Telangana Assembly Election 2023 : તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. 30 નવેમ્બરે રાજ્યમાં મતદાન થશે. આ કારણોસર તમામ રાજકીય પક્ષો ઝડપી પ્રચાર કરી રહ્યા છે. સોમવારે રાજ્યના સિદ્દીપેટમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે બીઆરએસના સાંસદ કોથા પ્રભાકર રેડ્ડીને કેટલાક અજાણ્યા શખ્સે પેટમાં છરીના ઘા માર્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બીઆરએસએ તેમને રાજ્યમાં 30 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં દુબ્બક બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. ન્યૂઝ ચેનલો પર પ્રસારિત થયેલા ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે પ્રભાકર રેડ્ડી એક વાહનમાં બેસીને પોતાના પેટ પર ચાકુના ઘા દબાવી રહ્યા છે.
આ ઘટના બાદ સિદ્દીપેટ પોલીસ કમિશ્નર એ શ્વેતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સાંસદ પ્રભાકર રેડ્ડી સુરક્ષિત છે. આ ઘટના દૌલતાબાદ મંડળના સુરામપલ્લી ગામની છે. સાંસદને ગજવેલમાં ખસેડવામાં આવ્યા છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું, NCP ધારાસભ્યનું ઘર સળગાવ્યું
રાજ્ય સરકારમાં મંત્રી ટી હરીશ રાવે જણાવ્યું હતું કે સાંસદને સી રાજુ નામના વ્યક્તિએ છરીના ઘા માર્યા હતા. બીઆરએસના કાર્યકરોએ હુમલાખોરને તાત્કાલિક પકડી પાડ્યો હતો. પોલીસને સોંપતા પહેલા હુમલાખોરને બીઆરએસના કાર્યકરોએ ઘણો માર માર્યો હતો. પોલીસ હુમલાખોરને હોસ્પિટલ લઈ ગઈ હતી.
મુખ્યમંત્રી કેસીઆરે શું કહ્યું?
સાંસદ પર હુમલા બાદ મુખ્યમંત્રી કેસીઆરે કહ્યું કે દુબ્બક ઉમેદવાર પર હુમલો કેસીઆર પર હુમલો છે. દરેક વ્યક્તિએ આવા કૃત્યની સ્પષ્ટ નિંદા કરવી જોઈએ. તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઇ સૌંદરરાજને ડીજીપીને ઉમેદવારોની સલામતી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.