધવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ વૈજ્ઞાનિક સર્વે માટે નિર્દેશ આપી શકે છે.
ખોદકામ કર્યા વિના સર્વેક્ષણ માટેનો આદેશ
સુપ્રીમ કોર્ટે એએસઆઈને આદેશ આપ્યો છે કે ખોદકામ કર્યા વગર સર્વે કરવામાં આવે. અગાઉ હાઇકોર્ટે પણ આવો જ નિર્ણય આપ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે જિલ્લા કોર્ટ પાસે આ કેસમાં 15 દિવસનો સમય માંગવામાં આવ્યો છે. 15 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જરૂર પડશે તો કોર્ટ પાસેથી વધારાનો સમય લેવામાં આવશે. મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે સર્વેનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવે અને તેને સાર્વજનિક ન કરવામાં આવે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સર્વેનો આદેશ જિલ્લા કોર્ટે આપ્યો છે. સર્વે રિપોર્ટ સાથે શું કરવામાં આવશે તે જિલ્લા કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે.
શૃંગાર ગૌરી કેસમાં આગામી સપ્તાહે થશે સુનાવણી
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ હુઝૈફા અહમદીએ કહ્યું કે અમે ટ્રાયલ કોર્ટની સુનાવણી પર પણ સ્ટેની માંગ કરી છે. શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે સુનાવણી કરશે. જોકે સીજેઆઈએ પૂજા સ્થળ અધિનિયમ સાથે જોડાયેલી અરજી પર હાલ સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.
આ પણ વાંચો - INDIA ગઠબંધનના ઘણા નેતાઓના સપના તુટ્યા, કોંગ્રેસની તાકાત વધી, રાહુલ ગાંધીને મળેલી સંજીવનીનું Analysis
હિન્દુ પક્ષે આપી આ દલીલ
હિન્દુ પક્ષ તરફથી હાજર રહેલા એડવોકેટ માધવી દિવાને જણાવ્યું હતું કે, એએસઆઈનો સર્વેમાં કોઈના અધિકારોનું હનન થશે નહીં. હિન્દુ પક્ષ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ ઇચ્છે તો કોર્ટ માટે સમગ્ર પ્રક્રિયાનું લાઇવ સ્ટ્રીમિંગ કરી શકાય છે. હિન્દુ પક્ષે કહ્યું કે વૈજ્ઞાનિક તપાસના આધારે જ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય છે.
અયોધ્યા કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. જીએસઈઆઈએ કહ્યું કે હંમેશા અરજી દાખલ કરીને દરેક વસ્તુને પડકારી શકીએ નહીં. બે કોર્ટોએ તમારી વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. સર્વેક્ષણ સાબિતી બહાર લાવશે અને તમારા કિસ્સામાં આગળ કામ કરશે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમારા અયોધ્યાના ચુકાદાને જુઓ તો સર્વેનું મહત્વ પુરાવા માટે છે. રામ મંદિરના મામલામાં તેના પર ચર્ચા થઇ હતી.
આ પહેલા ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના આદેશ સામે જ્ઞાનવાપી મસ્જિદ સમિતિના પડકારને ફગાવી દીધો હતો. જેમાં પરિસરના "વૈજ્ઞાનિક તપાસ / સર્વેક્ષણ / ખોદકામ ની માંગ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે ન્યાયના હિતમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ જરૂરી છે.
હાઈકોર્ટે વારાણસી જિલ્લા અદાલતના 21 જુલાઈના આદેશને પુન:સ્થાપિત કર્યો હતો. જેણે એએસઆઈને સૂચના આપી હતી કે વર્તમાન માળખું હિન્દુ મંદિરના પૂર્વ-અસ્તિત્વમાં રહેલા માળખા પર બનાવવામાં આવ્યું હતું કે કેમ તે શોધી કાઢે.
જ્ઞાનવાપી મસ્જિદ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી છે. ઉપલબ્ધ ઐતિહાસિક રેકોર્ડ અનુસાર, તે મૂળ કાશી વિશ્વનાથ મંદિરને ધ્વંસ કર્યા પછી મોગલ બાદશાહ ઔરંગઝેબના આદેશ પર 17મી સદીમાં બનાવવામાં આઈવી હતી. આ પછી 18 મી સદીના અંતમાં રાણી અહલ્યા બાઈ હોલકરના આદેશથી વર્તમાન મંદિરનું નિર્માણ મસ્જિદની બાજુમાં કરવામાં આવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us