Bangladesh Violence | બાંગ્લાદેશમાં અરાજકતા! સ્થિતિ વણસી જતાં કર્ફ્યુ, હિંસામાં 91 લોકોના મોત

Bangladesh Violence : બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે. સરકારી નોકરીઓમાં અનામત હટાવવા અને વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓના હિંસક પ્રદર્શન બાદ પોલીસ કાર્યવાહીમાં 91 લોકોના મોત થયા છે.

Written by Kiran Mehta
August 04, 2024 23:01 IST
Bangladesh Violence | બાંગ્લાદેશમાં અરાજકતા! સ્થિતિ વણસી જતાં કર્ફ્યુ, હિંસામાં 91 લોકોના મોત
બાંગ્લાદેશ હિંસા

Bangladesh Violence | બાંગ્લાદેશ હિંસા : ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. રવિવારે પોલીસ અને શાસક પક્ષના કાર્યકરો સાથે વિદ્યાર્થી વિરોધીઓની અથડામણમાં 91 થી વધુ લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા હજારો દેખાવકારોને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને સ્ટન ગ્રેનેડનો ઉપયોગ કર્યો.

મીડિયા અહેવાલો અનુસાર, ફેનીમાં ઓછામાં ઓછા પાંચ લોકો, સિરાજગંજમાં ચાર, મુન્શીગંજમાં ત્રણ, બોગુરામાં ત્રણ, મગુરામાં ત્રણ, ભોલામાં ત્રણ, રંગપુરમાં ત્રણ, પબનામાં બે, સિલ્હટમાં બે, કોમિલ્લામાં એક વ્યક્તિના મોત થયા છે. તો જોયપુરહાટમાં એક, ઢાકામાં એક અને બરીસાલમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગૃહ મંત્રાલયે રવિવારે સાંજે 6 વાગ્યાથી દેશમાં કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. એક સરકારી એજન્સીએ મેટા પ્લેટફોર્મ ફેસબુક, મેસેન્જર, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મોબાઈલ ઓપરેટરોને 4જી મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં ક્વોટા નાબૂદ કરવાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનમાં અત્યાર સુધીમાં દેશભરમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે, જે અનેક પ્રસંગોએ હિંસક બની ચૂક્યું છે. વિરોધ કરનારાઓમાં વિદ્યાર્થીઓ અને મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના કેટલાક જૂથો સામેલ છે. તેઓએ સહકાર ન આપવા વિનંતી કરી છે. એટલું જ નહીં, તેમણે લોકોને ટેક્સ અને વીજળી બિલ ન ભરવા માટે પણ કહ્યું છે. આ ઉપરાંત રવિવારે કામ પર ન આવવા માટે પણ કોલ આપવામાં આવ્યો છે.

મેડિકલ યુનિવર્સિટીને પણ નિશાન બનાવ્યું હતું

દેખાવકારોએ ઢાકાના શાહબાગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલ બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટી પર પણ હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ઢાકાના ઉત્તરા વિસ્તારમાં કેટલાક ક્રૂડ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને ગોળીબારના અવાજો સંભળાયા હતા. તેઓએ કેટલાક વાહનોને પણ આગ ચાંપી હતી. ઢાકાના મુન્શીગંજ જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા એક પોલીસકર્મીએ કહ્યું કે, આખું શહેર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. દેખાવકારોના નેતાઓએ વિરોધીઓને વાંસની લાકડીઓથી સજ્જ થવા કહ્યું છે. જુલાઈ મહિનામાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તેને કચડી નાખ્યો હતો.

વિરોધીઓ નહીં પરંતુ આતંકવાદીઓ – શેખ હસીના

વડાપ્રધાન હસીના અને તેમની પાર્ટી વિરોધીઓના દબાણને ફગાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકારે વિરોધ પક્ષો અને હવે પ્રતિબંધિત જમણેરી જમાત-એ-ઈસ્લામી પાર્ટી અને તેના વિદ્યાર્થી સંગઠનો પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. નેશનલ સિક્યોરિટી મીટિંગ બાદ હસીનાએ આરોપ લગાવ્યો હતો કે, હાલમાં જે લોકો રસ્તા પર વિરોધ કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદી છે. તેમણે દેશની જનતાને આ આતંકવાદીઓને તેમની તમામ શક્તિથી કચડી નાખવા કહ્યું.

આ પણ વાંચો – Gujarati News 3 August 2024 Highlights : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સાથે સંબંધો રાખવાના આરોપમાં 5 પોલીસકર્મી સહિત 6 અધિકારીઓ બરતરફ

અવામી લીગે જાહેરાત કરી છે કે, વડાપ્રધાને અટકાયત કરાયેલા તમામ વિદ્યાર્થીઓને મુક્ત કરવા કહ્યું છે. પાર્ટીએ કહ્યું કે, તેમણે ટોચના અધિકારીઓ અને ગૃહમંત્રીને સૂચના આપી છે કે, જે વિદ્યાર્થીઓ નિર્દોષ છે અને જેમની સામે હત્યા અને તોડફોડ જેવા ગંભીર કેસના કોઈ આરોપો નથી તેમને પણ મુક્ત કરવામાં આવે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ