Arvind Kejriwal-ED Updates: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ ઈડીની ટીમ ગુરુવારે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. બે કલાકની પૂછપરછ પછી ઇડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. ગુરુવારે સીએમ કેજરીવાલ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે તેમને ધરપકડમાંથી રાહત આપવામાં આવે. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આ ઝટકા પછી આમ આદમી પાર્ટીને બીજો ફટકો પડ્યો છે. આ દરમિયાન કેજરીવાલની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જ્યાં હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થશે.
ધરપકડના સમાચાર પછી મોટી સંખ્યામાં આપના કાર્યકરો કેજરીવાલની ઘર બહાર પહોંચ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. આ મામલે પંજાબના સીએમ ભગવંત માનએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ભાજપની રાજકીય ટીમ (ઇડી) કેજરીવાલની વિચારસરણીને પકડી શકતી નથી. કારણ કે માત્ર આપ જ ભાજપને રોકી શકે છે.વિચારને ક્યારેય દબાવી શકાય નહીં.
ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની ધરપકડ પણ સામાન્ય બાબત બની ગઈ છે – રાહુલ ગાંધી
આ મુદ્દે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ડરેલો તાનાશાહ એક મૃત લોકશાહી બનાવવા માંગે છે. મીડિયા સહિત તમામ સંસ્થાઓ પર કબજો કરવો, પાર્ટીઓને તોડવી, કંપનીઓ પાસેથી હપ્તા વસૂલી, મુખ્ય વિપક્ષી પાર્ટીનું એકાઉન્ટ ફ્રીઝ કરવું પણ અસુરી શક્તિ માટે ઓછું હતું, તો હવે ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની ધરપકડ પણ સામાન્ય બાબત બની ગઈ છે. ઇન્ડિયા તેનો મુંહતોડ જવાબ આપશે.
આ પણ વાંચો – ઇલેક્ટોરલ બોન્ડનો બધો ડેટા ચૂંટણી પંચને સોપવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટમાં SBIનું સોગંદનામું
અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે – આતિશી
AAP નેતા આતિશીએ કહ્યું કે અમને સમાચાર મળ્યા છે કે ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. અમે હંમેશા કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. તેઓ દિલ્હીના સીએમ જ રહેશે. અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અમારા વકીલો સુપ્રીમ કોર્ટ પહોંચી રહ્યા છે. અમે આજે રાત્રે સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરીશું.
દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું – રાજીનામું આપશે નહીં
દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે બધા જાણે છે કે મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું નથી. અત્યાર સુધીમાં 600 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેથી તેઓને દબાવવા માંગે છે. જો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે તો પણ તે રાજીનામું આપશે નહીં.
સૌરભ ભારદ્વાજે કહ્યું – સીએમની ધરપકડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે
આ દરમિયાન દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ કેજરીવાલના ઘરની બહાર પહોંચી ગયા છે. AAPના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જે રીતે પોલીસ સીએમના ઘરની અંદર છે અને કોઈને અંદર જવાની પરવાનગી નથી, તે જોઈને લાગે છે કે સીએમના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા છે. લાગે છે કે સીએમની ધરપકડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.