પ્રશાંત કિશોરે અમિત શાહ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું – બીજેપીના દબાણમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી

Bihar Assembly Election 2025 : જન સૂરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના ત્રણ ઉમેદવારોને ધાકધમકી આપીને ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પાડી હતી. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર ડરાવવા-ધમકાવવાનો આરોપ લગાવ્યો

Written by Ashish Goyal
October 21, 2025 20:17 IST
પ્રશાંત કિશોરે અમિત શાહ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું – બીજેપીના દબાણમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રશાંત કિશોર (ફાઇલ ફોટો)

Bihar Assembly Election 2025 : જન સૂરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના ત્રણ ઉમેદવારોને ધાકધમકી આપીને ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પાડી હતી. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર ડરાવવા-ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો.

મંગળવારે પટનાના શેખપુરા હાઉસમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે ભાજપ ચૂંટણી હારવાના ડરથી વિપક્ષી ઉમેદવારોને મેદાનમાંથી ખસી જવાની ધમકી આપી રહી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, જનસુરાજને વોટ કટવા ગણાવનાર ભાજપને અસલમાં ડર લાગી રહ્યો છે. ભાજપને મહાગઠબંધનથી નહીં પણ જનસુરાજથી ડર લાગી રહ્યો છે.

પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે દાનાપુરમાં ભાજપે જનસૂરાજના ઉમેદવાર અખિલેશ કુમાર ઉર્ફે મુતુર શાહને આખો દિવસ રોકી રાખ્યા હતા અને તેમને ઉમેદવારી નોંધાવવા દીધા ન હતા. પ્રશાંત કિશોરે કહ્યું કે મુતુર શાહને ગૃહમંત્રી અને રાજ્યના ચૂંટણી પ્રભારી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે રાખવામાં આવ્યા હતા.

પ્રશાંત કિશોરે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપે 400ને પાર કરવાનો સૂત્ર આપ્યો હતો ત્યારે ગુજરાતના સુરતમાં તમામ પક્ષોના ઉમેદવારોનું ઉમેદવારી પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આઝાદ ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર હતું જ્યારે ભાજપના ઉમેદવાર ચૂંટણી લડ્યા વિના જીતી ગયા હતા.

પ્રશાંત કિશોરે કહ્યું કે જે લોકો 400 બેઠકો પર દાવો કરી રહ્યા હતા તેઓ 240 પર આવી ગયા છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, ઉમેદવારોને જાહેરમાં ધમકાવવામાં આવી રહ્યા છે, તેમને તેમના ઘરોમાં બંધ કરવામાં આવી રહ્યા છે અને બંધ કરનારા લોકો સ્થાનિક નેતા નથી, ગુંડા, બદમાશ અને મવાલી નથી, તેઓ ભારત સરકારના મંત્રી છે.

અમિત શાહ દાનાપુરમાં શું કરી રહ્યા હતા?

પ્રશાંત કિશોરે સવાલ ઉઠાવ્યો હતો કે ભારતના ગૃહમંત્રીનો મુતુર શાહ સાથે શું સંબંધ છે? પ્રશાંત કિશોરે કહ્યું કે ગૃહમંત્રીને પૂછવું જોઈએ કે દાનાપુરમાં જનસુરાજના ઉમેદવાર સાથે બેસીને તમે શું કરી રહ્યા છો અને તમે તેમને કેમ ઘેરી લીધા છે?

ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો હતો કે ધર્મેન્દ્ર પ્રધાને જન સૂરાજના ત્રણ ઉમેદવારો પર પણ દબાણ લાવ્યું હતું. તેમણે એક ફોટો પણ જાહેર કર્યો જેમાં ધર્મેન્દ્ર પ્રધાન બ્રહ્મપુર બેઠક પરથી જન સૂરાજ પાર્ટીના ઉમેદવાર ડો.સત્ય પ્રકાશ તિવારી સાથે જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો – મહાગઠબંધનને આ સીટ પર થયું મોટું નુકસાન, ચૂંટણી પંચે ઉમેદવારનું નામાંકન રદ કર્યું

પ્રશાંત કિશોરે કહ્યું કે ત્રણ દિવસ સુધી પ્રચાર કર્યા બાદ તેમની પાર્ટીના ઉમેદવાર તિવારીએ અચાનક ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને ધર્મેન્દ્ર પ્રધાન સાથેની તેમની તસવીર સાબિત કરે છે કે તેમના પર દબાણ હતું. એ જ રીતે ગોપાલગંજમાં પણ ભાજપના નેતાઓએ ડો.શશિ શેખર સિન્હાને પોતાનું નામાંકન પાછું ખેંચવા દબાણ કર્યું હતું.

પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો હતો કે કુમ્હરાર બેઠકના ઉમેદવાર પ્રો. કે.સી.સિન્હાને પણ ઉમેદવારી પાછી ખેંચવાની ધમકી આપવામાં આવી રહી છે, પરંતુ તેમણે ઝૂકવાનો ઇનકાર કર્યો છે.

કેસી સિંહા ઉપર પણ દબાણ કરવામાં આવી રહ્યું છે

પ્રશાંત કિશોરના જણાવ્યા અનુસાર વાલ્મીકિનગર બેઠક પરથી જન સૂરાજના ઉમેદવાર ડો.નારાયણ પ્રસાદે બે વર્ષ પહેલા શિક્ષક પદેથી રાજીનામું આપ્યું હતું અને જન સૂરાજનો હાથ પકડ્યો હતો, પરંતુ હવે તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે કે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી, તેથી તેઓ ચૂંટણી લડી શકશે નહીં.

પ્રશાંત કિશોરે આ તમામ ઘટનાઓનો ઉલ્લેખ કરતા ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા હતા. જો તમે ઉમેદવારોની સુરક્ષા નહીં કરી શકો તો તમે મતદારોનું રક્ષણ કેવી રીતે કરશો? જ્યારે ઉમેદવારોને ધમકી આપીને ચૂંટણીના મેદાનમાંથી દૂર કરી શકાય છે, ત્યારે મતદાનના દિવસે મતદારોને ડરાવવાથી કોણ રોકશે?

પ્રશાંત કિશોરે કહ્યું- લડત ચાલુ રાખીશું

પ્રશાંત કિશોરે કહ્યું કે જન સૂરાજના 14 ઉમેદવારોને ધમકી આપવામાં આવી રહી છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે પરંતુ 240 ઉમેદવારો હજી પણ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અમને ડરાવીને રોકી શકશે નહીં અને અમે અમારી લડત ચાલુ રાખીશું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ