farmers protest shambhu border : દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોની બેચને શંભુ બોર્ડર પર રોકી દેવામાં આવી છે. આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઇ હતી. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ દરમિયાન વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કેટલાક ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે. ત્યારબાદ ખેડૂતો પરત જતા રહ્યા હતા.
આ દરમિયાન ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે દેશભરમાં ટ્રેક્ટર માર્ચનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે 16 ડિસેમ્બરે પંજાબને છોડીને દેશના બાકીના ભાગોમાં ટ્રેક્ટર માર્ચ થશે. આ પછી પંજાબમાં 18 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ટ્રેનો સંપૂર્ણપણે જામ કરવામાં આવશે.
307 દિવસથી ચાલી રહ્યું છે વિરોધ પ્રદર્શન
ખેડૂતોનો વિરોધ 307 દિવસથી ચાલી રહ્યો છે. ખેડૂતોએ ફરી ‘દિલ્હી ચલો’ કૂચ ફરી શરૂ કરી છે, પરંતુ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસે બેરિકેડ્સ લગાવી દીધા હતા. પોલીસની કાર્યવાહીને પગલે વિરોધ સ્થળ પર તંગદિલી સર્જાઈ હતી કારણ કે ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અધિકારીઓએ સુરક્ષાની ચિંતાઓ અને દિલ્હીમાં દેખાવકારોની હિલચાલને નિયંત્રિત કરવાની જરૂરિયાતનું કારણ આપીને તેમને આગળ વધવા દીધા ન હતા.
ખેડૂતોએ શું કહ્યું?
ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે દેશભરના ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવે, જો તેઓ આમ કરશે તો ટિયર ગેસ સહિતની આ તમામ બાબતો બંધ થઈ જશે અને અમને દિલ્હી જવાની મંજૂરી આપવામાં આવશે અને અમારી માંગણીઓ પૂરી કરવામાં આવશે. હરિયાણા પોલીસ જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. 100 લોકોનું પગપાળા ચાલવું દેશ માટે જોખમી કેવી રીતે હોઈ શકે?
6 ખેડૂત ઇજાગ્રસ્ત
એમએસપી સહિતની તેમની 12 મુદ્દાની માંગણીઓ માટે દબાણ લાવવા માટે ત્રીજી વખત દિલ્હી કૂચ કરતી વખતે ખેડૂતો પર વોટર કેનન અને ટિયર ગેસ શેલ છોડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 6-7 ખેડૂતો ઘાયલ થયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ખેડૂતોએ અગાઉ દાવો કર્યો હતો કે શનિવારે ભલે ગમે તે થાય, ખેડૂતો તેમની વાત પર અડગ રહેશે. ખેડૂતોને રોકવા માટે મૂકવામાં આવેલા બેરિકેડ્સને પાર કરવાનું લગભગ અશક્ય હોવા છતાં ખેડૂતો પોતાની માગણીઓના સમર્થનમાં અડગ છે.
આ પણ વાંચો – લોકસભામાં રાહુલ ગાંધીનો ભાજપ, આરએસએસ પર પ્રહાર, કહ્યું – સાવરકરે કહ્યું હતું કે મનુ સ્મૃતિ કાયદો છે
ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે આ કાર્યવાહીની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે અર્ધલશ્કરી દળો અને હરિયાણા પોલીસે આંદોલનકારી કૂચ કરી રહેલા કાફલા પર ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા હતા. તેમણે આ કાર્યવાહીને ખોટી ગણાવતા કહ્યું હતું કે, સંસદમાં બંધારણ પર ચર્ચા થઇ રહી છે. પરંતુ સરકાર દ્વારા ખેડૂતો સાથે વાટાઘાટો કરવા માટે કોઈ પહેલ કરવામાં આવી ન હતી.
તેમણે કહ્યું કે ખેડૂતોનો અવાજ કેન્દ્ર સરકારના અગ્રણી નેતાઓ સુધી પહોંચતો નથી, પરંતુ દેશની જનતા તેને જોઈ રહી છે. અમે ઇચ્છીએ છીએ કે આખું ભારત એક સાથે ઉભું રહે જેથી અમારી માંગણીઓ સાંભળી શકાય. તેમણે આરોપ લગાવ્યો કે હરિયાણા પોલીસ દેશને ગેરમાર્ગે દોરી રહી છે, 101 ખેડૂતો દેશ માટે કેવી રીતે ખતરો બની શકે છે. તેમણે એમ પણ નિશાન સાધ્યું હતું કે શાસક પક્ષ અને વિપક્ષ બંને ખેડૂતોના મુદ્દે વાત કરી રહ્યા નથી. ખેડૂતોની દિલ્હી કૂચના સમર્થનમાં બજરંગ પુનિયા પણ પહોંચ્યા છે. જ્યારે ખેડૂતોની માંગણીઓને સમર્થન આપતા તેમણે સરકાર પર ખોટા નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો છે.