Hindu Leader Killed In Bangladesh: બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તાપલટા બાદ હિન્દુઓ પર શરુ થયેલા અત્યાચારનો સિલસિલો હજુ પણ યથાવત્ છે. બાંગ્લાદેશમાં એક હિન્દુ નેતાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. ભારતે હવે આ મામલે બાંગ્લાદેશને ફટકાર લગાવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ફરી એકવાર વચગાળાની સરકારને યાદ અપાવીએ છીએ કે તેઓ કોઈ પણ બહાના અથવા ભેદભાવ વિના હિન્દુઓ સહિત લઘુમતીઓની સુરક્ષા માટેની તેની જવાબદારી નિભાવે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી નેતા, ભાબેશચંદ્ર રોયના અપહરણ અને ઘાતકી હત્યાને જોઈ છે. આ હત્યા વચગાળાની સરકાર અંતર્ગત હિન્દુ લઘુમતીઓ પર વ્યવસ્થિત રીતે અત્યાચારની પેટર્નને અનુસરે છે, જ્યારે અગાઉની આવી ઘટનાઓના ગુનેગારો સજામાંથી બચીને ફરી રહ્યા છે.
કડક શબ્દોમાં એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે આ ઘટનાને વખોડી કાઢી હતી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને યાદ અપાવ્યું હતું કે બહાનાબાજી અથવા ભેદભાવ વિના હિન્દુઓ સહિત લઘુમતીઓની સુરક્ષા માટે પોતાની જવાબદારી નિભાવે.
કોંગ્રેસ પાર્ટીએ આ હુમલાની નિંદા કરી
કોંગ્રેસ પાર્ટીએ પણ હિન્દુ નેતાની હત્યાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને ભારતને આ મુદ્દો ઉઠાવવા જણાવ્યું હતું. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે આ કોઈ એકલદોકલ ઘટના નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી, બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો પર હુમલાઓની વારંવાર અને ઘણી પરેશાન કરનાર ઘટનાઓ જોવા મળી છે, જેમાં હિન્દુ મંદિરોને અપવિત્ર કરવાથી માંડીને લઘુમતીના ઘરો અને વ્યવસાયો પર ટાર્ગેટ હુમલાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો – મોટી આશા સાથે ઢાકા ગયા પાકિસ્તાની અધિકારીઓ, બાંગ્લાદેશની ત્રણ કડક માંગણીઓથી ભરાયા
આગળ કહ્યું કે ધમકી અને ક્રૂરતાની આ પેટર્નને અવગણી શકાય નહીં. કોંગ્રેસે ભારત સરકારને આગ્રહ કર્યો છે કે તે આ મામલાને તત્પરતાથી ઉઠાવે અને હિન્દુઓની સુરક્ષા માટે વચગાળાની સરકાર પર દબાણ લાવે.
બાઇક સવાર હુમલાખોરોએ અપહરણ કર્યું હતું
ભાબેશચંદ્ર રોય બાંગ્લાદેશ પૂજા ઉડજાપન પરિષદના બિરાલ એકમના ઉપાધ્યક્ષ હતા. તેઓ આ વિસ્તારના હિન્દુ સમુદાયના અગ્રણી નેતા પણ હતા. તેમની પત્નીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે શુક્રવારે એક ફોન કોલ આવ્યા બાદ બાઇક સવાર હુમલાખોરોએ તેમનું અપહરણ કર્યું હતું.
પ્રત્યક્ષદર્શીઓએ જોયું કે તેને નક્સલબાડી ગામમાં લઈ જતા જોયા હતા અને તે સ્થળ પર જ તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. બેભાન થઈ ગયા બાદ તેમને વાનમાં બેસાડીને તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. પરિવારજનોએ સ્થાનિકોની મદદથી ભાબેશને આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.