Bihar Assembly Elections 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા મહાગઠબંધન અને એનડીએના સ્ટાર પ્રચારકોએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે. શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એનડીએ તરફથી પ્રચાર કર્યો હતો. જ્યારે મહાગઠબંધન તરફથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કમાન સંભાળી હતી.
આરજેડી સત્તામાં આવશે તો જંગલ રાજ પાછું આવશે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ભાઈ સાધુ યાદવનો ઉલ્લેખ કરતા રાજ્યની જનતાને કહ્યું હતું કે જો આરજેડી ફરીથી સત્તામાં આવશે તો જંગલ રાજ પાછું ફરશે.
ગોપાલગંજ જિલ્લામાં એક વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આ ચૂંટણી એ નક્કી કરવાની તક છે કે બિહારનું ભવિષ્ય કોને સોંપવું. એક તરફ ‘જંગલ રાજ’ની શરૂઆત કરનારા લોકો છે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમારની જોડી છે, જેમણે વિકાસ કર્યો છે.
ગોપાલગંજના લોકોએ 2002 પછી ક્યારેય આરજેડીને મત આપ્યો નથી. મને ખાતરી છે કે તેઓ આ વલણ ચાલુ રાખશે. સાધુ યાદવના કારનામાને ગોપાલગંજના લોકો કરતાં વધુ સારી રીતે કોઈ જાણતું નથી.
ગોપાલગંજના ધારાસભ્ય અને સાંસદ સાધુ યાદવ પોતાની બહેન રાબડી દેવી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવતા હતા. ગૃહમંત્રીએ મધ્ય બિહારના એવા ગામોના નામ પણ ગણાવ્યા જે આરજેડી શાસન દરમિયાન નરસંહારની હેડલાઇન્સમાં હતા.
મતદાર યાદીમાંથી 65 લાખ નામ કાઢી નાખ્યા – પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ બેગુસરાયમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને અપીલ કરી હતી કે તેઓ ડબલ એન્જિન સરકારના વચનોમાં ન ફસાઈ જાય અને પરિવર્તન માટે મત આપે. તેમણે કહ્યું કે આપણ બંધારણે તમને સૌથી મોટી વસ્તુ આપી છે, તમારો મત, પરંતુ એનડીએ સરકારે તમારા આ અધિકારને નબળો પાડ્યો છે. તેમણે સમાજમાં વિભાજન ફેલાવ્યું, ખોટી દેશભક્તિ ફેલાવી અને મતદાર યાદીમાંથી 65 લાખ નામ કાઢી નાખ્યા.
આ પણ વાંચો – પીએમ મોદીએ કહ્યું – કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુશાસન અને કરપ્શન બિહારમાં રાજદના જંગલરાજની ઓળખ
વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દેશમાં ખાનગીકરણ ચરમસીમાએ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સરકારી કંપનીઓને તેમના કોર્પોરેટ મિત્રોને સોંપી દીધી છે. હવે તેઓ કહી રહ્યા છે કે જો તેઓ 1.5 કરોડ નોકરીઓ આપશે તો છેલ્લા 20 વર્ષમાં કેમ નહીં? આ જનતાને છેતરવાનો પ્રયાસ છે.
એનડીએના નેતાઓ બેરોજગારી, પલાયનની વાત નથી કરતા
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યારે એનડીએના મોટા નેતાઓ બિહાર આવે છે ત્યારે તેઓ 20 વર્ષ આગળની વાત કરે છે અથવા તો ભૂતકાળમાં નહેરુજી અને ઈન્દિરાજીની વાત કરે છે, પરંતુ તેઓ તમારા વર્તમાનની વાત કરતા નથી. બેરોજગારી, પલાયન અને ખેડૂતોની સમસ્યાઓની વાત કરતા નથી.
પ્રિયંકાએ કહ્યું કે ડબલ એન્જિન સરકારના વચનો પર વિશ્વાસ ન કરો. રાહુલ ગાંધી સામાજિક ન્યાય અને જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે કારણ કે તેઓ જાણે છે કે પછાત વર્ગોને આજે પણ તેમના સંપૂર્ણ અધિકારો મળ્યા નથી. કોંગ્રેસે કર્ણાટકમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી હતી અને લોકો તેનાથી ખુશ છે.





