/indian-express-gujarati/media/media_files/2026/03/05/pete-hegseth-2026-03-05-07-35-51.jpg)
US Defense Minister Pete Hegseth : અમેરિકાના રક્ષા મંત્રી પેટે હેગસેથ. Photograph: (X/Pete Hegseth)
Israel US Iran War: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધના પાંચમા દિવસે અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેણે મધ્ય પૂર્વમાં તૈનાત પોતાના સૈનિકો અને સહયોગીઓને બચાવવા માટે કોઈ કસર છોડી નથી. અમેરિકનાના રક્ષા મંત્રી પીટ હેગસેથે (Pete Hegseth) પેન્ટાગોનમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા માટે દરેક સંસાધન અને દરેક ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે આનો અર્થ એ નથી કે દરેક ડ્રોન અથવા મિસાઇલ હુમલાને સંપૂર્ણપણે અટકાવી શકાય છે. તેમણે કહ્યું કે હુમલો પહેલા મહત્તમ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ 100 ટકા સુરક્ષાની ગેરંટી આપી શકાય નહીં.
આ દરમિયાન, પેન્ટાગોને માહિતી આપી હતી કે આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં છ અમેરિકન સૈનિકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇરાનમાં મૃત્યુઆંક 1,000ને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ વિભાગના ટોચના અધિકારીઓ પહેલાથી જ સંકેત આપી ચૂક્યા છે કે આ યુદ્ધ લાંબુ ચાલી શકે છે અને અમેરિકાના સૈનિકોની પણ જાનહાનિ થઈ શકે છે.
ઈરાન તેને થકાવી શકશે નહીં : અમેરિકા
હેગસેથે કહ્યું કે, અમેરિકા આ સૈન્ય અભિયાનમાં નિર્ણાયક આગેવાની લઈ રહ્યું છે અને ઝડપથી ઈરાનના હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણ સ્થાપિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા જેટલો સમય જરૂર પડશે તેટલો સમય લેશે અને ઈરાન તેને થકાવી શકશે નહીં. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા "નિર્ણાયક રીતે, વિનાશક અને કોઈ છૂટછાટ વિના" આગળ વધી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં વધુ લડાકુ વિમાનો અને બોમ્બર આ વિસ્તારમાં પહોંચશે.
યુદ્ધના પાંચમા દિવસે, એક મહત્વપૂર્ણ લશ્કરી કાર્યવાહી પણ થઈ. મંગળવારે રાત્રે એક અમેરિકન સબમરીને ટોર્પિડો છોડ્યો હતો અને ઇરાનનું યુદ્ધ જહાજ આઇરિસ દેના (IRIS Dena) ને ડૂબાડી દીધું હતું. હેગસેથે જણાવ્યું હતું કે, આ જહાજ આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં પોતાને સલામત સમજી રહ્યું હતું, પરંતુ તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ જહાજ ઈરાનના નવા યુદ્ધ જહાજોમાંનું એક હતું. શ્રીલંકાએ જણાવ્યું હતું કે તેની નૌસેના અને વાયુસેનાએ તેના દક્ષિણ કિનારે એક જહાજમાંથી સંકટ સંદેશ મળ્યા પછી 180 લોકોમાંથી 32 લોકોને બચાવ્યા હતા. હેગસેથના જણાવ્યા અનુસાર, બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ દુશ્મન જહાજ આ રીતે અમેરિકન સબમરીન દ્વારા ડુબાવામાં આવ્યું છે.
આ જ પ્રેસ કોન્ફરન્સમાં જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને કહ્યું હતું કે ઈરાન હવે યુદ્ધની શરૂઆતની તુલામાં ઓછી મિસાઈલો છોડી રહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકાના સતત હુમલાથી ઈરાનની સૈન્ય ક્ષમતા ઘણી નબળી પડી છે.
હેગસેથે યુદ્ધ કેટલો સમય ચાલશે તેની ચોક્કસ સમયરેખા આપી ન હતી. "તે ચાર અઠવાડિયા, છ અથવા આઠ અઠવાડિયા સુધી ચાલી શકે છે, અને પરિસ્થિતિના આધારે તે વધુ કે ઓછો સમય લઈ શકે છે," તેમણે કહ્યું. તેમના મતે યુદ્ધની ગતિ અને દિશા અમેરિકા નક્કી કરી રહ્યું છે અને દુશ્મન અસંતુલિત સ્થિતિમાં છે. શરૂઆતમાં અમેરિકાએ અદ્યતન હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને હવે ઈરાનના આકાશ પર નિયંત્રણ સ્થાપિત કર્યા બાદ ગ્રેવિટી બોમ્બનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, યુએસ પાસે પૂરતા દારૂગોળો અને સંશાધનો છે.
આ પણ વાંચો | મિડલ ઇસ્ટમાં યુદ્ધ તીવ્ર બન્યું, વિદેશ મંત્રાલયે ભારતીયોની મદદ માટે કંટ્રોલ રૂમ બનાવ્યો
ઇઝરાયલના એક સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, યુએસ અને ઇઝરાયલના ટોચના અધિકારીઓએ લગભગ ત્રણ અઠવાડિયા પહેલા હુમલાની યોજના બનાવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં, ઇરાનમાં 1,000 થી વધુ લોકો અને લેબેનોનમાં ડઝનેક લોકો મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, મધ્ય પૂર્વમાં તેલ અને ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે અને હજારો મુસાફરો વિવિધ દેશોમાં ફસાયેલા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us