Mansa Devi Temple Stampede In Haridwar : ઉત્તરાખંડ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ નાસભાગ મચી હતી. મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 લોકોના કરુણ મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ ANI ને જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ ભાગદોડમાં 6 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાનો વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ગઢવાલના વિભાગીય કમિશનર વિનય શંકર પાંડેએ એએનઆઈને જણાવ્યું હતું કે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. ભાગદોડ દરમિયાન અનેક લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, પ્રશાસન અને સરકારી સ્ટાફના તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના બાદ મંદિરની આસપાસથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી હરિદ્વારમાં કાવડ યાત્રાના પગલે મોટી સંખ્યામાં કાવડિયાઓ હરિદ્વાર આવ્યા હતા. હવે કાવડિયાઓને ઘટનાસ્થળેથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
તમને જણાવી દઇયે કે, હરિદ્વારનું મનસા દેવી 51 શક્તિપીઠમાં સામેલ છે. હરિદ્વારના મનસા દેવી અને ચંડી દેવી મંદિર ઉંચા પહાડ પર આવેલું છે, મંદિર સુધી પહોંચવા માટે રોપ વેની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ ભારે ભીડને કારણે મોટી સંખ્યામાં લોકો રોપ-વેને બદલે પગપાળા જ રસ્તો પસંદ કરે છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હરિદ્વાર સ્થિત મનસા દેવી મંદિર માર્ગમાં નાસભાગ થવાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં પુષ્કર સિંહ ધામીએ લખ્યું છે. હરિદ્વાર સ્થિત મનસા દેવી મંદિર માર્ગમાં નાસભાગ થવાના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક પોલીસ અન્ય બચાવ દળ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.





