Iran Bandar Abbas port Blast : ઈરાનના શહેર બંદર અબ્બાસમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો છે. જેમાં 4 લોકોના મોત થયા છે અને 500થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. બંદર અબ્બાસને પોર્ટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટ શનિવારે થયો હતો. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, રાજાઈ પોર્ટ પર થયેલા વિસ્ફોટથી આકાશમાં કાળા ધુમાડાના મોટા ગોટેગોટા નીકળી રહ્યા છે.
હોર્મોઝગન પ્રાંતના ક્રાઇસિસ મેનેજમેન્ટ ઓથોરિટીના વડા મેહરદાદ હસનજાદેહે મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટનાનું કારણ શાહિદ રાજાઇ બંદરગાહ ઘાટ વિસ્તારમાં ઘણા કન્ટેનરનો વિસ્ફોટ થયો છે.
વિસ્ફોટનો અવાજ 50 કિલોમીટર દૂર સંભળાયો
મહેરદાદ હસનજાદેહે જણાવ્યું હતું કે અમે હાલમાં ઇજાગ્રસ્તોને બહાર કાઢીને નજીકના તબીબી કેન્દ્રોમાં લઈ જઈ રહ્યા છીએ. ફાર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે લગભગ 50 કિલોમીટર દૂર સુધી તેને અનુભવી અને સાંભળી શકાયો હતો. રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ બંદરથી થોડે દૂર પણ જમીનને હલતા અનુભવ કરી શકતા હતા. એએફપીના જણાવ્યા અનુસાર આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે બંદરની મોટાભાગની ઇમારતોને ભારે નુકસાન થયું હતું.
આ પણ વાંચો – પહેલગામ આતંકી હુમલો : ભારતના એક્શનથી આતંકી સંગઠન TRF એ નિવેદન પલટ્યું
રાજાઇ બંદરગાહ મુખ્યત્વે કન્ટેનર શિપમેન્ટનું સંચાલન કરે છે
રાજાઇ બંદરગાહ મુખ્યત્વે કન્ટેનર શિપમેન્ટનું સંચાલન કરે છે અને આ તેલ ટેંક અને અન્ય પેટ્રોરસાયણ સુવિધાઓનો વિસ્તાર પણ છે. એએફપીના જણાવ્યા અનુસાર સરકારી માલિકીની નેશનલ ઇરાની ઓઇલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ સ્થાનિક મીડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે શાહિદ રાજાઇ બંદર પર થયેલા વિસ્ફોટનો રિફાઇનરીઓ, ઇંધણ ટેન્કો, વિતરણ સંકુલો અથવા ઓઇલ પાઇપલાઇન્સ સાથે કોઈ સંબંધ નથી.
મેહરદાદ હસનજાદેહે ઇરાની સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે વિસ્ફોટ શહેરના રાજાઇ બંદર પરના કન્ટેનરમાંથી થયો હતો. ઇરાનની રાજધાની તેહરાનથી લગભગ 1,050 કિમી દક્ષિણપૂર્વમાં આવેલું આ બંદર વિશ્વના 20 ટકા તેલ વેપારનું વહન કરે છે.





