India-Pakistan tensions : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ હવે દેશના 24 એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ્સની અવરજવર પરનો પ્રતિબંધ 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી લંબાવી દીધો છે. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ એરપોર્ટ પરથી ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે નહીં. આ પગલાથી સંવેદનશીલ અને સરહદી વિસ્તારોના એરપોર્ટને અસર થશે, જેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ 24 એરપોર્ટ બંધ
પંજાબના અમૃતસર, લુધિયાણા, પટિયાલા, ભટિંડા, હલવાડા, પઠાણકોટ એરપોર્ટ બંધ રહેશે. હિમાચલ પ્રદેશમાં ભુંતર, શિમલા, કાંગડા-ગગ્ગલ એરપોર્ટ બંધ રહેશે. કેન્દ્રશાસિત પ્રદેશનું ચંદીગઢ એરપોર્ટ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના શ્રીનગર, જમ્મુ, લેહ એરપોર્ટ. રાજસ્થાનના કિશનગઢ, જેસલમેર, જોધપુર, બિકાનેર એરપોર્ટ અને ગુજરાતના મુંદ્રા, જામનગર, હિરાસર, પોરબંદર, કેશોદ, કંડલા અને ભુજ એરપોર્ટ બંધ રહેશે.
ઉડ્ડયન કંપનીઓએ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી
ગુરુવારે ઉડ્ડયન કંપનીઓએ તેમના મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી. એર ઈન્ડિયાએ યાત્રીઓને ચેક-ઈન માટે ત્રણ કલાક પહેલા એરપોર્ટ આવવાની વિનંતી કરી હતી.
આ પણ વાંચો – પાકિસ્તાને તુર્કીના ડ્રોનનો ઉપયોગ કર્યો, 36 સ્થળો પર હુમલાનો પ્રયાસ, નાગરિક વિમાનોને ઢાલ બનાવ્યા
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાને કાયરતાપૂર્ણ કૃત્ય કરીને ભારત તરફ 400 ડ્રોન છોડ્યા હતા, પરંતુ તેનું કાવતરું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હતું, ભારતના સુદર્શન ચક્ર એટલે કે એસ-400 સિસ્ટમે તે મિસાઇલોને તોડી પાડ્યા હતા. પાકિસ્તાને ગુરુવારે રાત્રે જમ્મુ, પંજાબ અને રાજસ્થાનના વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા.





