Bharat Bandh 2024,આજે ‘ભારત બંધ’ : અનુસૂચિત જાતિ અને જનજાતિમાં પેટા-શ્રેણીઓ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં દલિત સંગઠનોએ 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન કર્યું છે. માહિતી સામે આવી રહી છે કે દેશના વિવિધ ભાગોમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બંધનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ દુકાનો, શાળાઓ અને કોલેજોને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ બંધને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી, કોંગ્રેસ, આરજેડી, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) અને ઘણા ડાબેરી સંગઠનોએ ટેકો આપ્યો છે.
કયા પક્ષે શું કહ્યું?
જેએમએમના જનરલ સેક્રેટરી વિનોદ કુમાર પાંડેએ એક નિવેદનમાં કહ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આરક્ષણ માટે સુપ્રીમ કોર્ટે આપેલો તાજેતરનો નિર્ણય નુકસાનકારક હશે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર આરજેડીના રાજ્ય મહાસચિવ અને મીડિયા પ્રભારી કૈલાશ યાદવે કહ્યું કે પાર્ટીએ ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા રાકેશ સિન્હાએ પણ કહ્યું કે કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યું છે.
નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) એ તાજેતરમાં સુપ્રીમ કોર્ટની સાત જજની બેંચ દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે. તેમના મતે, આ નિર્ણય ઐતિહાસિક ઈન્દિરા સાહની કેસમાં નવ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને નબળો પાડે છે, જેણે ભારતમાં આરક્ષણનું માળખું સ્થાપિત કર્યું હતું.
1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે અનામતના મુદ્દે ચુકાદો આપ્યો
1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે અનામતના મુદ્દે ચુકાદો આપ્યો હતો કે અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે પેટા-શ્રેણીઓ બનાવી શકાય છે. સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેંચ દ્વારા 6/1ના મત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. આ સુનાવણી CJI DY ચંદ્રચુડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. છ જજો તેની સાથે સંમત થયા હતા પરંતુ જસ્ટિસ બેલા ત્રિવેદી તેની સાથે સહમત ન હતા.
આ પણ વાંચોઃ- Bharat Bandh : 21 ઓગસ્ટે ભારત બંધ? શું છે કારણ, બેંક, સ્કૂલ-કોલેજ અને ઓફિસ ખુલી રહેશે કે નહીં, જાણો ડિટેલ
દેશના અનેક ભાગોમાં દલિત સંગઠનો તરફથી ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને લખવામાં આવ્યું છે કે રાજસ્થાનની રાજધાની જયપુરમાં કલેક્ટરે શાળાઓ અને કોચિંગ સંસ્થાઓને બંધને ધ્યાનમાં રાખીને બાળકોને મુક્ત કરવા વિનંતી કરી છે. જો કે, અમે આ ઓર્ડરની પુષ્ટિ કરતા નથી.





