પ્રયાગરાજ : રાહુલ ગાંધી-અખિલેશની રેલીમાં હંગામો, ભીડે બેરિકેડ પણ તોડ્યા, ભાષણ આપ્યા વિના પરત ફર્યા

Lok Sabha Election 2024 : સભામાં એકઠી થયેલી ભીડ બંને નેતાઓની નજીક જવાના પ્રયાસ દરમિયાન બેકાબૂ બની ગઈ હતી. હોબાળા અને અરાજકતાના કારણે બંને નેતાઓને ત્યાંથી ભાષણ આપ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું

Written by Ashish Goyal
May 19, 2024 16:51 IST
પ્રયાગરાજ : રાહુલ ગાંધી-અખિલેશની રેલીમાં હંગામો, ભીડે બેરિકેડ પણ તોડ્યા, ભાષણ આપ્યા વિના પરત ફર્યા
અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી (તસવીર - કોંગ્રેસ ટ્વિટર)

Lok Sabha Election 2024 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ફૂલપુરમાં રવિવારે સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંયુક્ત રેલીમાં ઘણો હંગામો થયો હતો. સભામાં એકઠી થયેલી ભીડ બંને નેતાઓની નજીક જવાના પ્રયાસ દરમિયાન બેકાબૂ બની ગઈ હતી. જ્યારે પોલીસ ભીડને કાબૂમાં લેવા આગળ વધી ત્યારે ટોળાએ બેરિકેડ તોડી નાખ્યું હતું. હોબાળા અને અરાજકતાના કારણે બંને નેતાઓને ત્યાંથી ભાષણ આપ્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.

પ્રયાગરાજ જિલ્લામાં બે સંસદીય ક્ષેત્રો છે, ફૂલપુર અને અલ્હાબાદ. રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે બંને સંસદીય ક્ષેત્રોમાં સંયુક્ત ચૂંટણી સભા કરી હતી. ફૂલપુરના પાંડિલાની સભામાં થયેલી ધમાલ અને ભાગદોડના કારણે બંને નેતાઓને કશું કહ્યા વગર ત્યાં જ પરત ફરવું પડ્યું હતું. ત્યાર બાદ બંને નેતાઓ અલ્હાબાદ સંસદીય ક્ષેત્રના મુંગારી ખાતે યોજાયેલી સભામાં પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું – કરોડો લોકોને લખપતિ બનાવશે

જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 લોકોને અબજોપતિ બનાવ્યા, ઇન્ડિયા જૂથની સરકાર કરોડો લોકોને લખપતિ બનાવશે. અલ્હાબાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઉજ્જવલ રમણ સિંહના સમર્થનમાં જિલ્લાના મુંગારી ગામમાં આયોજિત જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમામ ગરીબોની યાદી બનાવવામાં આવશે. દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે અને અમે તરત જ કરોડો મહિલાઓના બેંક ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા અને દર મહિને 8500 રૂપિયા જમા કરાવીશું.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી પંચે 9000 કરોડનો ડ્રગ્સ, દારુ અને મફત વિતરણનો માલસામાન જપ્ત કર્યો, સૌથી વધુ ગુજરાતમાં

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ભારતના ખેડૂતોને અનાજ, બટાકા, શેરડી અને કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી આપવા જઈ રહ્યા છીએ. અમે તેમની લોન માફ કરીશું. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ લડાઈ આ બંધારણ માટે છે. ભાજપ અને આરએસએસ તેના પર પ્રહારો કરી રહ્યા છે.

આ લોકશાહી બચાવવાની ચૂંટણી છે – અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી, આ લોકશાહી બચાવવાની ચૂંટણી છે. જે રીતે સંવિધાનનું મંથન કરવામાં આવ્યું, એક તરફ એવા લોકો છે જેઓ બંધારણને ખતમ કરવા માંગે છે અને બીજી બાજુ આપણે એવા લોકો છીએ જેઓ બંધારણને બચાવવા માંગે છે.

તેમણે કહ્યું કે હજુ સુધી ખેડૂતોની આવક બમણી થઈ નથી. સરકારના દસ વર્ષમાં એક લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અખિલેશે કહ્યું કે ગઠબંધન સરકાર બનશે તો ખેડૂતોને MSPનો કાયદેસર અધિકાર મળશે. તેમણે કહ્યું કે ભાજપના લોકો આપણા જીવન અને બંધારણની પાછળ પડ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ