farmers protest : શંભુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો રવિવારે દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે અમારા વિરોધ પ્રદર્શનને આવતીકાલે 300 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે અને અમે દિલ્હી તરફ કૂચ કરીશું. ખેડૂતોએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં સરવન સિંહે કહ્યું કે અત્યાર સુધી અમને કેન્દ્ર સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી. તેમણે કહ્યું કે 101 ખેડૂતોનું પ્રતિનિધિમંડળ આવતીકાલે બપોરે 12 વાગ્યે દિલ્હી તરફ કૂચ કરશે.
મોદી સરકારનો અસલી ચહેરો ઉજાગર – ખેડૂત નેતા
સરવનસિંહ પંઢેરે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેમનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. અમે હવે ટ્રેક્ટર અને ટ્રોલીનો ઉપયોગ કરી રહ્યા નથી, પરંતુ અમને હજુ પણ દિલ્હી જવાની મંજૂરી નથી.
ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે 101 ખેડૂતોની એક ટુકડીએ એમએસપી માટે કાનૂની ગેરંટી સહિત વિવિધ માંગણીઓ માટે દબાણ લાવવા માટે શુક્રવારે દિલ્હી કૂચ કરી હતી. આ દરમિયાન હરિયાણા પોલીસે ખેડૂતોને આગળ ન વધવા માટે કહ્યું અને કલમ 163 લાગૂ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ખેડુતોએ બેરિકેડ્સને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા. ખેડૂતોને વિખેરવા માટે પોલીસકર્મીઓએ ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા.
આ પણ વાંચો – શું INDIA ગઠબંધન તૂટી જશે? કોંગ્રેસ સામે મમતા બેનર્જીને મળ્યો અખિલેશ યાદવનો સાથ
ખેડૂત નેતાએ દાવો કર્યો હતો કે ટિયર ગેસના શેલ છોડવાના કારણે અનેક ખેડૂતો ઘાયલ થયા છે. ખેડૂત નેતાઓએ દાવો કર્યો હતો કે બે ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થયા છે. ખેડૂતોએ હરિયાણા સરકાર પર બળજબરી કરવાનો આરોપ લગાવ્યો હતો.
સંસદમાં કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ખેડૂત નેતા સરવન સિંહે કહ્યું કે અમને અમારા પાકના નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે શિવરાજસિંહ ચૌહાણ એમએસપીની ઘોષણા કરી રહ્યા છે પરંતુ આખી પરિસ્થિતિ ભ્રામક અને અસ્પષ્ટ છે.
પોલીસનું નિવેદન
હરિયાણા પોલીસે જણાવ્યું હતું કે વિરોધ કરી રહેલા ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો અને બેરિકેડ્સ તોડવાનો પુરતો પ્રયાસ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ જત્થમાં કોઈ જવાબદાર ખેડૂત નેતા દેખાયા ન હતા અને કેટલાક પ્રદર્શનકારી હિંસક હતા.





