Indus Water Treaty : પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં સિંધુ જળ સંધિનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. સિંધુ નદીના પાણી અંગે પાકિસ્તાનના નેતા અને પૂર્વ મંત્રી બિલાવલ ઝરદારીનું નિવેદન આજે પણ ચર્ચાનો વિષય બનેલું છે. આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તેઓ નિવેદનો આપતા રહે છે તેમના નિવેદનથી આપણે ચાલી શકીએ નહીં અમે પોતે ઈચ્છીએ છીએ કે સિંધુ જળ સંધિ પર ફરીથી વિચાર કરવામાં આવે.
પાણી પર આપણો પણ અધિકાર છે – ફારૂક અબ્દુલ્લા
અનંતનાગમાં મીડિયા સાથે વાત કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે જ્યાં સુધી આ સિંધુ જળ સંધિની વાત છે, અમે ક્યારથી કહી રહ્યા છીએ કે આ સંધિ પર ફરીથી વિચાર કરવો પડશે. આપણે પોતે પણ મુશ્કેલીમાં છીએ અને તેનાથી વંચિત છીએ. અમે એમ નથી કહેતા કે આપણે તેમનું પાણી બંધ કરી દેવું જોઈએ, પરંતુ અમે કહીએ છીએ કે આપણો પણ અધિકાર છે.
તેમણે વધુમાં કહ્યું કે આજે જમ્મુમાં તમે જુઓ છો કે પાણીની સૌથી મોટી તંગી છે અને અમે તેમના માટે ચિનાબથી પાણી લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિશ્વ બેંકે અમને મદદ કરી ન હતી અને કહ્યું હતું કે તે સિંધુ જળ સંધિ હેઠળ આવે છે.
આ પણ વાંચો – ભારતે પાકિસ્તાનથી આયાત પર સંપૂર્ણ રોક લગાવી, મોદી સરકારનો મોટો નિર્ણય
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે આજે તક છે આપણે ત્યાંથી આ પાણી જમ્મુ લાવવું જોઈએ, આપણે પણ આ પાણીના હકદાર છીએ, તેઓ એકલા જ નથી. આપણે કોઈ પ્રોજેક્ટ બનાવી શકતા નથી, તેમને પૂછવું પડે છે. આપણી પાસે બહુ ઓછી વીજળી છે. આપણે અહીંથી સારી સંખ્યામાં વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. તેઓ પરવાનગી આપતા નથી, અમે પરેશાન છીએ.
જો ડર ગયા વો મર ગયા : ફારૂક અબ્દુલ્લા
પહેલગામમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડા અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે હવે સ્થિતિ સામાન્ય છે. વધુને વધુ લોકોએ અહીં આવવું જોઈએ. લોકોએ ડરવું ન જોઈએ. જો ડર ગયા વો મર ગયા.
તેમણે કહ્યું કે હું લોકોને અપીલ કરું છું કે તે માતા વૈષ્ણોદેવીના દર્શન માટે પહેલગામ, ગુલમર્ગ, શ્રીનગર અને કટરા આવે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પણ કહ્યું કે અમે આતંકવાદથી થાકી ગયા છીએ, કોઈ પણ કાર્યવાહી પીએમ નરેન્દ્ર મોદી કરશે, તે અમને સ્વીકાર્ય છે.