અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકીએ કહ્યું – અમારે ત્યાં ભારતીયોનું સ્વાગત છે

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકીએ કહ્યું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ કરવામાં આવશે નહીં. અમારા દેશમાં હવે માત્ર અફઘાનોનું શાસન છે અને અમે કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપને મંજૂરી આપીશું નહીં.

Written by Ashish Goyal
Updated : October 10, 2025 19:10 IST
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકીએ કહ્યું – અમારે ત્યાં ભારતીયોનું સ્વાગત છે
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકી ભારતના પ્રવાસે છે (તસવીર - એએનઆઈ વીડિયો ગ્રેબ)

Afghanistan FM Mawlawi Amir Khan Muttaqi : અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકીએ ભારતના લોકોને પોતાના દેશમાં કામ કરવા માટે નિમંત્રણ પાઠવ્યું છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ, વીજળી અને ખદાન ક્ષેત્રોમાં કામ કરવા માટે મોટી સંભાવનાઓ છે અને ભારતના લોકો ત્યાં આવીને કામ કરે. તેમનું અહીં સ્વાગત કરવામાં આવશે.

શુક્રવારે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં મુત્તાકીએ કહ્યું કે ભારત અને અફઘાનિસ્તાન એક વેપાર સમિતિની રચના કરવા સંમત થયા છે. અમે ઈચ્છીએ છીએ કે ભારતીય કંપનીઓ અને લોકો અફઘાનિસ્તાનમાં આવીને કામ કરે. હોસ્પિટલોમાં ડોક્ટર્સ, ખાણોમાં ટેકનિકલ નિષ્ણાતો, વીજળીના ક્ષેત્રમાં કુશળ એન્જિનિયરોની ખૂબ જ જરૂર છે. અફઘાનિસ્તાન તેમના માટે સલામત સ્થળ છે.

છેલ્લા ચાર વર્ષમાં આપણા સંબંધોમાં સુધારો થયો

મુત્તાકીએ કહ્યું કે ભારતીય વિદેશ મંત્રી સાથેની તેમની બેઠક દરમિયાન તેમને ખાતરી મળી હતી કે અફઘાનિસ્તાન તેના રાજદ્વારીઓને નવી દિલ્હી મોકલી શકે છે અને ભારત પણ તેના રાજદ્વારીઓને કાબુલ પરત મોકલવા પર પણ વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં આપણા સંબંધોમાં સુધારો થયો છે અને મારી ભારત યાત્રા આ દિશામાં એક નવી શરૂઆત છે.

અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ કરવામાં આવશે નહીં

પાકિસ્તાનના આતંકવાદના સવાલ પર મુત્તાકીએ સ્પષ્ટ કહ્યું હતું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ કરવામાં આવશે નહીં. અમારા દેશમાં હવે માત્ર અફઘાનોનું શાસન છે અને અમે કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપને મંજૂરી આપીશું નહીં.

મુત્તાકીએ દેવબંદ વિશે પણ રસપ્રદ વાત કરી હતી. તેમણે કહ્યું કે દેવબંદ ઇસ્લામિક વિશ્વનું મોટું કેન્દ્ર છે અને અફઘાનિસ્તાન સાથે તેનો લાંબા સમયથી સંબંધ છે. હું ત્યાં ઉલેમાઓને મળવા જઇ રહ્યો છું જેથી અમારા વિદ્યાર્થીઓ પણ અહીં આવીને અભ્યાસ કરી શકે.

અફઘાનિસ્તાન હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે

તેમણે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાન હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે અમારા દેશની એક ઇંચ જમીન ઉપર પણ કોઈનો કબજો નથી. છેલ્લા ચાર વર્ષમાં તમામ વિદેશી તાકાતોને હટાવી દેવામાં આવી છે. છેલ્લા આઠ મહિનામાં હિંસાની કોઈ મોટી ઘટના બની નથી. જો દરેક દેશ શાંતિ ઇચ્છે છે, તો તેણે અફઘાનિસ્તાન જેવો માર્ગ અપનાવવો જોઈએ.

આ પણ વાંચો – ચાર વર્ષ પછી કાબુલમાં ભારતીય દૂતાવાસ ફરી ખુલશે

ચાબહાર પોર્ટના મુદ્દે મુત્તાકીએ કહ્યું કે ભારત અને અફઘાનિસ્તાને વેપાર માર્ગો ખુલ્લા રાખવા જોઈએ. અમેરિકી પ્રતિબંધો હોવા છતાં આપણે સાથે મળીને એવો ઉકેલ શોધવો પડશે કે જેથી બંને દેશો વચ્ચે વેપાર બંધ ન થાય.

અંતે તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન ઇસ્લામિક સિદ્ધાંતો પર આધારિત તમામ દેશો સાથે સકારાત્મક સંબંધો ઇચ્છે છે. ભારત પાસે આ દિશામાં આગળ વધવાની સારી તક છે. અમે કોઈપણ સૈન્ય હાજરીને સ્વીકારીશું નહીં, પરંતુ રાજદ્વારી અને આર્થિક સંબંધોનું સ્વાગત કરીશું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ