Sourav Roy Barman: ત્રિપુરામાં ભાજપે વામ દળોના 25 વર્ષના શાસનને જળમૂળમાંથી ઉખાડી ફેંકવાના પાંચ વર્ષ પછી રાજ્ય ફરી એકવાર આજે વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય લડાઈ માટે તૈયાર છે. આજે 16 ફેબ્રુઆરીના રોજ ત્રિપુરા ખાતે વિધાનસભા ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.
માકપા-કોંગ્રેસ ગઠબંધન અને ટીપરા મોથાએ તેમની તાકાત જાળવી રાખવા માટે પડકાર સતારૂઢ તરફથી મેદાને ઉતરેલા ઉમેદવારોને પડકાર ફેંક્યો છે. તો વામ મોરચો અને કોંગ્રેસ વિપક્ષના મતોમાં કોઈ પણ પ્રકારના વિભાજનને રોકવા માટે બેઠક વહેંચણીની વ્યવસ્થા હેઠળ ચૂંટણી લડી રહ્યા છે.
બીજી બાજુ ટીપરા મોથા છે, જેનું નેતૃત્વ પૂર્વ રાજવી પરિવારના સભ્ય પ્રદ્યોત દેબબર્મા કરી રહ્યા છે, જે સંભવિત મતો મેળવ્યા પછી રાજ્યમાં સરકાર બનાવવામાં ભૂમિકા ભજવી શકે છે. મહત્વનું છે કે, ત્રિપુરામાં આજે યોજાયેલી વિઘાનસભા ચૂંટણીનું પરિણામ 2 માર્ચે આવી જશે. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ધ ઈન્ડિયન એક્સપ્રેસે ત્રિપુરાની રાજનીતિનો વિસ્તારપૂર્વક ખુલાસો કર્યો છે.
ટીપરા મોથાના વડા પ્રદ્યોત દેબબર્મા ચૂંટણી લડી રહ્યા નથી. ભાજપ 55 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે તેના સહયોગી આઈપીએફટીએ (IPFT) 6 બેઠકો માટે ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. એક બેઠક પર મૈત્રીપૂર્ણ મુકાબલો થશે. તો માકપા 47 બેઠકો પર જીત હાંસિલ કરવા માટે ચૂંટણી લડી રહી છે, જ્યારે તેની સહયોગી પાર્ટી કોંગ્રેસ 13 સીટો પર ચૂંટણી લડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ટીપરા મોથાએ વિધાનસભાની 42 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે. તૃણમૂલ કોંગ્રેસની વાત કરીએ આ સંઘે 28 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે 58 અપક્ષ ઉમેદવારો છે. નવાઇની વાત એ છે કે, રાજ્યમાં સત્તારૂઢ ભાજપે સૌથી વધુ 12 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
ત્રિપુરાના રાજકારણને અહીં સમજો:
1) આદિવાસી મતઃ 60 સભ્યોની વિધાનસભામાં 20 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. મહત્વનું છે કે, ત્રિપુરા એક સમયે આદિવાસી પ્રભુત્વ ધરાવતું રાજ્ય હતું. વિભાજન પહેલાંના વર્ષો અને 1971 (બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધનું વર્ષ) વચ્ચે ધરખમ ફેરફારો જોવા મળ્યા છે.
2011ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તીમાં આદિવાસીઓનો હિસ્સો ઘટીને 31.8 ટકા થયો છે. જેને પગલે ભયંકર જાતિવાદ સંઘર્ષે જન્મ્યો છે. જો કે હાલ તે થંભી ગયો છે. પરંતુ સમય સમયે સ્થાનિક સંગઠન સંસ્કૃતિ, રાજકારણ તથા વહીવટના ક્ષેત્રોમાં બંગાળી સમુદાયના વર્ચસ્વ સામે આદિવાસીઓની ચિંતા અને રોષનો લાભ લે છે.
ટીપરા મોથા આવા જ એક નવા ખેલાડી છે, જેમણે 19 સૂચિત સમુદાયોમાં વિભાજિત આદિવાસીઓના મોટા વર્ગની આશાઓ પર કબજો જમાવ્યો છે, જ્યારે પાર્ટીએ 42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જે મોટાભાગે ST-અનામત મતવિસ્તાર સુધી મર્યાદિત છે. ત્રિશંકુ વિધાનસભાના કિસ્સામાં પ્રદ્યોત દેબબર્મા કિંગમેકર સાબિત થશે.
2) બંગાળી સમુદાય: રાજ્યની લગભગ 70 ટકા વસ્તી બંગાળી સમુદાય સાથે સંબંધિત છે, જે લાંબા સમયથી ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે વિભાજિત હતી. જ્યારે વામપંથિઓને બૌદ્ધિક વર્ગ સિવાય મજૂર વર્ગની વસ્તીમાં ઊંડો પ્રવેશ કર્યો, ત્યારે શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનો મજબૂત પાયો હતો. પરંતુ આ સમીકરણ વર્ષ 2018માં ભાજપના ઉદય સાથે બદલાઈ ગયું, જે મોટાભાગે પરંપરાગત કોંગ્રેસના મતદારો દ્વારા આપવામાં આવેલ સમર્થનના આધારે સત્તા પર આવી હતી.
કટ્ટર હરીફ ડાબેરી મોરચો અને કોંગ્રેસ આ વખતે બેઠકોની વહેંચણીના સોદાને અંતિમ સ્વરૂપ આપે છે તે રસપ્રદ રહેશે. જુઓ બંગાળીઓ કઈ તરફ ઝૂકે છે. આવા સંજોગોમાં ભાજપને લાગે છે કે બંગાળી મતદારોનો એક મોટો વર્ગ ડાબેરી-કોંગ્રેસની વ્યવસ્થાને પસંદ નહીં કરે. બીજેપીને એવી પણ આશા છે કે ટીપરા મોથાના ઉદયને કારણે પેદા થયેલી ચિંતા પાર્ટીને તેના બંગાળી મતો વધારવામાં મદદ કરશે.
3) ભૂતપૂર્વ શાહી પરિવાર: રાજ્યની રાજધાની અગરતલાના મધ્યમાં, ચમકતો સફેદ ઉજ્જયંત મહેલ પેલેસ સ્થિત છે, જે માણિક્ય વંશની સત્તાનું કેન્દ્ર હતું, જેણે 13મી સદીના અંતથી 15 ઓક્ટોબર 1949ના રોજ ભારત સંઘ સાથે કરાર પત્ર પર હસ્તાક્ષર કરવા સુધી ત્રિપુરા અથવા દ્વિપ્રા રાજ્ય પર શાસન કર્યું હતું.
જ્યારે પરિવારના ઓછામાં ઓછા બે સભ્યો – છેલ્લા રાજા કિરીટ બિક્રમ માણિક્ય અને તેમની પત્ની બિભુ કુમારી દેવી કોંગ્રેસની ટિકિટ પર લોકસભામાં ચૂંટાયા હતા, તેઓ ચૂંટણીના મોજાને ફેરવવા માટે પૂરતા ન હતા. જો કે, તેમના પુત્ર પ્રદ્યોત દેબબર્મા આદિવાસીઓમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. કારણ કે તાજેતરના વર્ષોમાં તેમની ‘ગ્રેટર ટિપ્પરલેન્ડ’ની માંગ વધી છે. તેમણે સપ્ટેમ્બર 2019 સુધી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
4) ગ્રેટર ટિપ્પરલેન્ડ: શરૂઆતમાં પ્રદ્યોત દેબબર્માએ કહ્યું હતું કે, બંગાળી આધિપત્યના જોખમનો સામનો કરી રહેલા અધિકારો, વારસો અને સંસ્કૃતિને સુરક્ષિત કરવા માટે ‘ગ્રેટર ટિપ્પરલેન્ડ’ ત્રિપુરાથી અલગ રાજ્ય હશે. જો કે, જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ તેમણે તેમની સ્થિતિ નરમ પાડતા કહ્યું કે તેઓ કોઈપણ પ્રાદેશિક વિભાજન વિના, ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (TTADC) હેઠળના પ્રદેશોના સંપૂર્ણ રાજકીય વિભાજનની અનિવાર્યપણે માંગ કરી રહ્યા છે.
TTADC ની રચના 1985માં બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ આદિવાસી સમુદાયો અને સાંસ્કૃતિક વારસાના વિકાસ અને અધિકારોને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી. તેની પાસે કેટલીક કાયદાકીય અને કારોબારી સત્તાઓ છે. ટીપરા મોથા દાવો કરે છે કે, TTADCએ માત્ર એક ધૂર્ત છે અને તેને નવા ‘બંધારણીય માપદંડ’ હેઠળ વધુ અસરકારક સિસ્ટમ સાથે બદલવાની જરૂર છે.
5) સામ્યવાદીઓનો ઇતિહાસ: ભારતની આઝાદીના ઘણા સમય પહેલા જ ત્રિપુરામાં સામ્યવાદીઓએ કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે મુખ્યત્વે આદિવાસી સમુદાયો વચ્ચે કામ કર્યું, જે આખરે એક સંસ્થાના બિલ્ડીંગ બ્લોક્સની રચના કરશે.
સામ્યવાદીઓએ આદિવાસીઓને ગરીબ રાખવાનો આરોપ લગાવીને શાહી શાસનને નિશાન બનાવ્યું. અવિભાજિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રવેશની પૂર્વશરત તરીકે આદિવાસી જનતામાં શિક્ષણનો પ્રકાશ ફેલાવવા માટે ત્રિપુરા જન શિક્ષા સમિતિ નામની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. દશરથ દેબ જે તેના નેતાઓમાં હતા બાદમાં (1993-1998 વચ્ચે) રાજ્યના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.