Sultana Begum Claim On Delhi Red Fort: દિલ્હી હાઇકોર્ટે મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફર (દ્વિતીય)ના પ્રપૌત્રની વિધવા સુલતાના બેગમ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. તેમની અપીલમાં તેમને કથિત રીતે બહાદુર શાહ ઝફર (દ્વિતીય)ના કાયદેસરના વારસ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમણે ભારતની રાજધાની દિલ્હી સ્થિત લાલ કિલ્લાનો કબજો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ વિભુ બાખરુ અને ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાની બનેલી ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી.
આ અરજીમાં સુલતાના બેગમે હાઈકોર્ટના સિંગલ જજના ડિસેમ્બર 2021ના નિર્ણયને પડકાર્યો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિભુ બાખરુ અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની ખંડપીઠે વિલંબને કારણે આ અરજીને ફગાવી દીધી હતી. કોલકાતા નજીક હાવડામાં રહેતી બેગમે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેણે 2021 માં પ્રથમ વખત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેઓએ આશા વ્યક્ત કરી હતી કે સરકાર આ બાબતે ધ્યાન આપશે અને આર્થિક મદદ કરશે.
સુલતાના બેગમ શું કહે છે?
સુલતાના બેગમ મિર્ઝા બેદર બુખ્તની વિધવા છે. તેમનો જન્મ 1920મા તત્કાલીન રંગૂન, બર્મામાં થયો હતો અને તેઓ બહાદુર શાહ ઝફર દ્વિતીયના પ્રપૌત્ર હતા. તેમનું અવસાન 1980માં ભારતના કોલકાતા શહેરમાં થયું હતું.
સુલતાના બેગમ કહે છે, અમે તલતલામાં રહેતા હતા અને બહાદુર શાહ ઝફર દ્વિતીયના કાયદેસરના વારસદાર તરીકે અમને જે પેન્શન મળતું હતું તેના પર રહેતા હતા, જે થોડાક રૂપિયા હતા. 1984માં હું મારાં બાળકો સાથે હાવડા રહેવી ગઇ, જ્યાં હું તેમને એકલા ઉછેરવાનો પ્રયત્ન કરી રહી હતી. તેમના મૃત્યુ પછી, મેં સમયાંતરે કામ કર્યું, ચાની કીટલી ચલાવી, બંગડીઓ બનાવી, પરંતુ હવે ઉંમર થઇ જતા હું મોટાભાગે પથારીવશ રહું છું.
સુલતાના બેગમના જણાવ્યા અનુસાર, મિર્ઝા બેદર બુખ્ત બહાદુર શાહ ઝફરના છેલ્લા સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત વંશજ હતા, જેમને શરૂઆતમાં અંગ્રેજો તરફથી પેન્શન મળતું હતું. તેમની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ તેમને “કેન્દ્ર સરકાર, નિઝામ અને હઝરત નિઝામુદ્દીન ટ્રસ્ટ” તરફથી પેન્શન મળ્યું હતું. બેગમે જણાવ્યું હતું કે હવે તે બહાદુર શાહ ઝફર દ્વિતીયના કાયદાસરનાવારસદાર તરીકે હજરત નિઝામુદ્દીન ટ્રસ્ટ તરફથી મળતા 6000 રૂપિયાના પેન્શન પર જીવે છે.
મુઘલ બાદશાહના વારસો ગરીબીમાં જીવવા મજબૂર
હાવડાની એક ઝૂંપડીમાં રહેતી બેગમે જણાવ્યું હતું કે તેને પૈસાની સખત જરૂર છે. “મારે એક દીકરો અને પાંચ દીકરીઓ છે. મારી સૌથી મોટી પુત્રીનું 2022માં અવસાન થયું હતું, જેના કારણે અપીલ દાખલ કરવામાં વિલંબ થયો હતો. મારાં બાળકો અશિક્ષિત રહ્યાં, તેમાંથી કોઈ પણ શાળા પૂરી કરી શક્યું નહીં, અને અમે ગરીબીમાં જીવી રહ્યા છીએ. ”
હાઈકોર્ટમાં છેલ્લા મોગલ બાદશાહની પુત્રવધૂ સુલતાનાએ કહ્યું, ‘લાલ કિલ્લો અમારો છે, કબજો મેળવો અથવા વળતર મેળવો’,
બેગમે 2021 માં દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમના પરિવારને લાલ કિલ્લાના કબજાથી વંચિત રાખવામાં આવ્યો હતો કારણ કે બહાદુર શાહ ઝફર બીજા – જે 1836 થી 1857 સુધી દિલ્હીના સમ્રાટ હતા – તેમને દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને લાલ કિલ્લા પર 19 સપ્ટેમ્બર, 1857 ના રોજ બ્રિટિશરો દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમને બહાદુર શાહ ઝફર દ્વિતીય પાસેથી લાલ કિલ્લો કાયદેસર રીતે વારસામાં મળ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા તેના કથિત ગેરકાયદેસર કબજા માટે વળતર મેળવવા માટે પણ તે હકદાર છે.





