/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Bangladesh-Violence.jpg)
બાંગ્લાદેશમાં હિંસા - photo- X
Bangladesh Violence : બાંગ્લાદેશમાં જુલાઈ વિદ્રોહના નેતા અને ઇંકલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મોત પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વણસી અને હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે રાત્રે સિંગાપોરમાં મોત થયું હતું. ઉસ્માન હાદીને 12 ડિસેમ્બરે માથામાં ગોળી મારવામાં આવી હતી ત્યાર બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાદીના મોત બાદ ફાટી નીકળેલી હિંસામાં ટોળાએ એક હિન્દુ યુવકની હત્યા કરી હતી.
મયમનસિંહના ભાલુકામાં ઇશનિંદાના આરોપમાં એક હિન્દુ યુવકની કેટલાક લોકોએ માર-મારીને હત્યા કરી દીધી હતી. બીબીસી બાંગ્લાના મતે ભાલુકા પોલીસ સ્ટેશનના ડ્યુટી ઓફિસર રિપન મિયાએ જણાવ્યું હતું કે હત્યા બાદ હુમલાખોરોએ મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ લગાડી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનિકોના એક જૂથે ઇશનિંદાનો આરોપ લગાવ્યો હતો અને રાત્રે લગભગ 9 વાગ્યે તેના પર હુમલો કર્યો હતો.
મૃતદેહને ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દીધી હતી
અધિકારીઓએ જણાવ્યું હતું કે ટોળાએ પીડિત દીપુ ચંદ્ર દાસની માર-મારીને હત્યા કરી દીધી હતી અને તેના મૃતદેહને ઝાડ સાથે બાંધી દીધો હતો અને તેને આગ ચાંપી દીધી હતી. બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લઇને મૃતદેહ કબજે કર્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મયમનસિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ પીડિતાના પરિવારના સભ્યોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઔપચારિક ફરિયાદ નોંધાવ્યા બાદ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ભાજપના પશ્ચિમ બંગાળ યૂનિટે હત્યાની નિંદા કરી
ભાજપના પશ્ચિમ બંગાળ યૂનિટે આ હત્યાની નિંદા કરતા કહ્યું હતું કે બાંગ્લાદેશમાં ગઈકાલે રાત્રે એક હિન્દુ દીપુ ચંદ્ર દાસની પિટાઇ કરીને હત્યા કરવામાં આવી હતી. ફાંસી આપવામાં આવી અને સળગાવી દેવામાં આવ્યો હતો. આ માત્ર બાંગ્લાદેશમાં દીપુચંદ્ર દાસનો જ નથી. હરગોબિંદો દાસ અને ચંદન દાસનો પણ આ જ કેસ છે, જેમને મમતા બેનર્જીના શાસનમાં પશ્ચિમ બંગાળમાં પણ આવી જ હાલતનો સામનો કરવો પડ્યો હતો. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના શાસન હેઠળ હોય કે બાંગ્લાદેશમાં યુનુસ, તેઓ હિન્દુ હોવાને કારણે તેમની હત્યા કરવામાં આવી હતી.
હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન
ઉસ્માન બિન હાદીના મોતના સમાચાર બાદ પ્રદર્શનકારીઓના એક જૂથે ચિત્તાગોંગમાં ભારતીય સહાયક હાઈ કમિશનની બહાર ધરણા કર્યા હતા. હાદીના મોતની ઘોષણા બાદ સેંકડો વિદ્યાર્થીઓ અને લોકો ઢાકા યુનિવર્સિટી કેમ્પસ નજીક શાહબાગ સ્ક્વેર પર એકઠા થયા હતા.
ગયા વર્ષે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસક્રિમિનેશન (એસએડી)ના એક મોટા સહયોગી સંગઠન નેશનલ સિટિઝન પાર્ટી (એનસીપી) પણ વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે હુમલાખોરો હાદી પર હુમલો કર્યા પછી ભારત ભાગી ગયા હતા. તેમણે માંગ કરી હતી કે વચગાળાની સરકાર હુમલાખોરોને પાછા ન લાવે ત્યાં સુધી ભારતીય હાઈ કમિશનને બંધ રાખે.
આ પણ વાંચો - જમ્મુના રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં સામેલ થઈ ગયા આતંકવાદી અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા 29 મજૂર
છાત્ર શક્તિએ ગૃહ બાબતોના સલાહકારનું પૂતળું સળગાવ્યું હતું અને હાદીના હત્યારાઓની ધરપકડ કરવામાં નિષ્ફળતા બદલ તેમના રાજીનામાની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓના જૂથે રાજધાનીના કારવાન માર્કેટમાં શાહબાગ ચાર રસ્તા નજીક સ્થિત બંગાળી અખબાર 'પ્રોથોમ આલો'ની ઓફિસ અને નજીકના ડેઇલી સ્ટાર અખબારની ઓફિસ પર હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર તેઓએ ઘણા માળમાં તોડફોડ કરી હતી અને ટોળાએ બિલ્ડિંગના આગળના ભાગમાં આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન પત્રકારો અને અખબારના કર્મચારીઓ બિલ્ડિંગની અંદર ફસાઈ ગયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us