/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Kedarnath-temple.jpg)
કેદારનાથ મંદિર (Pics - uttarakhandtourism)
Morari Bapu inside Kedarnath Temple : શ્રી બદ્રીનાથ-કેદારનાથ ટેમ્પલ કમિટી (BKTC)એ કેદારનાથ મંદિરની બહાર સાઇન બોર્ડ લગાવ્યા છે, જેમાં લોકોને મંદિરમાં ફોટોગ્રાફ્સ અથવા વીડિયો લેવાની ના પાડવામાં આવી છે. જો પકડવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ બોર્ડ લગાવ્યાના થોડા દિવસો પછી ગર્ભગૃહની અંદર પ્રખ્યાત કથાકાર મોરારી બાપુનો વાયરલ ફોટો સામે આવ્યો છે. જેના પર કોંગ્રેસ સવાલ ઉઠાવ્યા છે.
બીજી તરફ બીકેટીસીએ દાવો કર્યો હતો કે આ ફોટા એક યાત્રાળુ દ્વારા લાગણીમાં આવીને ક્લિક કર્યો હતો. શુક્રવારે લેવામાં આવેલા આ વાયરલ ફોટામાં મોરારી બાપુ હિમાલયના મંદિરના ગર્ભગૃહની અંદર પૂજા-અર્ચના કરતા જોવા મળે છે. રામકથાઓ માટે જાણીતા મોરારી બાપુ 12 જ્યોતિર્લિંગોમાં જઇને રામકથા કરી રહ્યા છે. તેની શરૂઆત કેદારનાથથી થઇ રહી છે. આ પહેલા તે ગર્ભગૃહમાં દર્શન કરવા ગયા હતા.
એક વીડિયો નિવેદનમાં ઉત્તરાખંડ કોંગ્રેસના નેતા અને બીકેટીસીના પૂર્વ પ્રમુખ ગણેશ ગોડિયાલે શનિવારે ધ્યાન દોર્યું હતું કે બીકેટીસીના આદેશોનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે થોડા દિવસો પહેલા સમિતિએ કહ્યું હતું કે કેદારનાથજીના ગર્ભગૃહની અંદર કોઈ પણ વીડિયો રેકોર્ડિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ ગઈકાલે સાંજે એક વાયરલ વીડિયો આવ્યો હતો. જેમાં ગર્ભગૃહ બતાવવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે હું માનું છું કે સરકાર કશું જ સંભાળી શકતી નથી. લોકોએ આ સરકારને ઘણી આશા સાથે પસંદ કરી હતી કારણ કે તેઓએ લોકોના જીવનને વધુ સારું બનાવવાના વચનો આપ્યા હતા. એવું થયું નથી. તેના બદલે આપણા દેવાલયો સલામત નથી. સમિતિના આદેશોનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને પ્રભાવશાળી લોકો કેમેરા સાથે ત્યાં જઈ રહ્યા છે.
આ ઘટના માટે કોણ જવાબદાર છે તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે લગભગ 24 કલાક વીતી ગયા છે પરંતુ સરકારે કોઈ પણ પ્રકારની નોંધ કે કાર્યવાહી કરી નથી. બીકેટીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે કેદારનાથ ગર્ભગૃહની અંદર ફોટોગ્રાફ્સ લેવા અંગે કડક વલણ અપનાવ્યું છે.
બીજી તરફ સમિતિએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે કેદારનાથ ગર્ભગૃહનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી બીકેટીસીએ મંદિરમાં સ્થાપિત સીસીટીવી કેમેરાની સંપૂર્ણ તપાસ કરી અને તેને ક્લિક કરનાર વ્યક્તિને શોધી કાઢ્યો હતો. કાર્યવાહીના ડરથી ઈન્દોરના રહેવાસી આ યાત્રાળુએ લેખિતમાં માફી માંગી છે. પોતાના કૃત્યના બદલામાં યાત્રાળુએ બીકેટીસી ફંડમાં 11,000 રૂપિયાનું વિશેષ દાન પણ આપ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે પોતાની માફીમાં યાત્રાળુએ કહ્યું કે જ્યારે પ્રખ્યાત કથાવાચક મોરારી બાપુ ગર્ભગૃહ પહોંચ્યા ત્યારે તેઓ પણ ત્યાં હાજર હતા. લાગણીના આવેશમાં આવીને ગર્ભગૃહમાં શિવલિંગ સાથે બાપુનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. તીર્થયાત્રીએ એમ પણ કહ્યું છે કે ગર્ભગૃહની અંદર મંદિરના કર્મચારીઓએ તેમને ફોટોગ્રાફ્સ ન લેવાની સૂચના આપી હતી પરંતુ તે ભાવુક હોવાથી તેણે ગુપ્ત રીતે ફોટા ક્લિક કર્યા હતા.
કેદારનાથ મંદિર પરિસરમાં લોકો દ્વારા વાંધાજનક વીડિયો બનાવવાની અને નિયમોનો અનાદર કરવાની અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ બીકેટીસીએ મંદિરની બહાર સાઇન બોર્ડ લગાવીને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી હતી. હિન્દી અને અંગ્રેજીના લખેલા નોટિસ બોર્ડમાં કહ્યું છે કે મંદિરની અંદર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર સખત પ્રતિબંધ છે. એક સાઇનબોર્ડ લોકોને ચેતવણી પણ આપે છે કે તેઓ સીસીટીવી કેમેરાની નજરમાં છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં બીકેટીસીના અધ્યક્ષ અજેન્દ્ર અજયે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ નિયમ નવો નથી અને મંદિરની અંદર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર હંમેશા પ્રતિબંધ છે. તેમણે કહ્યું હતું કે લોકો વાંધાજનક વીડિયો બનાવે છે અને સોશિયલ મીડિયાના દૂષણને પગલે લોકોને નિયમોની જાણ થાય તે માટે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા હતા.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us