Debashish Dhar Nomination Rejected : લોકસભા ચૂંટણી 2024 પહેલા બંગાળમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. બીરભૂમ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર દેબાશિષ ધરનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. ભાજપે પોતાના ઉમેદવાર તરીકે પૂર્વ આઈપીએસ અધિકારી દેબાશીષ ધરને મેદાનમાં ઉતાર્યા હતા. હવે તેમના બદલે પાર્ટીએ દેબતનુ ભટ્ટાચાર્યને નવા ઉમેદવાર બનાવ્યા છે અને તેમણે ઉમેદવારી નોંધાવી છે.
ટેકનિકલ કારણોસર ભાજપના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ
જિલ્લા ચૂંટણી અધિકારીએ ટેકનિકલ કારણોસર ઉમેદવારી રદ કરી છે. આ દરમિયાન દેબાશીષ ધરે જિલ્લા ચૂંટણી અધિકારીના નિર્ણયને પડકારવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે કેટલાક ટેકનિકલ કારણોસર મારી ઉમેદવારી રદ કરવામાં આવી છે. હું મારા પક્ષના નેતાઓ સાથે વાત કર્યા પછી કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરીશ. મને લાગે છે કે મને જણાવેલ કારણો પાયાવિહોણા છે.
રાજ્યના રાર ક્ષેત્રના ક્લસ્ટર પ્રભારી, પૂર્વ પ્રચારક અને નવા ઉમેદવાર દેબતનુ ભટ્ટાચાર્યએ ટીએમસી વિરુદ્ધ પાર્ટીની રણનીતિનું સમર્થન કરવાની કસમ લીધી છે. ભટ્ટાચાર્યએ કહ્યું કે મારી પાર્ટી મને જે કરવાનું કહેશે તે હું કરીશ. તૃણમૂલના ષડયંત્ર સામે લડવા માટે અમે બધા એકજૂટ છીએ અને સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ તેમના ગેમપ્લાનને નિષ્ફળ બનાવવા માટે આ એક વ્યૂહાત્મક પગલું છે.
આ પણ વાંચો – EVM-VVPAT મેચિંગની તમામ અરજીઓ ફગાવવામાં આવી, સુપ્રીમ કોર્ટે વિરોધ પક્ષોને આપ્યો મોટો ઝટકો
સુરતમાં ભાજપની બિનહરિફ જીત થઇ હતી
આ પહેલા સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરત લોકસભા બેઠક પરથી આઠ અપક્ષોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. ત્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો બિનહરીફ વિજય થયો હતો.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના પ્રસ્તાવકોની સહીઓમાં ગડબડી સામે આવી હતી. આ વાતનો હવાલો આપીને ચૂંટણી પંચે તેમનું નામાંકન રદ્ કરી દીધું હતું. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જીતનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપે પોતાના પ્રભાવથી ચૂંટણી જીતી છે. કોંગ્રેસે આ બેઠક પર નવેસરથી ચૂંટણીની માંગણી કરી છે. આ ઘટનાને લઈને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પણ પહોંચી ગઈ છે. કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોને મળ્યું હતું. અહીં તેમણે સુરત બેઠક પર ફરી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની માંગ કરી છે.





