Iran Israel War | ઈરાન ઈઝરાયેલ યુદ્ધ : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે. બંને દેશો વચ્ચે મિસાઈલ હુમલા થઈ રહ્યા છે અને પરિણામે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ છે. ઈઝરાયેલ અને ઈરાનના એકબીજા પર સીધા સૈન્ય હુમલાઓએ પશ્ચિમ એશિયાને ખતરનાક નવા યુદ્ધ તરફ ધકેલી દીધું છે. જેના કારણે સવાલ ઉઠી રહ્યો છે કે, આ તણાવ ક્યારે ખતમ થશે અથવા વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર પહોંચી જશે.
તમને જણાવી દઈએ કે, પહેલા ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ શુક્રવારે ઈઝરાયેલે ઈરાનના ઈસ્ફહાન પર મોટો મિસાઈલ હુમલો કર્યો હતો. આ પછી ઈરાન આ મુદ્દે શું પગલું ભરે છે તે જોવું રહ્યું.
ખાસ વાત એ છે કે, ઈરાનના હુમલામાં ઈઝરાયેલને કોઈ ખાસ નુકસાન ન થયું હોવા છતાં તેણે ઈરાનના સૈન્ય મથકને જે આક્રમકતાથી નિશાન બનાવ્યું તેના કારણે બંને દેશો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે.
ઇઝરાયેલ જો બિડેનની સલાહને અવગણી રહ્યું
મળતી માહિતી મુજબ, ઈરાન પર ઈઝરાયેલના હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે, મોટા પાયે સંરક્ષણાત્મક ઓપરેશનથી સાબિત થઈ ગયું છે કે, ઈરાન ઈઝરાયેલની સુરક્ષા માટે કોઈ ખતરો પેદા નહી કરી શકે, જેથી વધુ બદલો લેવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, ગાઝા સાથેના યુદ્ધ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બિડેનની તમામ સલાહની અવગણના કરી અને તેમના પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું. ઈરાન સામેના હુમલામાં અમેરિકા ઈઝરાયેલને સમર્થન આપી રહ્યું હોવા છતાં ઈઝરાયેલ હજુ પણ આક્રમક છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે અસ્તિત્વ માટેની લડાઈ
ઈઝરાયેલની તાજેતરની સ્થિતિની વાત કરીએ તો તે ત્રણ મોરચે સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. એક તરફ ઇઝરાયેલ હમાસ સાથે યુદ્ધમાં વ્યસ્ત છે તો બીજી તરફ લેબનોન સરહદ પર હિઝબુલ્લાહના આતંકવાદીઓનો સામનો કરી રહ્યું છે. હવે તેની ઈરાન સાથે પણ ટક્કર થઈ ગઈ છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે અસ્તિત્વની લડાઈ ઘણા સમયથી ચાલી રહી છે.
ઈતિહાસ પર નજર કરીએ તો, જ્યારે ઈઝરાયેલના નેતાઓને લાગે છે કે, તેમના દેશનું અસ્તિત્વ જોખમમાં છે, ત્યારે તેઓ એકપક્ષીય પગલાં લે છે, અમેરિકા સંયમ રાખવાની સલાહ આપે છે ત્યારે પણ.
ઈઝરાયેલને વ્યૂહાત્મક લાભ મળી રહ્યો છે
આ મુદ્દે, ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ વિશ્લેષક, માલ્કમ ડેવિસે સીએનએનને જણાવ્યું હતું કે, તાજેતરના પગલાંએ લાંબા ગાળાના વિકાસ ચક્ર માટે સ્ટેજ સેટ કર્યો છે, જે આ પ્રદેશમાં અસ્થિરતાથી ઉદ્ભવે છે. ઈરાની હવાઈ સંરક્ષણથી બચવાની દેખીતી ઈઝરાયેલી ક્ષમતા પણ ઈઝરાયેલના વ્યૂહાત્મક લાભને પુનઃસ્થાપિત કરી શકે છે.
આ પણ વાંચો – ઈરાન ઈઝરાયલ યુદ્ધ અપડેટ્સ : મિસાઈલ અને ડ્રોન એટેક, તમામ ફ્લાઈટ્સ તેહરાનથી ડાયવર્ટ કરાઈ, જુઓ હવે સ્થિતિ કેવી?
તેમણે કહ્યું કે, આ ઘટનાક્રમ તેહરાન માટે પણ એક સંદેશ છે કે, તેઓ વાસ્તવમાં ઇઝરાયેલના હુમલાઓ માટે વધુ સંવેદનશીલ છે.





