NAFED and NCCF slashed Tomato prices: ટામેટાના ઉંચા ભાવથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. સરકારની માલિકીની બે સહકારી સંસ્થાઓ નીચા ભાવે ટામેટાનું વેચાણ કરશે. કેન્દ્ર સરકારે રવિવારે બે સહકારી સંસ્થાઓ- નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન (NCCF) અને નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) દ્વારા વેચાતા ટામેટાંના છૂટક ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. NCCF અને NAFED હવે 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કરશે, જે અગાઉના 90 રૂપિયાના ભાવથી 10 રૂપિયા સસ્તા છે.
કન્ઝ્યુમર અફેર્સ સેક્રેટરી રોહિત કુમાર સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “દેશના કેટલાક એવા સ્થળોએ ભાવ અસાધારણ રીતે ઊંચા બોલાઇ રહ્યા હતા ત્યાં સરકારે હસ્તક્ષેપ કરીને 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાના વેચવાનું શરૂ કર્યુ, ત્યારબાદ ત્યાંના બજારોમાં ટામેટાંના જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયો છે.
તેમણે ઉમેર્યું કે, “દેશમાં 500થી વધારે સ્થળોએ પરિસ્થિતિનું પુનઃ મૂલ્યાંકન કર્યા બાદ આજે રવિવાર 16 જુલાઈ, 2023થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
“નાફેડ અને એનસીસીએફ દ્વારા દિલ્હી , નોઈડા, લખનૌ , કાનપુર, વારાણસી, પટના, મુઝફ્ફરપુર અને અરાહમાં આજે કેટલાક સેલ્ પોઇન્ટ પર ટામેટાનું વેચાણ શરૂ થયું છે . આવા સ્થળો પર પ્રવર્તમાન બજાર કિંમતોને આધારે આવતીકાલથી અન્ય શહેરોમાં પણ વેચાણની શરૂઆત કરવામાં આવશે,” એવું તેમણે જણાવ્યું હતું.
છેલ્લા એકાદ મહિનાથી ટામેટાના ભાવ રોકેટ ગતિએ વધીને 250 રૂપિયા પ્રતિ કિલોની ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી જતા ગૃહિણીઓથી લઇ હોટેલ સંચાલકો પણ હેરાન-પરેશાન થઇ ગયા હતા. બજારમાં ટામેટાની ઓછી સપ્લાય અને પાકને નુકસાનના અહેવાલથી ભાવ ઝડપથી વધ્યા હતા. મોઘવારીથી પરેશાન લોકોને રાહત આપવા માટે એક્શનમાં આવેલી કેન્દ્ સરકારે NAFED અને NCCFને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાંની તાત્કાલિક ખરીદી કરવા નિર્દેશ આપ્યો છે.
Disclaimer: આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો





