Mata Vaishno Devi Landslide News : જમ્મુના વૈષ્ણો દેવીમાં ભૂસ્ખલન થવાથી પાંચ લોકોના મોત થયા છે અને 14 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. ભૂસ્ખલન બાદ વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. અધકવારી સ્થિત ઇન્દ્રપ્રસ્થ ભોજનાલાય પાસે ભૂસ્ખલન થયું હતું અને વહીવટીતંત્રની બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટના બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. મંદિર તરફ જતા 12 કિ.મી.ના વળાંકવાળા રસ્તેથી લગભગ અડધે રસ્તે આ દુર્ઘટના સર્જાઈ હતી અને યાત્રાને રોકવી પડી હતી.
સવારથી જ હિમકોટી રૂટ પરની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી, પરંતુ જૂના રૂટ પરની યાત્રા બપોરે 1.30 વાગ્યા સુધી ચાલુ રહી હતી. જોકે અધિકારીઓએ મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખીને આગામી આદેશ સુધી આ માર્ગ દ્વારા યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
જમ્મુમાં વરસાદે મચાવી તબાહી
જમ્મુમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જમ્મ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અવરજવર રોકી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે લગભગ તમામ નદીઓ અને વરસાદી નાળા જોખમી નિશાનીની ઉપર અથવા તેની નજીક વહી રહ્યા છે, જેના કારણે શહેર અને અન્ય સ્થળોએ કેટલાક નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
આ પણ વાંચો – જમ્મુ કાશ્મીરના ડોડામાં વાદળ ફાટ્યું, 4 લોકોના મોત, નેશનલ હાઇવે બંધ
અધિકારીઓએ જણાવ્યું કે રામબન જિલ્લાના ચંદરકોટ, કેલા મોડમાં પહાડો પરથી પડી રહેલા પથ્થરોને પગલે સાવચેતીના પગલા તરીકે આજે સવારે 250 કિ.મી.ના જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો ટ્રાફિક સ્થગિત કરી દેવામાં આવ્યો હતો, તેઓએ જણાવ્યું હતું કે કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતા એકમાત્ર ઓલ-વેધર હાઇવે પર જમ્મુના ઉધમપુર અને કાશ્મીરના કાજીગુંડ ખાતે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
જમ્મુમાં ભારે વરસાદથી જીવન અસ્તવ્યસ્ત
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં અચાનક વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું હતું. જેના કારણે 4 લોકોના મોત થયા છે અને 10 મકાનોને નુકસાન થયું હતું. આ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રશાસન શક્ય તેટલી વહેલી તકે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. જમ્મુમાં ભારે વરસાદથી જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
જમ્મુ શહેરમાં તાવી નદી 27 ફૂટ ઉપર વહી રહી હતી, જે ખતરાના નિશાનથી 10 ફૂટ ઉપર છે. અખનૂર ખાતે ચિનાબ નદી 35.6 ફૂટ ઉપર વહી રહી હતી, જે ખતરાના નિશાનથી અડધો ફૂટ ઉપર છે. SDRF, પોલીસ અને નાગરિક વહીવટીતંત્રની ટીમોને સક્રિય કરવામાં આવી હતી, અને લોકોને તાવી અને ચિનાબ નદીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાંથી બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું હતું.