Uttarkashi Tunnel Update : ઉત્તરકાશીના સિલ્કયારા ટનલમાં 17 દિવસ સુધી ચાલી રહેલો સંઘર્ષ આખરે સફળ રહ્યો છે. દિવાળીથી ચાલી રહેલું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. મંગળવારે સાંજે બરાબર 7 કલાકેને 5 મિનિટે પાઈપો કાટમાળની આરપાપ થઇ ગઇ હતી. આ પછી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પાઇપો દ્વારા અંદર ગઈ હતી અને ત્યારબાદ બચાવ કામગીરી શરૂ થઈ હતી. ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. ટનલમાંથી બહાર આવેલા પ્રથમ શ્રમિકે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે સાથે વાતચીત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ મજૂરોની તબિયત સારી છે. પાઈપમાંથી પ્રથમ શ્રમિક બહાર આવ્યા બાદ સુરંગની અંદર અને ટનલની બહાર ‘ભારત માતા કી જય’ના નારા લાગવા લાગ્યા હતા. ટનલની બહાર અનેક લોકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.
જ્યારે પ્રથમ મજૂર ટનલમાંથી બહાર આવ્યો ત્યારે સીએમ પુષ્કર સિંહ ધામીએ હાર પહેરાવીને તેનું સ્વાગત કર્યું હતું. ધીરે ધીરે એક પછી એક બધા જ શ્રમિકો બહાર આવવા લાગ્યા હતા. તમામ 41 શ્રમિકોને 30 મિનિટની અંદર બચાવી લેવામાં આવ્યા હતા. આ તમામનું રેસ્ક્યુ ટીમ અને વહીવટી તંત્ર દ્વારા ટનલમાં હાજર લોકોએ તાળીઓ પાડીને અને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ટનલના બહાર પણમાં પણ શ્રમિકોના સાથીઓ અને પરિવારજનો તેમની રાહ જોઈ રહ્યા હતા. બચાવ કામગીરી સફળ થયા બાદ અનેક શ્રમિકોની આંખમાંથી ખુશીના આંસુ આવી ગયા હતા. સ્થાનિક લોકોએ પણ ટનલની બહાર સારા સમાચારની રાહ જોતા લોકોમાં અને કામદારોમાં લાડુ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.
બચાવ બાદ આરોગ્ય તપાસ કરવામાં આવી
શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા બાદ તરત જ ટનલમાં હાજર ડોક્ટરોની ટીમે તેમની આરોગ્ય તપાસણી કરી હતી. આ પછી તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ટનલમાંથી બચાવવામાં આવેલા તમામ 41 મજૂરોની તબિયત એકદમ ઠીક છે.
આ પણ વાંચો – કોણ છે બાબા બૌખ નાગ દેવતા? સિલ્કયારાના લોકોનો દાવો – તેમની કૃપાથી જ થશે કલ્યાણ
નીતિન ગડકરીએ કહ્યું – હું ખુશ છું, રાહત અનુભવી રહ્યો છું
સિલ્કયારા ટનલમાંથી કામદારોને સફળતાપૂર્વક બચાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે હું સંપૂર્ણપણે રાહત અનુભવી રહ્યો છું અને ખુશ છું કારણ કે સિલ્કયારા ટનલ અકસ્માતમાં ફસાયેલા 41 મજૂરોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે આ વિવિધ એજન્સીઓનો પ્રયાસ છે, જે તાજેતરનાં વર્ષોમાં સૌથી મહત્ત્વપૂર્ણ બચાવ કામગીરીઓમાંની એક છે. અનેક પડકારોનો સામનો કરવા છતાં, વિવિધ વિભાગો અને એજન્સીઓએ એકબીજાને મદદ કરી. સૌના અથાગ અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો અને સૌની પ્રાર્થનાને કારણે આ ઓપરેશન શક્ય બન્યું હતું.