commonwealth games scam : કોમનવેલ્થ ગેમ્સ 2010 આયોજનમાં કરોડો રુપિયાનું કૌભાંડ થયાનો મામલો બહુ ચગ્યો હતો. આ કેસમાં મની લોન્ડ્રિંગ મામલે મુખ્ય આરોપી કોંગ્રેસ નેતા સુરેશ કલમાડી સહિત અન્યને મોટી રાહત મળી છે. બહુચર્ચિત આ કેસમાં પુરાવા ન મળતાં છેવટે 14 વર્ષ જુના આ કેસમાં ઈડી એ રાઉજ અવેન્યૂ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો. જે કોર્ટે માન્ય રાખતાં આ કેસના આરોપીઓને ક્લિનચીટ મળી છે અને કેસ પુરો થયો છે.
કોંગ્રેસ આગેવાનીની યૂપીએ સરકારના સમયમાં આ મામલો બહુ ચગ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડને લઇને કોંગ્રેસ સરકાર પર માછલા ધોવાયા હતા. કરોડોનું કૌભાંડ આચર્યું હોવાને લઇને મોટા પાયે આરોપો લગાવાયા હતા. સીબીઆઇએ આરોપ લગાવ્યો હતો કે, સ્વિસ કંપનીને ખોટી રીતે કોન્ટ્રાક્ટ આપવાને પગલે અંદાજે 90 કરોડ રુપિયાનું નુકસાન થયું હતું. જે મામલે સુરેશ કલમાડીની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર છુટકારો થયો હતો.
બહુચર્ચિત આ મામલે સીબીઆઇ પહેલા જ પોતાનો કેસ બંધ કરી ચૂકી છે અને ઈડીએ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો. દિલ્હીની રાઉજ અવેન્યૂ કોર્ટમાં સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, તપાસ બાદ પણ આ મામલે કોઇ આરોપ સાબિત થઇ શક્યા નથી. ઇડીની સઘન તપાસ બાદ પણ કોઇ પુરાવા મળ્યા નથી એટલે આ કેસને આગળ વધારવાનો કોઇ મતલબ નથી. જેથી ઈડીનો ક્લોઝર રિપોર્ટ માન્ય રાખવામાં આવે છે.
ઈડીનો ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં માન્ય રખાતાં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે, આજે જૂઠ્ઠાણાની માયાજાળ ખતમ થઇ છે. સત્તામાં આવવા માટે ડો.મનમોહનસિંહ અને શિલા દિક્ષિત જેવા વ્યક્તિઓ પર ખોટા આરોપ લગાવાયા.
વધુમાં તેમણે એવી પણ માંગ કરી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દેશની જનતાની માફી માંગવી જોઇએ.
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ શું હતું?
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ 2011 માં સામે આવ્યું હતું. જેને ભારતના સૌથી મોટા કૌભાંડ પૈકી એક ગણવામાં આવતું હતું. એવા આરોપ થઇ રહ્યા હતા કે, કોમનવેલ્થ ગેમ્સ 2010 આયોજન પાછળ કરોડો રુપિયાની મોટાપાયે ગેરરીતિ થઇ હતી. એક તબક્કે તો 70 હજાર કરોડ રુપિયાનું કૌભાંડ હોવાનો આરોપ હતો.
આ પણ વાંચો : અમદાવાદનો યુવાન ઝીપલાઇન કરતો હતો અને નીચે ગોળીબાર થયો
સુરેશ કલમાડી સહિત આરોપી
બહુચર્ચિત આ કૌભાંડમાં રાષ્ટ્રમંડલ ખેલ આયોજન સમિતિના તત્કાલિન અધ્યક્ષ સુરેશ કલમાડી અને એમના સહયોગીઓને આરોપી બનાવાયા હતા. તત્કાલિન યૂપીએ સરકારના વડાપ્રધાન ડો. મનમોહન સિંહ અને દિલ્હીના તત્કાલિન મુખ્યમંત્રી શિલા દિક્ષીત સામે પણ માછલા ધોવાયા હતા.