કોરોના કહેર: મુંબઇમાં કોવિડ 19થી બે દર્દીના મોત, હાલ ભારતમાં 257 કેસ, જાણો ગુજરાતમાં કેટલા છે?

Corona Virus Cases In India : ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે મુંબઇમાં કોવિડ 19 સંક્રમણથી 2 દર્દીના મોત થતા હડકંપ મચ્યો છે. કોરોના વાયરસના નવા JN.1 વેરિઅન્ટના લક્ષણો મોટાભાગે અગાઉના ઓમિક્રોન સ્ટ્રેનના લક્ષણો જેવા જ છે.

Written by Ajay Saroya
May 20, 2025 12:45 IST
કોરોના કહેર: મુંબઇમાં કોવિડ 19થી બે દર્દીના મોત, હાલ ભારતમાં 257 કેસ, જાણો ગુજરાતમાં કેટલા છે?
Covid 19 jn 1 Variant Cases : કોવિડ 19 વાયરસના નવા જેએન 1 વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે. (Photo: Freepik)

Covid 19 Case In India: ભારતમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે મુંબઇમાં કોવિડ 19 વાયરસથી બે દર્દીના મોત થતા ગભરાટનો માહોલ છે. તાજેતરમાં સિંગાપોર અને હોંગકોંગમાં કોરોના સંક્રમના કેસોમાં તીવ્ર વધારો થયો છે. આ દરમિયાન ભારતની આર્થિક રાજધાનીમાં બે કોરોના સંક્રમણ પીડિતોના મોતના સમાચાર છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા સૂત્રોને ટાંકીને આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં કોવિડ 19 વાયરસથી સંક્રમિત બે લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે. કોરોના વાયરસ સંક્રમણ વધવા પાછળ નવું JN.1 વેરિઅન્ટ જવાબદાર છે. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે JN.1 વેરિઅન્ટના લક્ષણો મોટાભાગે અગાઉના ઓમિક્રોન સ્ટ્રેનમાં જોવા મળતા લક્ષણો જેવા જ છે.

એએનઆઈના જણાવ્યા અનુસાર, કોરોનાને કારણે મૃત્યુ પામેલા બે લોકોની તબિયત નાજુક હતી. એક દર્દીને મોઢાનું કેન્સર હતું, જ્યારે બીજાને નેફ્રોટિક સિન્ડ્રોમ હતો. બંનેનું મૃત્યુ કોવિડ 19ને બદલે અગાઉથી અસ્તિત્વમાં રહેલી બીમારીને કારણે થયું છે.

આ પહેલા સોમવારે સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશકની અધ્યક્ષતામાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, ઇમરજન્સી મેડિકલ રિલીફ ડિવિઝન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતો સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

ભારતમાં કોરોના વાયરસના કેટલા એક્ટિવ કેસ છે?

એક સત્તાવાર સૂત્રએ બેઠક બાદ પીટીઆઈને જણાવ્યું હતું કે, “બેઠકમાં તારણ કાઢવામાં આવ્યું છે કે ભારતમાં હાલની કોવિડ -19 પરિસ્થિતિ નિયંત્રણમાં છે.”19 મે સુધી ઉપલબ્ધ આંકડા અનુસાર, ભારતમાં કોવિડ 19 વાયરસના પુષ્ટિ થયેલા કેસોની વર્તમાન સંખ્યા 257 છે, જે દેશની મોટી વસ્તીને ધ્યાનમાં રાખીને ખૂબ ઓછી છે.

પીટીઆઈના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હાલના કોરોના વાયરસ સંક્રમણના કેસોમાંથી લગભગ તમામ કેસ હળવા છે, જેમા હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર નથી. હોસ્પિટલોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીઓ અને શ્વસન ચેપના ગંભીર કેસો પર નજર રાખવા કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવા અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તે સુનિશ્ચિત કરવા સતર્ક અને સક્રિય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતમાં કોવિડ 19 વાયરસના કેટલા કેસ છે?

ભારતમાં 19 મે સુધી કોવિડ 19 વાયરસ સંક્રમણના 257 કેસ નોંધાયા છે. જેમા 12 મે પછી કેરળમાં સૌથી વધુ નવા 69 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 44 કેસ અને તમિલનાડુમાં 34 કેસ આવ્યા છે. નવા કેસ ધરાવતા અન્ય રાજ્યોમાં કર્ણાટકમાં 8, ગુજરાત 6, દિલ્હી 3 અને હરિયાણા, રાજસ્થાન અને સિક્કિમમાં 1-1 કેસનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ