/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Mukesh-Dalal.jpg)
સુરત લોકસભાના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ (Photo - @CRPaatil)
Mukesh Dalal winning Surat Lok Sabha : લોકસભા ચૂંટણી 2024માં ભાજપને ચૂંટણી પરિણામ પહેલા જ સફળતા મળી ગઈ છે. ગુજરાતની સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારીપત્ર ચૂંટણી પંચ દ્વારા ખામીઓને કારણે રદ કરવામાં આવ્યું હતું.
આ પછી આ બેઠક પર ચૂંટણી લડી રહેલા બાકીના ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. ત્યારબાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા. હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ અહીંના આગામી સાંસદ બનશે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!
સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! #PhirEKBarModiSarkar#AbkiBaar400Paarpic.twitter.com/w87WSrla5s— C R Paatil (Modi Ka Parivar) (@CRPaatil) April 22, 2024
ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ચૂંટણી અધિકારીઓએ પણ ભાજપના મુકેશ દલાલની જીતની પુષ્ટિ કરી છે. અન્ય તમામ ઉમેદવારો મેદાનમાંથી ખસી ગયા બાદ સુરતથી મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા, એમ એક અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું.
સુરત લોકસભા બેઠક ભાજપનો ગઢ છે
સુરત લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 1989થી અહીં માત્ર ભાજપનો જ વિજય થયો છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોશે સતત ચૂંટણી જીતીને હેટ્રિક કરી હતી. 2009માં તેઓ 74,800 મતોથી, 2014માં 5,33,190 મતોથી અને 2019માં 5,48,230 મતોથી જીત્યા હતા.
આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024 : સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ
દેશમાં પ્રથમ વખત લોકસભા ચૂંટણી કોઇ બિનહરીફ જીત્યું
સુરતમાં ભાજપે બિનહરીફ જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હોય. આ વખતે સુરતમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અપક્ષો અને અન્ય નાના પક્ષો નસીબ અજમાવી રહ્યા હતા. જેમાં બસપાના ઉમેદવારો પણ સામેલ હતા.
કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થયા બાદ સુરતના રાજકીય જંગમાં કુલ 9 ઉમેદવારો બાકી રહ્યા હતા, જેમાંથી બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી સહિત આઠ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા. હવે 7મી મેના રોજ ગુજરાતની બાકી રહેલી 25 લોકસભા બેઠકો પર મતદાન થશે.
આ પણ વાંચો - ગુજરાત લોકસભા ચૂંટણી ભાજપના ઉમેદવારોની યાદી જાણો
સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્ર સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ચાર ટેકેદારો માંથી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, તેમાં અમારી સહી નથી. આ પછી તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us