Wrestlers Protest:દિલ્હીના જંતર-મંતર પર રેસલર્સનો વિરોધ યથાવત્ છે. આ વિરોધ ડબ્લ્યુએફઆઈના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કાર્યવાહી માટે કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ધરણા સ્થળે પહોંચ્યા છે. તેમણે કુસ્તીબાજોને પોતાનો ખુલ્લો ટેકો આપ્યો છે. તેમના તરફથી એવો આગ્રહ રાખવામાં આવ્યો છે કે જેણે પણ ખોટું કર્યું છે તેને ફાંસીની સજા થવી જોઈએ.
સીએમ કેજરીવાલે કહ્યું કે આ સમયે દેશના પહેલવાનો નારાજ છે. દેશનું નામ રોશન કરનાર પહેલવાનો, દેશ માટે મેડલ જીતનારા પહેલવાનોને અહીં વિરોધ કરવાની ફરજ પડે છે. હું આખા દેશને અપીલ કરું છું કે રજા લો અને જંતર-મંતર પહોંચો. આ રેસલર્સને ટેકો આપો તેમને તમારા સાથની જરૂર છે. કેજરીવાલ જ્યારે પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમના સમર્થકોએ ત્યાં ઉભા રહીને ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
શનિવારે સીએમ કેજરીવાલ પહેલા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ જંતર-મંતરની મુલાકાત લીધી હતી. તેમણે પણ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ 2 FIR, બ્લ્યૂએફઆઈના પ્રમુખની ધરપકડ નહીં થાય ત્યાં સુધી પહેલવાનો ચાલું રાખશે ધરણાં
વિનેશ ફોગાટની મહેરબાનીથી હું સાંસદ નથી બન્યોઃ બ્રિજભૂષણ શરણ સિંહ
ડબ્લ્યુએફઆઈના વડા બ્રિજભૂષણ શરણ સિંહે શનિવારે (29 એપ્રિલ) એક પત્રકાર પરિષદમાં કુસ્તીબાજો દ્વારા તેમની સામેના વિરોધ અને દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆર અંગે જણાવ્યું હતું કે દરરોજ રેસલર્સ તેમની નવી માંગણીઓ લઈને આવી રહ્યા છે. તેઓએ એફઆઈઆરની માંગ કરી હતી, એફઆઈઆર દાખલ કરવામાં આવી અને હવે તેઓ કહી રહ્યા છે કે મને જેલમાં મોકલી દેવામાં આવે અને તમામ પદો પરથી રાજીનામું આપી દેવું જોઈએ. હું મારા મત વિસ્તારના લોકોને કારણે સાંસદ છું, વિનેશ ફોગાટના કારણે નહીં. એક જ પરિવાર અને અખાડા વિરોધ કરી રહ્યા છે હરિયાણાના 90 ટકા ખેલાડીઓ મારી સાથે છે.
દિલ્હીના જંતર-મંતર પર રેસલર્સના ધરણા વચ્ચે શુક્રવારે (28 એપ્રિલ) રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.