Ruckus in Rajya Sabha over Deportation: ગુરુવારે રાજ્યસભામાં વિપક્ષી દળોએ અમેરિકાથી ભારતીય ઈમિગ્રન્ટ્સ પરત આવવા અને પ્રયાગરાજ મહાકુંભની ઘટના સહિત અનેક મુદ્દાઓ પર હંગામો કર્યો હતો. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ સરકાર પાસે આ મુદ્દાઓ પર જવાબ માંગ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. ત્યારબાદ બે વાગ્યે કાર્યવાહી શરુ થયા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાથી પરત આવેલા ભારતીય નાગરિકોના મુદ્દે સંસદમાં નિવેદન આપ્યું છે.
દેશનિકાલની પ્રક્રિયા સમયાંતરે થઈ રહી છેઃ વિદેશ મંત્રી એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે દેશનિકાલની પ્રક્રિયા નવી નથી. વર્ષોથી આવું ચાલતું આવે છે. જયશંકરે 2009થી દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંપૂર્ણ યાદી ગૃહમાં રજૂ કરી હતી.
વર્ષ ભારતીયોની ડિર્પોર્ટેશનની સંખ્યા 2009 734 2010 799 2011 597 2012 530 2013 550 2014 591 2015 708 2016 1303 2017 1024 2018 1180 2019 2042 2020 1889 2021 805 2022 862 2023 670 2024 1368 2025 104
અમેરિકાએ બુધવારે 104 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા
બુધવારે અમેરિકી સૈન્ય વિમાન 104 ભારતીય નાગરિકોને લઈને અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ સ્થળાંતર કરનારાઓમાં 30 પંજાબના, 33 હરિયાણા અને ગુજરાતના, ત્રણ-ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના છે, જ્યારે બે ચંદીગઢના છે. જેમાં 19 મહિલાઓ અને 13 સગીર બાળકોનો સમાવેશ થાય છે. અમેરિકામાંથી હકાલપટ્ટીની આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા જઈ રહ્યા છે.
આ પહેલા રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ ઉપસભાપતિ હરિવંશે કહ્યું હતું કે તેમને અમેરિકામાંથી NRIની હકાલપટ્ટી અને મહાકુંભમાં ગેરવહીવટ સંબંધિત 13 નોટિસ મળી છે. જોકે, તેણે તમામ નોટિસ ફગાવી દીધી હતી. આ નિર્ણયથી વિરોધ પક્ષોમાં ગુસ્સો વધ્યો અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ડાબેરી પક્ષોના સભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો.
વિપક્ષી નેતાઓના વિરોધ વચ્ચે, ઉપાધ્યક્ષે તમામ સભ્યોને શાંત રહેવા અને ગૃહને સુચારૂ રીતે ચાલવા દેવાની અપીલ કરી, પરંતુ હંગામો ચાલુ રહ્યો. સ્થિતિને જોતા ગૃહની કાર્યવાહી સવારે 11.05 વાગ્યે અટકાવી દેવામાં આવી હતી અને તેને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ગુરુવારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી દળોએ અમેરિકામાંથી ભારતીયોને બહાર કાઢવાના વિરોધમાં સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ, સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવ સહિત ઘણા સાંસદોએ હાથકડી પહેરી હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
વધુ વાંચોઃ- લાખો રૂપિયાનું દેવું કરી અમેરિકા ગયા, જીવ મુશ્કેલીમાં મુક્યો, સપના રોળાયા, હવે શું થશે ખબર નહીં
તેઓએ “દેશનું અપમાન સહન નહીં કરીએ” અને “હાય-હાય” મોદી સરકારના નારા લગાવ્યા. આ પ્રદર્શનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓએ પણ ભાગ લીધો હતો.





