Lebanon Pager Blast: લેબેનોનના વિવિધ ભાગોમાં મંગળવારે એક પેજરમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા હતા અને 2,700 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેના એક દિવસ બાદ બુધવારે દેશના અનેક ભાગોમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં વિસ્ફોટ થયા હતા જેમાં 14 લોકોના મોત થયા અને લગભગ 450 લોકો ઘાયલ થયા હતા. આ બધાની વચ્ચે ભારતીય મૂળના બિઝનેસમેન અને નોર્વેના એક નાગરિકનું નામ પણ આ હુમલાઓ સાથે જોડવામાં આવી રહ્યું છે.
ભારતીય મૂળના 37 વર્ષીય ઉદ્યોગપતિ અને નોર્વેના નાગરિક રિન્સન જોસ લેબેનોનમાં તાજેતરમાં થયેલા પેજર બ્લાસ્ટની તપાસમાં મુખ્ય વ્યક્તિના રૂપમાં ઉભરી આવ્યો છે. જોસ બુલ્ગારિયા સ્થિત કંપની નોર્ટા ગ્લોબલ લિમિટેડનો માલિક છે અને તેના પર આ ઘટના દરમિયાન વિસ્ફોટ થયેસા પેજર્સની સપ્લાય ચેઇનમાં સામેલ હોવાની શંકા છે. રિપોર્ટ મુજબ જોસ હુમલો થયા પછી ગુમ છે.
17 સપ્ટેમ્બરના વિસ્ફોટોમાં ઉપયોગમાં લેવાતા ડિવાઇસ પાછળ વિવિધ કંપનીઓનો હાથ હોવાનું માનવામાં આવે છે. મેલ ઓનલાઇનના જણાવ્યા અનુસાર પેજર્સનું નિર્માણ હંગેરિયન કંપની બીએસી કન્સલ્ટિંગ દ્વારા તાઇવાનની ફર્મ ગોલ્ડ એપોલોના ટ્રેડમાર્ક હેઠળ કરવામાં આવ્યું હતું. તેને નોર્ટા ગ્લોબલના માધ્યમથી મેળવવામાં આવ્યા હતા.
શું બીએસી કન્સલ્ટિંગે પેજર્સ બનાવ્યા હતા?
હંગેરિયન મીડિયા આઉટલેટ ટેલેક્સે પેજર્સ ડીલ પરના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કાગળ પર બીએસી કન્સલ્ટિંગે જ હતી જેણે ગોલ્ડ એપોલો સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા પણ વાસ્તવમાં નોર્ટા ગ્લોબલ આ ડિલ પાછળ હતું.
આ પણ વાંચો – લેબેનોનમાં પેજર પછી હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 લોકોના મોત
કેરળના વાયનાડમાં રહેતા જોસના પરિવારે લેબેનોન બ્લાસ્ટમાં કોઇ પણ પ્રકારની સંડોવણી હોવાનો ઇનકાર કર્યો હતો. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા જોસના કાકા થંગચને જણાવ્યું હતું કે તેમને શંકા છે કે રિન્સનને ગુમરાહ કરવામાં આવ્યો છે અથવા બિઝનેસ ડીલમાં દગો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદથી જ પરિવાર તેનો સંપર્ક કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
કોણ છે રિન્સન જોસ?
પોંડિચેરી યુનિવર્સિટીમાંથી એમબીએ અને ઓસ્લો મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ સોશિયલ વેલ્ફેર એન્ડ હેલ્થ પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા બાદ જોસ એક દાયકા કરતા પણ વધુ સમય પહેલા નોર્વે ગયો હતો. તેના કાકાએ મનોરમ ઓનલાઇનને જણાવ્યું હતું કે જોસ છેલ્લે નવેમ્બરમાં તેના ઘરે આવ્યો હતો અને જાન્યુઆરીમાં પાછો ગયો હતો. રિન્સનના પિતા જોસ મુથેદમ દરજી છે અને મનંતવાડીમાં એક દુકાન છે.
રિન્સન નોર્વેની એક જોબ કન્સલ્ટન્સી ફર્મ સાથે જોડાયેલો હતો અને તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે ડીએન મીડિયા ગ્રુપમાં કાર્યરત છે. આ ઉપરાંત પ્રોફાઈલમાં જણાવવામાં આવ્યું છે કે તે બિઝનેસમેન છે અને નોર્ટાલિંક નામની આઈટી અને કન્સલ્ટિંગ ફર્મ ચલાવે છે.
(ઇનપુટ્સ – ઇન્ડિયન એક્સપ્રેસ)