delhi cm house row : દેશની રાજધાની નવી દિલ્હીથી ફરી એક વખત રાજનીતિક ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને ફાળવવામાં આવેલા સિવિલ લાઇન્સના 6, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાનને જાહેર બાંધકામ વિભાગે ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરતા સીલ કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રી આવાસ પર બે મોટા તાળા લગાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે મુખ્યમંત્રી આતિશીના સરકારી આવાસમાં રાખવામાં આવેલો સામાન બહાર કાઢવામાં આવ્યો છે.
બીજી તરફ દિલ્હી સરકારના પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટની આ કાર્યવાહી પર દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે શીશ મહેલ પર ગેરકાયદે કબજો કરવા પર કાર્યવાહી કરવામાં આવી છે. અમારી માંગ પૂર્ણ થઈ છે અને અમને દિલ્હીવાસીઓને ગર્વ છે કે શીશ મહેલને સીલ કરવામાં આવ્યો છે.
આ પગલાને અભૂતપૂર્વ ગણાવતા મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીને તેમનું ઘર ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. એલજીએ ભાજપના કહેવા પર સીએમ આતિશીનો સામાન બળજબરીથી હટાવી લીધો છે . એલજી વતી સીએમનું નિવાસસ્થાન ભાજપના મોટા નેતાને ફાળવવાની તૈયારીઓ ચાલી રહી છે. 27 વર્ષથી દિલ્હીમાં વનવાસ ભોગવનાર ભાજપ હવે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર કબજો કરવા માંગે છે.
આ પણ વાંચો – EVM ની જે બેટરીને લઇને કોંગ્રેસ ઉઠાવી રહી છે સવાલ, આખરે તે કેવી રીતે કરે છે કામ
ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સે મંગળવારે પીડબ્લ્યુડીના નિર્દેશો છતાં ઘરની ચાવીઓ ન આપવા બદલ મુખ્યમંત્રીના વિશેષ સચિવ સહિત – ત્રણ અધિકારીઓને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. અધિકારીઓને સાત દિવસમાં જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
શો-કોઝ નોટિસમાં જણાવાયું છે કે 6 ફ્લેગ સ્ટાફ રોડ પરનું આ માળખું/બિલ્ડીંગ ક્યારેય દિલ્હીના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન તરીકે નિર્ધારિત કરવામાં આવ્યું નથી. આ બાબત CPWD, CBI તેમજ ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ દ્વારા તપાસ હેઠળ છે. અને નવા બંગલાના ડિમોલિશન/ફેરફાર, વધારા/બાંધકામમાં કથિત રીતે આચરવામાં આવેલી ગેરરીતિઓના વિવિધ પાસાઓને કારણે આ બાબતને અંતિમ સ્વરૂપ મળ્યું નથી.
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગત સપ્તાહ સુધી આ ઘરમાં રહેતા હતા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગત સપ્તાહ સુધી આ ઘરમાં રહેતા હતા. રાજીનામું આપ્યાના ત્રણ અઠવાડિયા પછી તેમણે બંગલો ખાલી કરી દીધો હતો. પીડબ્લ્યુડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતિશી પાસે બંગલાની ચાવી હતી, પરંતુ તેમને સત્તાવાર ફાળવણી પત્ર આપવામાં આવ્યો ન હતો. દિલ્હીમાં મુખ્યમંત્રી માટે કોઈ નિશ્ચિત આધિકારિક નિવાસસ્થાન નથી. અરવિંદ કેજરીવાલ 2015થી આ ઘરમાં રહી રહ્યા હતા. આમાં વર્ષ 2020-21માં ફરીથી કામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેના પર ખર્ચ કરવામાં આવેલી રકમ અંગે વિવાદ થયો હતો.





