/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/Who-is-TN-Seshan-they-have-changed-face-of-Indian-elections-Why-Supreme-Court-remembered-him-1.jpg)
સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી અધિકારી (ચીફ ઇલેક્શન કમિશ્નલ) તરીકે ટી.એન. શેષન (T N Seshan) જેવા સ્પષ્ટ અને મજબૂત ચરિત્ર ધરાવતા વ્યક્તિઓની નિમણુંક કરવા ઉપર ભાર મૂક્યો છે. "તટસ્થતા"ની ખાતરી કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner)ની પસંદગી કરવા માટે નિમણૂક સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ કરવાના વિચારને આગળ ધપાવતા, સુપ્રીમ કોર્ટે 22 નવેમ્બર, મંગળવારે જણાવ્યુ હતુ કે, તેઓ સ્વર્ગસ્થ ટી.એન. શેષન જેવા મજબૂત વ્યક્તિને મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિમણુંક કરવાની ઇચ્છા ધરાવેછે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે બંધારણે મુખ્ય ચૂંટણી અધિકારી અને બે ચૂંટણી કમિશનરના "નાજુક ખભા" પર ભારે ભરખમ જવાબદારીઓ સોંપી છે, મુખ્ય ચૂંટણી અધિકારી એવી વ્યક્તિ હોવી જોઈએ જે "પોતાને કોઇ બાહ્ય સત્તાના દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ અને તટસ્થ રીતે પોતાની કામગીરી કરે".
જસ્ટિસ કે એમ જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય ખંડપીઠે જણાવ્યું હતું કે તેમનો પ્રયાસ એવી વ્યવસ્થા ગોઠવવાનો છે જેથી "શ્રેષ્ઠ માણસ"ને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પસંદ કરી શકાય.
ન્યાયધીશ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમારની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે, “આમ તો અત્યાર સુધી ઘણા બધા મુખ્ય ચૂંટણી અધિકારીઓ આવ્યા છે જો કે ટી.એન. શેષન જેવા ક્યારેક જ આવે છે. અમે નથી ઈચ્છતા કે તેઓ કોઇ વ્યક્તિના ઇશારે કામગીરી કરે. ટોચના ત્રણ ચૂંટણી અધિકારીઓના નાજુક ખભા પર ભારે ભરખમ જવાબદારીઓ સોંપવામાં આવી છે. અમારે મુખ્ય ચૂંટણી અધિકારીના પદ માટે શ્રેષ્ઠ માણસ શોધવાનો છે. પ્રશ્ન એ છે કે આપણે તે શ્રેષ્ઠ માણસને કેવી રીતે શોધી શકીએ અને તે શ્રેષ્ઠ માણસની નિમણૂક કેવી રીતે કરવી."
ટી. એન. શેષન કોણ હતા ?
તિરુનેલાઈ નારાયણ ઐયર શેષન જેમને ટૂંકમાં ટી. એન. શેષન તરીકે ઓળખવામાં આવે કહેવાય છે, તેઓની 12 ડિસેમ્બર, 1990 થી 11 ડિસેમ્બર 1996 સુધીના સમયગાળા માટે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
કેરળના પલક્કડ જિલ્લામાં જન્મેલા ટી.એન. શેષનને ભારતીય ચૂંટણી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ફેરફાર લાવવાનો શ્રેય આપવામાં આવે છે. મુખ્ય ચૂંટણી અધિકારી બનાવાની પહેલા તેઓ એટોમીક એનર્જી કમિશનના સચિવ અને સ્પેશ ડિપાર્ટમેન્ટમાં સંયુક્ત સચિવ સહિત ઘણા મહત્વપૂર્ણ સરકારી વિભાગોમાં મોટી જવાબદારીઓ નિભાવી છે. 10 નવેમ્બર 2019ના રોજ તેમનું અવસાન થયુ હતુ.
ભારતની ચૂંટણી પ્રક્રિયામાં તેમણે આપેલું યોગદાન
ભારતમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે 1950માં બંધારણીય સત્તા તરીકે સ્થપાયેલું, ભારતીય ચૂંટણી પંચની કામગીરી 1990 સુધી ચૂંટણીના નિરીક્ષકથી વધારે ન હતી. તે સમયે મતદારોને લાંચ આપવી સામાન્ય વાત હતી, ત્યારે ટી.એન. શેષને ચૂંટણી અધિકારી તરીકેની બંધારણમાં નિર્ધારિત પોતની સત્તાઓ અનુસાર તેનો ઉપયોગ અને અમલ કરવાનું શરૂ કર્યું.
તેમણે ભારતમાં ચૂંટણી યોજવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો અને ચૂંટણી દરમિયાન થયેલી 150 ગેરરીતિઓની યાદી રજૂ કરી, જેમાં દારૂનું વિતરણ, મતદારોને લાંચ આપવી, દિવાલો પર લખાણ લખવા પર પ્રતિબંધ, ચૂંટણી ભાષણોમાં ધર્મનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે મતદાર ઓળખ કાર્ડ (વોટર આઇડી કાર્ડ) , આચારસંહિતાનું મોડલ અને મતદાન ખર્ચની મર્યાદા લાગુ કરી હતી.
ચૂંટણી પ્રક્રિયાઓમાં ફેરફાર કરતી વખતે ટી.એન. શેષનના શાસક સરકાર સાથે ઘણી વખત અણબનાવ પણ બન્યા છે. વર્ષ 1993માં પીવી નરસિમ્હા રાવ હેઠળની તત્કાલીન સરકારે ભારતીય બંધારણની કલમ 342(2)[3] હેઠળ રાષ્ટ્રપતિની સંમતિ સાથે એક વટહુકમ લાવ્યો, જેમાં ચૂંટણી અધિકારીની સંખ્યા બે નક્કી કરી અને તેમાં એમએસ ગીલ અને જી.વી.જી. કૃષ્ણમૂર્તિ - તે બંનેને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. તેનો વિરોધ કરીને શેષને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને આરોપ લગાવ્યો કે આ પગલું તેમની સત્તાઓ પર મર્યાદા મૂકવા માટે લેવામાં આવ્યું હતું. જો કે તેમની અરજી ફગાવી દેવામાં આવી અને અદાલતે કહ્યુ કે, "આર્ટીકલ-324ની કલમ (2) ના આમુખમાં બહુમતીનો ખ્યાલ વ્યાપક રીતે વર્ણવેલો છે, જેમાં સ્પષ્ટપણે મુખ્ય ચૂંટણી અધિકારી અને એક અથવા વધુ ચૂંટણી અધિકારી ધરાવતા મલ્ટી-મેમ્બર ઇલેક્શન કમિશ્નરની કલ્પના કરવામાં આવી છે."
વર્ષ 1996માં ટી.એન. શેષનને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં રહેલી બદીઓ અને ગેરરીતિઓને દૂર કરવામાં ભજવેલી તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ રેમન મેગ્સેસે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે વર્ષ 1997માં કે. આર. નારાયણન સામે રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી હતી. તેમણે ચેન્નાઈમાં 10 નવેમ્બર, 2019ના રોજ અંતિમ શ્વાસ લીધો હતો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us