અયોધ્યામાં ભાજપ કેમ હાર્યું? શું છે ફરિયાદો? : ‘બહારના લોકો માટે મંદિર…, ભાજપ અમારા માટે કામ કરવાનું ભૂલી ગઈ’

Ayodhya BJP Loss Reasons Lok Sabha Result 2024 : અયોધ્યા રામ મંદિર ભાજપના મુખ્ય મુદ્દાઓમાંનો એક હતો, ત્યારે ફૈઝાબાદ બેઠક પર ભાજપ ઉમેદવારની હાર પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ અને ચર્ચામાં આવી ગઈ.

Written by Kiran Mehta
June 05, 2024 14:27 IST
અયોધ્યામાં ભાજપ કેમ હાર્યું? શું છે ફરિયાદો? : ‘બહારના લોકો માટે મંદિર…, ભાજપ અમારા માટે કામ કરવાનું ભૂલી ગઈ’
અયોધ્યામાં ભાજપ કેમ હાર્યું? કયા કારણો જવાબદાર? (ફોટો - એક્સપ્રેસ)

Ayodhya BJP Loss Reasons Lok Sabha Result 2024 | ધીરજ મિશ્રા : અયોધ્યામાં ભાજપની હારથી દરેક લોકોના મનમાં એ જાણવાની ઈચ્છા હશે કે, એવું શું થયું કે, ભાજપ અયોધ્યામાં હારી? જ્યાં ચૂંટણી પહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. અને ભાજપ દ્વારા રામ મંદિરનો મુદ્દો વારંવાર કરવામાં આવી રહ્યો હતો. તો આની પાછળના કેટલાક કારણો જાણવાનો પ્રયાસ કરીએ. સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે, અયોધ્યા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહે સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ પાસેથી હાર સ્વીકારી લીધી છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસે લક્ષ્મીકાંત તિવારી સાથે વાત કરી, જે અયોધ્યામાં લગભગ નિર્જન બીજેપી ચૂંટણી કાર્યાલયમાં બેસે છે, જે અયોધ્યામાં સરકારી ઇન્ટર કોલેજથી લગભગ એક કિલોમીટર દૂર છે, લક્ષ્મીકાંતે ફૈઝાબાદ લોકસભા સીટના મતગણતરી કેન્દ્ર પર ભાજપને વધુમાં વધુ મત મળે તે માટે સેવા પણ આપી છે. આ સીટ માટે બીજેપીના કાઉન્ટિંગ એજન્ટ તિવારી કહે છે, “અમે ખરેખર સખત મહેનત કરી, અમે તેના માટે લડ્યા, પરંતુ રામ મંદિરનો અભિષેક મતમાં બદલાયો નહીં.”

ભાજપ ‘અબ કી બાર 400 પાર’ ના આંકડાથી ક્યાંય પાછળ રહી

રામ મંદિરના અભિષેકના માંડ ચાર મહિના પછી – ભાજપની મુખ્ય વૈચારિક યોજનાઓમાંની એક અને આ ચૂંટણીમાં તેનું સૌથી મોટું આકર્ષણ હતુ – પાર્ટી ત્યાં જ ફૈઝાબાદ લોકસભા બેઠક હારી ગઈ, તમને જણાવી દઈએ કે, અયોધ્યા ફૈઝાબાદ લોકસભા બેઠકનો જ એક વિસ્તાર હતો. આ એક એવી ચૂંટણી રહી જેણે તમામ એક્ઝિટ પોલની આગાહીઓને ખોટી પાડી દીધી અને ભાજપને તેના 370 બેઠકોના લક્ષ્યાંકથી ખૂબ જ પાછળ છોડી દીધી, પરંતુ અયોધ્યામાં હાર ખાસ ચર્ચાનું કેન્દ્ર રહી છે.

‘રામ મંદિર વિકાસ, જમીન અધિગ્રહણથી સ્થાનિક નારાજ’

તિવારી કહે છે, “સ્થાનિક મુદ્દા મુખ્ય હતા. અયોધ્યાના ઘણા ગામો મંદિરો અને એરપોર્ટની આસપાસ થઈ રહેલા જમીન અધિગ્રહણથી નારાજ હતા. સાથે જ BSP ના મત સપાને ગયા કારણ કે, અવધેશ પ્રસાદ દલિત નેતા છે.” નવ વખત ધારાસભ્ય રહી ચૂકેલા અવધેશ પ્રસાદ સપાના અગ્રણી દલિત ચહેરાઓમાંથી એક છે. તેમણે ત્રીજી વખત ફરીથી ચૂંટણી લડી રહેલા સાંસદ લલ્લુ સિંહને 54,567 મતોના માર્જિનથી હરાવ્યા.

અયોધ્યામાં ભાજપની હાર પાછળના કારણો શું?

પ્રસાદે તેમની જીત પછી ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, “આ એક ઐતિહાસિક જીત છે કારણ કે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મને સામાન્ય સીટ પરથી ઉતાર્યો હતો. જ્યાં જાતિ અને સમુદાયને ધ્યાનમાં લીધા વિના લોકોએ મને ટેકો આપ્યો છે.” ભાજપની અસાધારણ હારમાં બેરોજગારી, મોંઘવારી, જમીન અધિગ્રહણ અને “બંધારણમાં પરિવર્તન”ની વાતોનો સમાવેશ થાય છે.

બંધારણ બદલવાવાળુ નિવેદન નડ્યું, દલિત વોટ ડાયવર્ટ થયા

ચૂંટણી પહેલા, આઉટગોઇંગ સાંસદ લલ્લુ સિંહ ભાજપના નેતાઓમાં એક હતા જેમણે કહ્યું હતું કે, પાર્ટીને “બંધારણ બદલવા” માટે 400 બેઠકોની જરૂર છે. 27 વર્ષીય વિજય યાદવ, મિત્રસેનપુર ગામના રહેવાસી, જેઓ મતગણતરી કેન્દ્રની બહાર રાહ જોઈ રહ્યા હતા તેમણે કહ્યું કે, “સાંસદને આવું ન કહેવું જોઈતું હતું. અવધેશ પ્રસાદ (વિજેતા સપા ઉમેદવાર) એ તેમની રેલીઓમાં ઉઠાવેલા અને ઉઠાવેલા મુખ્ય મુદ્દાઓમાં બંધારણનો મુદ્દો એક હતો.”

પેપર લીક… બેરોજગારી!

એક યુવાન યાદવ કહે છે, “પેપર લીક બીજું મોટું પરિબળ હતું. હું પણ આનો શિકાર છું… મારી પાસે નોકરી ન હોવાથી મેં મારા પિતા સાથે અમારા ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું છે. લોકોએ અહીં પરિવર્તન માટે મત આપ્યો કારણ કે, અમારા સાંસદે રામ મંદિર અને રામ પથ (અયોધ્યા તરફ જતા ચાર રસ્તાઓમાંથી એક) સાથે તેમની નિષ્ફળતા છુપાવવા સિવાય અહીં કોઈ કામ કર્યું નથી.”

‘બહારના લોકો રામ મંદિરની ભવ્યતાથી પ્રભાવિત… પરંતુ સ્થાનિકો અસુવિધાઓથી નાખુશ’

ભાજપ કાર્યાલયની બહાર, પોતાને “ભાજપ સમર્થક” તરીકે વર્ણવતા અરવિંદ તિવારી કહે છે કે, રામ મંદિરની ભવ્યતાએ બહારના લોકોને પ્રભાવિત કર્યા હશે, પરંતુ શહેરના રહેવાસીઓ અસુવિધાથી નાખુશ હતા.

‘રામ અમારા આરાધ્ય, પણ આજીવિકા છીનવી લો તો કેવી રીતે જીવવું’

ભાજપ સમર્થકે વધુમાં કહ્યું કે, “સત્ય એ છે કે અયોધ્યાના બહુ ઓછા રહેવાસીઓ મંદિરે જાય છે, અહીં આવતા મોટાભાગના ભક્તો બહારના છે. રામ અમારા આરાધ્ય છે, પણ તમે અમારી આજીવિકા છીનવી લેશો તો અમે કેવી રીતે જીવીશું? રામ પથના નિર્માણ દરમિયાન, સ્થાનિક લોકોને વચન આપવામાં આવ્યું હતું કે, તેમને દુકાનો ફાળવવામાં આવશે. પરંતુ આવુ કઈ બન્યું નહીં.”

સપાનો આક્ષેપ, ‘ઘણા લોકોના ઘર ઉખેડી નાખ્યા’

અયોધ્યા માટેની તેમની યોજનાઓ વિશે બોલતા, વિજેતા સપા ઉમેદવારે કહ્યું, “ભાજપ સરકારે (મંદિર તરફ જતા રસ્તાઓને પહોળા કરવાના કામ દરમિયાન) ઘણા લોકોના ઘર સહિતની જગ્યાઓ ઉખેડી નાખી છે. હું તેમના પુનર્વસન માટે કામ કરીશ. જેમની જમીનો છીનવાઈ ગઈ છે તેમને યોગ્ય વળતર આપવા માટે પણ હું કામ કરીશ.”

‘બહારના લોકો માટે કામ કર્યું, સ્થાનિકો માટે કામ કરવાનું ભૂલી ગઈ’

એક નાનું ટેન્ટ હાઉસ ચલાવતા મોહમ્મદ ઈઝરાયેલ ઘોસી કહે છે કે, લલ્લુ સિંહ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર હતી. “તેમણે અયોધ્યાના લોકો માટે કોઈ કામ કર્યું નથી. જે પણ કામ કર્યું તે બહારના લોકો માટે હતું. ભાજપ અયોધ્યાના લોકો માટે કામ કરવાનું ભૂલી ગઈ. તેમજ લલ્લુ સિંહે કહ્યું કે, ભાજપને બંધારણ બદલવા માટે 400 સીટોની જરૂર છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સિંહને લાગ્યું કે, તે અજેય છે, પરંતુ તે ભૂલી ગયા કે લોકશાહી અદ્દભૂત કામ કરે છે.” ઘોસી કહે છે.

PM Modi in Ayodhya Ram Mandir
પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી

રામના નામે લોકોને છેતર્યા, રામના નામે વેપાર કર્યો, ભગવાને સજા આપી : સપા પ્રવક્તા

સમાજવાદી પાર્ટીની જીત બાદ પ્રવક્તા પવન પાંડેએ કહ્યું, “ભાજપે રામ મંદિરના નામે લોકોને છેતર્યા… આ લોકો રામના નામ પર વેપાર કરે છે અને ભગવાન રામે જ તેમને ત્યાંથી હટાવી સજા આપી છે.”

આ પણ વાંચો – Gujarat Lok Sabha Election Result 2024 : ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 : 26 બેઠકનું પરિણામ જાહેર, જુઓ કોણ જીત્યું? કોણ હાર્યું? બધુ જ

લલ્લુસિંહે હાર સ્વિકારી કહ્યું, ‘આવુ કેમ થયું? હું આત્મનિરીક્ષણ કરીશ

અયોધ્યામાં બીજેપી ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા લલ્લુ સિંહે હાર સ્વીકારી લીધી અને કહ્યું, “હું અયોધ્યાનું સન્માન ન રાખી શક્યો. શક્ય છે કે મારામાં કંઈક અભાવ રહ્યો હશે. હું આત્મનિરીક્ષણ કરીશ કે મોદી-યોગી નેતૃત્વ છતાં આવું કેમ થયું.

પરિણામો જાહેર થયાના એક દિવસ પહેલા, બાબરી મસ્જિદ ધ્વંસ કેસના પૂર્વ વકીલ ઈકબાલ અન્સારીએ કહ્યું હતું કે, અયોધ્યાના મુસ્લિમો નથી ઈચ્છતા કે, મસ્જિદનો મુદ્દો “વારંવાર” ઉઠાવવામાં આવે. ઉમેદવારની જીતની આશા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતુ કે, આ અયોધ્યા છે, અહીં ધર્મ છે, અધર્મ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ