/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Katchatheevu-island-row-controversy.jpg)
કચ્ચાથીવુ ટાપુ વિવાદ photo - IE
Katchatheevu row, કચ્ચાથીવુ ટાપુ વિવાદ : "કચ્ચાથીવુ" ભાજપને રાષ્ટ્રવાદનો નવો મુદ્દો મળ્યો છે તે નકારી શકાય તેમ નથી. રાષ્ટ્રવાદના મુદ્દે ભાજપને છેલ્લી ચૂંટણીઓમાં જે રીતે રાજકીય લાભ મળી રહ્યો છે. તે જોઈને ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન કચ્ચાથીવુનો મુદ્દો ઉઠાવીને ચૂંટણી પ્રચારને રાષ્ટ્રવાદ સાથે જોડી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી રેલીમાં કચ્ચાથીવુનો મુદ્દો લોકો સામે મુકાયો છે. ભાજપ આ મુદ્દાને લઈને મક્કમ, સજ્જ અને પોલિટિકલ મુદ્દો બનાવવા તત્પર છે.
કચ્ચાથીવુ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન દેશની એકતા અને અખંડિતતાની વિરુદ્ધ છે. આ પછી ભાજપના ઘણા નેતાઓ પણ ચૂંટણી મેદાનમાં આવ્યા અને તે જોતા ભાજપ પક્ષને લાગે છે કે 2019ની ચૂંટણીમાં તેને મળેલી બેઠકોની સંખ્યા વધારવામાં કચ્ચાથીવુ મોટો લાભ અપાવી શકે તેમ છે.
કચ્ચાથીવુ ટાપુ વિવાદ : ભાજપ અને દક્ષિણ ભારત
દક્ષિણના પાંચ રાજ્યો - તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને તેલંગાણામાંથી, ભાજપ કર્ણાટકમાં મજબૂત છે પરંતુ તે અન્ય રાજ્યોમાં પણ તેની રાજકીય સ્થિતિ મજબૂત કરવા માંગે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં એક પણ સીટ મળી નથી.
કચ્ચાથીવુ ટાપુ વિવાદ : મોદીનું ફોકસ સાઉથ પર કેમ?
દક્ષિણ ભારતમાં ભાજપ પેહલેથી નબળું રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક મહિનાઓથી દક્ષિણ ભારતના તમામ રાજ્યોની સતત મુલાકાત લઈ રહ્યા છે. આમાં પણ તેમનું ધ્યાન સૌથી વધુ તમિલનાડુ પર છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર કાશી તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ જાણે છે કે તે આ વખતે ઉત્તર ભારતના રાજ્યોમાં પણ લોકસભા ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે, પરંતુ પોતાના દમ પર 370 બેઠકોનો વિશાળ આંકડો હાંસલ કરવા માટે તેને દક્ષિણના રાજ્યોમાંથી પણ લીડ લેવી પડશે. આવી સ્થિતિમાં, કાચથીવુનો મુદ્દો તેમને મદદ કરી શકે છે.
કચ્ચાથીવુ શું છે?
કચ્ચાથીવુ એ શ્રીલંકા અને ભારત વચ્ચેનો 285 એકરનો ટાપુ છે. તે 1.6 કિલોમીટર લાંબો છે. પ્રારંભિક મધ્યયુગીન સમયગાળામાં, કચ્ચાથીવુ પર શ્રીલંકાના જાફના સામ્રાજ્યનો કબજો હતો. 17મી સદીમાં, રામનાથપુરમની રામનાદ જમીનદારીએ કચ્ચાથીવુ ટાપુ પર કબજો મેળવ્યો. બ્રિટિશ શાસન દરમિયાન કચ્ચાથીવુ મદ્રાસ પ્રેસિડેન્સીનો ભાગ બન્યો. પરંતુ 1921માં ભારત અને શ્રીલંકાએ માછીમારીની મર્યાદા નક્કી કરવા માટે કચ્ચાથીવુ પર દાવો કર્યો.
એક સર્વેમાં કચ્ચાથીવુ શ્રીલંકામાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું પરંતુ ભારતના એક બ્રિટિશ પ્રતિનિધિમંડળે આને પડકાર્યો હતો અને કહ્યું હતું કે તે રામનાદ સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ છે. આ વિવાદ 1974 સુધી ચાલ્યો. 1974માં ભારત અને શ્રીલંકા વચ્ચે એક સમજૂતી થઈ હતી જેના પછી ઈન્દિરા ગાંધી સરકારે તેને ઔપચારિક રીતે શ્રીલંકાને સોંપી દીધું હતું. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ આ અંગે આરટીઆઈ દાખલ કરી હતી, જેમાં આ માહિતી સામે આવી છે.
તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું કે કોંગ્રેસે કચ્ચાથીવુના મુદ્દા પર પણ ધ્યાન આપ્યું નથી. તેમણે 1968માં ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિને મોકલવામાં આવેલી મિનિટ્સ ટાંકીને જણાવ્યું હતું કે જવાહરલાલ નેહરુએ 1961માં કહ્યું હતું કે આ નાનકડા ટાપુ કાચાથીવુનું કોઈ મહત્વ નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપે નેહરુના નિવેદનને દરેક મતદાતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં એનડીએ માટે 400 પારનો નારો આપનાર ભાજપ આવા મુદ્દાની શોધમાં હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે આ મુદ્દો ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉઠવવામાં આવ્યો છે.
કચ્ચાથીવુ ટાપુ વિવાદ : રાષ્ટ્રવાદનો મુદ્દો
ભાજપ લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદને મુદ્દાને વેગ આપી રહ્યું છે અને તેનો રાજકીય લાભ પણ ચોક્કસપણે તેમને મળ્યો છે. તમામ લોકસભા ચૂંટણીઓમાં ભજ તેમના ઘોષણાપત્રમાં રામ મંદિર નિર્માણ, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ અને સમાન નાગરિક સંહિતાના મુદ્દાઓને મુખ્ય સ્થાન આપ્યું છે.
2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનના બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈકને મુદ્દો બનાવી અને તેને રાષ્ટ્રવાદ સાથે જોડયો. તે સમયે, કોંગ્રેસે જે રીતે રાફેલ ડીલને મુદ્દો બનાવ્યો હતો, એવું માનવામાં આવતું હતું કે વિપક્ષી ગઠબંધન યુપીએ ભાજપને મોટો પડકાર આપશે, પરંતુ પાર્ટીએ 272ની સામે 303 બેઠકો જીતીને તેના 2014 કરતા પણ વધુ સીટ જીતી લીધી હતી.
આ વખતે ભાજપને કચ્ચાથીવુના રૂપમાં રાષ્ટ્રવાદનો મુદ્દો મળ્યો છે. રાષ્ટ્રવાદ આધારિત મુદ્દાઓ ભાજપને કેવી રીતે 2019ની ચૂંટણીમાં મળેલી બેઠકોની સંખ્યા વધારવામાં મદદરૂપ સાબિત થશે તે જોવાનું બાકી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us