India-Pakistan News : ભારતે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના તે પ્રસ્તાવથી સ્પષ્ટ રીતે અંતર બનાવી લીધું છે, જેમાં પાકિસ્તાનને 1.3 અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ આપવાની ભલામણ કરવામાં આવી છે. ભારતે આઈએમએફને આકરો સંદેશ આપ્યો છે કે પાકિસ્તાનને હવે વધુ લોન ન આપવી જોઈએ, કારણ કે આ નાણાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને સુધારવામાં નહીં પણ આતંકવાદી સંગઠનો અને આતંકવાદીઓને પોષવામાં ખર્ચાશે. ભારતનું આ પગલું માત્ર નાણાકીય દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે આતંકવાદ સામેના તેના સંકલ્પ અને પ્રાદેશિક સુરક્ષા પ્રત્યેની તેની ગંભીરતાના સ્પષ્ટ સંકેત પણ છે.
પાકિસ્તાન લગભગ 1 અબજ ડોલરનો હપ્તો માંગી રહ્યું છે
પાકિસ્તાન હાલ આઇએમએફ પાસેથી લગભગ 1 અબજ ડોલરનો આગામી હપ્તો માંગી રહ્યું છે, પરંતુ ભારતે વોશિંગ્ટનમાં આઇએમએફની બોર્ડ મીટિંગમાં મતદાનથી દૂર રહીને પોતાની નારાજગી અને અસહમતિ બંનેને સ્પષ્ટ કરી દીધા હતા. ભારતે આ બેઠકમાં આઇએમએફના પોતાના જ એક અહેવાલને ટાંક્યો હતો. જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે પાકિસ્તાન હવે “ટુ બિગ ટુ ફેઇલ” દેવાદાર બની ગયું છે. એક એવો દેશ કે જેને વારંવાર બેલઆઉટ મળી રહ્યા છે.
આ રાજદ્વારી પગલું જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે. જેમાં 26 નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમાંના મોટા ભાગના પ્રવાસીઓ હતા. તેના જવાબમાં ભારતે “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવીને સર્જિકલ સ્ટ્રાઇક જેવી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો – જમ્મુ, સાંબા, પોખરણ અને પઠાણકોટમાં ડ્રોન હુમલા, ભારતે હુમલાઓને નિષ્ફળ બનાવ્યા
ભારતનું કહેવું છે કે પાકિસ્તાનને મળનારી આંતરરાષ્ટ્રીય નાણાકીય સહાય તેની ગુપ્તચર એજન્સીઓ અને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને જાય છે. એવા સંગઠનો જે વર્ષોથી ભારતમાં ઘાતક હુમલાઓ માટે જવાબદાર છે.
ભારતનું કડક વલણ એ માત્ર એક આર્થિક નિર્ણય નથી, પરંતુ તે એક વ્યુહાત્મક સંકેત છે
ભારતનું કડક વલણ એ માત્ર એક આર્થિક નિર્ણય નથી, પરંતુ તે એક વ્યુહાત્મક સંકેત છે – એક સ્પષ્ટ ચેતવણી છે. જો વૈશ્વિક સંસ્થાઓ પાકિસ્તાનને જવાબદારી વિના બેલઆઉટ આપવાનું ચાલુ રાખશે, તો તે નાણાં દેશના પુનર્નિર્માણને બદલે આતંકવાદને પોષવામાં ખર્ચવામાં આવશે. આ પગલું આઇએમએફ અને અન્ય બહુપક્ષીય સંસ્થાઓ માટે પણ એક બોધપાઠ છે કે બેલઆઉટથી માત્ર આર્થિક સ્થિતિમાં સુધારો થવો જોઈએ, વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકનારાઓ માટે ઢાલ ન બનવું જોઈએ.





